Comments

તમે કયા પ્રકારની હિંસાના સમર્થક છો?

કોરોનાકાળમાં માસ્ક પહેર્યા વગર પતિ સાથે બાઇક ઉપર જઇ રહેલી પત્નીને પોલીસે રોકયાં. દંડ ન ભરવા બાબત પતિ-પત્નીએ પોલીસ સાથે દલીલો, કહો કે રજૂઆત કરી! પતિ પોલીસને સમજાવે ત્યારે પત્ની પણ વચ્ચે પોતાના તર્ક રજૂ કરે એવું બન્યું અને પતિએ પત્નીને લાફો માર્યો. અત્યારે પોલીસ તમામ નિયમભંગ કરનારાનું વિડિયો રેકોર્ડિંગ – મોબાઇલ મારફતે કરે છે એટલે આ ઘટના પણ રેકોર્ડ થઇ અને પછી વાયા સોસિયલ નેટવર્ક તે વાયરલ થઇ! લગભગ ગુજરાતના તમામ મોબાઇલધારકો અને આવા વાયરલ વીડિયોના ચાહકોએ આ ઘટના જોઇ! ઇવન આપણી ઘણી ચેનલોએ પણ આ ‘લાફા પ્રકરણ’ સમાચાર તરીકે ચલાવ્યું!

મોટા ભાગનાં લોકોએ ‘તમાશા એ જશ્ન’ માણ્યો. એકબીજાને તાળી આપતા ‘કેવો સીંકે દીધો…’ ની વાતો કરી! પરંતુ કયાંયથી આ લાફાકાંડની નિંદા ન થઇ! માસ્ક ન પહેરવો એ ગુનો છે તો સ્ત્રી પર હાથ ઉપાડવો તે પણ ગુનો છે. પણ એ પોલીસે પગલાં ન લીધાં. પત્નીએ ફરીયાદ કરી હોત તો કદાચ કેસ નોંધાયો હોત!

આ વીડિયો જોઇને ગુજરાતના કોઇ સ્વૈચ્છિક સંગઠન, મહિલા મંડળ…. મહિલા આયોગને આ પુરુષપ્રધાન માનસિકતા, ‘પતિ તો પત્નીને મારે એ માન્યતાનો વિરોધ કરવાનું ન સૂઝયું! આવો જ બીજો લાફાકાંડ હમણાં થયો, જેમાં પોલીસે સ્ત્રીને લાફો માર્યો અને ચેનલોમાં સમાચાર ચાલતા પોલીસકર્મી સસ્પેન્ડ થયો. પણ આ બીજા વીડિયોને કોઇએ વાયરલ ન કર્યો… તાલી આપી આપીને વીડિયો જોતાં જોતાં મજા ન લીધી!

વર્ષો પહેલાં હિન્દીના પ્રસિધ્ધ સાહિત્યકાર હજારીપ્રસાદ દ્વિવેદીજીનો એક નિબંધ છે ‘નાખૂન કયો બઢતે હૈ!’ આજે યાદ આવ્યો. આ નિબંધમાં દ્વિવેદીજી કહે છે કે નખ એ માણસમાં રહેલા પશુત્વની નિશાની છે. આપણી હિંસક આદિમવૃત્તિનું પ્રતીક નખ છે.

આપણે ‘નખ’ કાપીએ છીએ કારણ કે સભ્ય માણસ પોતાની વૃત્તિઓને કાબૂમાં રાખવા માંગે છે. કેટલીક મૂળભૂત મર્યાદાઓ, વૃત્તિઓ સાવ જડમૂળમાંથી જતી નથી. આપણે તેને માત્ર કાબૂમાં કરી શકીએ છીએ. સરકાર કાયદા દ્વારા સાધુ સંતો પ્રવચનો – સત્સંગ દ્વારા આ હિંસકવૃત્તિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરે છે.

લાગે છે આપણી મૂળભૂત હિંસક વૃત્તિઓને આજના સમયમાં મોકળું મેદાન મળવા લાગ્યું છે. આપણે આપણી આસપાસ અનેક હિંસા જોઇએ છીએ પણ આ હિંસા માટે આપણને નફરત નથી થતી. હિંસાની ટીકા કરવાના આપણા માપદંડો જુદા છે. ન્યાયના દંડો આપણે હાથવગા અને આપણી સગવડ મુજબના રાખ્યા છે. પતિએ પત્નીને લાફો માર્યો તો બરાબર છે પણ પત્નીએ પતિને માર્યો તો?

એક વીડિયો આવે છે, જેમાં એક યુવાનને બીજા બે જણા દંડા અને બેટ વડે માર મારે છે. આ વીડિયોની સાથે માહિતી આપવામાં આવે છે કે ઘરે પૂજા પાઠ માટે આવેલા ગોર મહારાજે ઘરની સ્ત્રીની મશ્કરી – છેડતી કરી, સ્ત્રીએ ઘરના સભ્યોને જાણ કરતાં ઘરના પુરુષોએ પેલા મહારાજની ધોલાઇ કરી. એ વ્યકિતને ખૂબ માર મારતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે તેનું મરણ પણ કદાચ થયું.

