Health

આખા ગુજરાતમાં સુરતીલાલાઓ હૃદયદાનમાં સૌથી દિલાવર સાબિત થયા

સુરત: હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 29 સપ્ટેમ્બરને ‘વિશ્વ હૃદય દિવસ’ (world heart day) તરીકે મનાવવામાં આવે છે. રાજ્યમાં સુરતીલાલાઓ હૃદયદાન (heart donation)માં સૌથી દિલાવર સાબિત થયા છે.

ડોનેટ લાઈફ (donate life) થકી સુરતે (Surat) 36 હૃદય દાન કર્યા છે. આજના સમયમાં દોડધામભરી જીવનશૈલી (busy life) અને ભોજનની અણઘડ આદતોને કારણે નાની ઉંમરથી લઇને વૃદ્ધો સુધીના લોકો હૃદયરોગથી પીડાતા જોવા મળે છે. હૃદયની બિમારી ધરાવતા લોકોને બ્રેઈનડેડ (brain dead) વ્યક્તિના હૃદયના દાનથી નવજીવન પ્રાપ્ત થાય છે, ત્યારે પશ્ચિમ ભારતમાં ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી સૌપ્રથમ વખત આંતરરાજ્ય હૃદયદાન કરાવાનું શ્રેય ગુજરાત, સુરતને ફાળે જાય છે. ગુજરાતમાં સૌથી વધુ 36 હૃદયના દાન એકલા સુરત શહેરમાંથી થયા છે.

પશ્ચિમ ભારતમાં સૌપ્રથમ વખત આંતરરાજ્ય હૃદયદાન કરાવાનું શ્રેય ગુજરાત, સુરત અને ડોનેટ લાઈફને ફાળે જાય છે. ગુજરાતમાં સૌથી વધુ હૃદયના દાન કરાવવામાં સુરત શહેર મોખરે છે. ગુજરાતમાંથી અત્યાર સુધી સુડતાલીસ હૃદયના દાન થયા છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા છત્રીસ હૃદય દાન કરાવવામાં આવ્યા છે, જેમાંથી ૨૨ હૃદય મુંબઈ, ૭ હૃદય અમદાવાદ, ૫ હૃદય ચેન્નાઈ, ૧ હૃદય ઇન્દોર અને ૧ હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી નાની ઉમરના ૧૪ મહિનાના બાળકનું હૃદયદાન કરાવવાનું શ્રેય પણ સુરતને જાય છે.

કોરોનામાં પણ સુરતે 10 હ્રદયના દાન કર્યા
કોરોનાની મહામારી દરમ્યાન આખા દેશમાં અંગદાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે તેવા સમયે પણ સુરતથી ડોનેટ લાઈફ દ્વારા ૧૦ હૃદયના દાન કરાવવામાં આવ્યા છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે આટલું કરવું જોઈએ
ભારતમાં છેલ્લા ૫ વર્ષમાં હૃદયની સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે બ્લડ પ્રેસરને નિયંત્રણમાં રાખવું જોઈએ, દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ વૉકિંગ, સાઇકલિંગ કે યોગા કરવા જોઈએ, મીઠુ, ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો ખાવો જોઈએ. ભોજનમાં ફળ અને સલાડનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.

ગુજરાતમાંથી થયેલા હૃદય દાનની વિગત
વર્ષ સુરત અમદાવાદ
2015 01 00
2016 06 00
2017 09 01
2018 05 01
2019 04 01
2020 05 01
2021 06 02
કુલ 36 06

Most Popular

To Top