SURAT

સચિનમાં 5 માળનું બિલ્ડિંગ ધરાશાયી, 8 લોકો દબાયાની આશંકા, મોડી રાત સુધી ચાલી બચાવ કામગીરી

સુરત: સચિન નજીક આવેલા પાલી ગામમાં શનિવારે બપોરે 5 માળની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગના કાટમાળ નીચે કેટલા લોકો દબાયા છે જે અંગે હજી કાંઈ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક માહિતી મુજબ 8થી 10 લોકો દબાયા હોવાની આશંકા છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં બે મહિલાઓને બચાવાઈ હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને એક મૃતદેહ બહાર કઢાયો હોવાની માહિતી મળી છે.

  • સુરતમાં આવેલા સચિનના પાલી ગામમાં મોટી દુર્ઘટના
  • 5 માળનું બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું
  • આ દુર્ઘટનામાં 15 લોકોને ઈજા થઈ, ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • બિલ્ડિંગના કાટમાળમાં 8થી 10 લોકો દબાયા હોવાની આશંકા સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

પ્રાપ્ત માહિતી અનુસાર સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલા ડીએમ નગરમાં એક 5 માળની બિલ્ડિંગ ઉભી હતી. આ બિલ્ડિંગ માત્ર 8 વર્ષ જ જૂની હતી. તે આજે અચાનક જ પત્તાના મહેલની જેમ તુટી પડી હતી. બિલ્ડિંગ પડી ત્યારે તેની અંદર લોકો હતાં. આ દુર્ઘટનામાં અંદાજે 15 જેટલાં લોકોને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં સચિન પોલીસ અને આસપાસના ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ અને ફાયરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જમીનદોસ્ત થયેલી બિલ્ડિંગના કાટમાળની નીચે કેટલાંક લોકો દબાયા હોવાની આશંકા સાથે સાવચેતીપુર્વક ફાયરના લાશ્કરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.

કાટમાળને ખૂબ જ સાચવીને ખસેડવામાં આવી રહ્યો છે, જેથી કોઈ નીચે દબાયું હોય તો તેને બચાવી શકાય. બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યાં છે. ત્યારે આ બિલ્ડીંગ ક્યા કારણોસર ધરાશાયી થઈ તે અંગે કોઈ સ્પષ્ટતા તંત્ર તરફથી મળી નથી.

દરમિયાન રાધા એપેરેલ પાર્કમાં નોકરી કરતી મહિલા કામદાર રાધા મહંતો પરિવાર સાથે આ બિલ્ડિંગમાં રહેતી હતી. રાધાના પતિ ડ્યુટી કરી ઘરે આરામ કરી રહ્યાં હતાં ત્યારે આ બિલ્ડિંગ તૂટી પડી હતી. રાધાના પતિ બિલ્ડિંગના કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં રાધા એપેરલ પાર્કથી દોડી આવી છે. હજુ સુધી તેને તેના પતિની કોઈ ભાળ મળી નથી.

એક મહિલાને ઈજા થતાં સિવિલમાં ખસેડાઈ
સુરત મનપાના વોર્ડ નં. 30માં પાલી ગામ ખાતે ડીએમ નગરમાં 5 માળનું બિલ્ડિંગ મેઈન્ટેનન્સના અભાવે ધરાશાયી થયું છે. આ બિલ્ડિંગના કાટમાળમાં 8થી 10 લોકો દબાયા હોવાની આશંકા છે. દુર્ઘટનામાં એક મહિલાને ઈજા થતા તેને સિવિલમાં સારવાર માટે ખસેડાઈ છે.

રાત્રે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવા લાઈટની વ્યવસ્થા કરાઈ
ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર, મેયર, ડેપ્યુટી મેયર, ઝોન બીના અધિકારીઓ અને કોર્પોરેટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. દરમિયાન રાત્રિના અંધારામાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવા કલેક્ટરની સૂચનાને પગલે હેવી લાઈટ ફોક્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

લાશ્કરોએ 15 લોકોને બચાવ્યા: સંદીપ દેસાઈ
ઘટનાની જાણ થતાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે, 15 લોકોને સચિન GIDC અને પાલિકાના ફાયર લશ્કરોએ સમયસર પહોંચી સ્થાનિકોની મદદથી કાટમાળમાંથી બચાવી લેવાયા છે. અત્યારે રેસ્ક્યુંને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

વર્ષ 2016માં ગેરકાયદે બાંધકામ કરાયું હતું
વધુમાં મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકો દટાયા છે. આ બિલ્ડિંગ 2016માં ઉભું કરાયું હતું. આ ગેરકાયદે બાંધકામ હતું. ઘણા વર્ષો સુધી બિલ્ડિંગ ખાલી રહ્યું હતું. થોડા સમય પહેલાં આ બિલ્ડિંગમાં બે પરિવાર ભાડે રહેવા આવ્યા હતા.

Most Popular

To Top