પોતાના કુટુમ્બની બહેન-દીકરીની છેડતી કરનારને મારી શકાય. એ હિંસા માન્ય છે! દીકરી પર બળાત્કાર કરનાર શખ્સને પિતાએ મોતને  ઘાટ ઊતાર્યો… આ હિંસા માન્ય છે. હૈદ્રાબાદમાં ગેંગરેપના આરોપીઓનું એન્કાઉન્ટર થયું. આ હિંસા માન્ય છે! બાળકોને ઉઠાવી જવાની શંકાથી ટોળું બે મહારાજોને મોતને ઘાટ ઉતારી દે છે. ચોરીના આરોપસર ફેકટરીનો માલિક પોતાના કારીગરને સાંકળે બાંધી ઢોર માર મારે છે!

હવે માત્ર હિંસા નથી થતી. હિંસાનું વીડિયો રેકોર્ડિંગ થાય છે. જાહેર રસ્તા પર માર મારવામાં આવે છે. ઘરમાં, યુનિવર્સિટીમાં, ઓફિસમાં, ચેનલોના રીપોર્ટર – કેમેરામેન સાથે પહોંચીને મારામારી થાય છે. હિંસા થાય છે અને ગૌરવપૂર્વક વીડિયો રેકોર્ડિંગ થાય છે. પહેલાં ગુનેગારો પુરાવાનો નાશ કરતા હતા પણ હવે તો સ્ટેટસ માને છે. સગર્વ આ વીડિયો ફરતાં કરવામાં આવે છે અને આવા વીડિયોના આધારે આપણાં કાયદો વ્યવસ્થાના તંત્ર દ્વારા હિંસા કરનારા વિરુધ્ધ કોઇ પગલાં લેવાયાના દાખલા નથી!

હિંસા યુગોથી થાય છે. આપણે આગળ જણાવ્યું તેમ તે માણસની આદિમ વૃત્તિ છે પણ આપણે તેને નિયંત્રિત કરવાની છે. ઓછામાં ઓછી કરવાની છે એમાંય જાહેર જીવનની હિંસા તો સાવ જ શૂન્ય કરી શકાય. ગાંધીજીની અહિંસા એ આ જાહેરજીવનની હિંસાનો નાશ હતો.

આપણી વાત મનાવવા માટે, આપણી વિચારધારામાં સંમતિ માટે હિંસાનો સહારો ન લેવાય એમ ગાંધીજીની અહિંસા માને છે. પણ આજે ઉલ્ટુ થઇ રહ્યું છે. અને બહુ હેતુપૂર્વક… સુઆયોજીત રીતે એવું માનસ ઊભું કરવામાં આવી રહ્યું છે કે આપણે સહજ રીતે જ કહીએ કે હા, આ હિંસા બરાબર હતી!

એક એવી વાર્તા વહેતી મૂકવામાં આવે છે કે આપણે આપોઆપ જ કહીએ કે ‘ના ના આ તો બરાબર હતું! – અને મૂળ પ્રત આ છે કે શા માટે આપણે એવું કહીએ છીએ કે હા. આ હિંસા બરાબર છે! કારણ આપણે સ્વયં નકકી જ કરી દીધું છે કે, પતિ તો પત્નીને મારે… માલિક તો નોકરને મારે… જે ધર્મવાળાએ આપણા માણસો માર્યા હોય એ ધર્મવાળાના માણસો મારવામાં પાપ નહિ. ભલે એ નિર્દોષ જ કેમ ન હોય!

આપણે જયારે પોલીસ દ્વારા થતા એન્કાઉન્ટરને માન્ય કરીએ છીએ ત્યારે આપણે જ આપણી ન્યાયવ્યવસ્થા પર શંકા કરીએ છીએ. આપણા મનમાં પુરુષપ્રધાન હિંસા, સામંતશાહી હિંસા, કોમવાદી હિંસા, બદલાપ્રેરિત હિંસા એમ અનેક પ્રકારની હિંસાઓ માન્યતા લઇને બેઠી છે. જેવો આધાર મળે કે આપણે હિંસાને ન્યાયક બનાવી દઇએ છીએ.

માટે આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનો છે કે આપણે કઇ હિંસાને માન્ય ગણીએ છીએ! શું હિંસાને આપણે ખરેખર કોઇ પણ સ્વરૂપે ધિકકારીએ છીએ! શા માટે કોઇ પતિએ પત્નીને લાફો મારવાનો! માસ્ક ન પહેરનારને દંડ થાય અને દંડ ન ભરનાર પર કાયદાકીય પગલાં લેવાય એમાં પોલીસે મારવાની વાત જ કયાં આવી?

બહેન-દીકરીઓની મશ્કરી ન થાય! તેમને સ્વસ્થ સમાજ મળવો જ જોઇએ પણ ‘આપણે છેડતી કરી હતી’ – એવા આક્ષેપ માત્રથી થતી હિંસા માન્ય કેવી રીતે થાય! ફિલ્મોમાં જે દર્શાવાય છે તે મનોરંજન છે પણ તેથી એ આગળ  આપણી જ માન્યતાનું ચિત્ર છે. આપણી સ્વીકૃતિનું પ્રતિબિંબ છે! આમ છતાં હિંસા ફિલ્મી પડદે જ રહેવા દો અને એ હિંસા દ્વારા જ આપણી વૃત્તિઓ સંતોષવા દો. જીવનમાં, વાસ્તવમાં કોઇ પણ હિંસાને ન સ્વીકારો. કારણ કાલે તમે પણ તેના ભોગ બની શકો છો!

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top