National

ચીનની રહસ્યમય બિમારીની ભારતમાં એન્ટ્રી?, સરકારે શું કહ્યું..

નવી દિલ્હી: કોરોના (Corona) ની ચિંતા હજુ સંપૂર્ણપણે દૂર થઈ નથી ત્યારે ચીનમાંથી (China) આવતા નવા બેક્ટેરિયાએ (Bacteria) ભારતનું (India) ટેન્શન (Tension) વધાર્યું છે. એક નવો ચીની બેક્ટેરિયા માઇક્રોપ્લાઝમા ન્યુમોનિયાએ (Microplasma pneumonia) ભારતમાં એન્ટ્રી કરી છે. આ બેક્ટેરિયા નાના બાળકોને ટાર્ગેટ કરી રહ્યો છે. છેલ્લાં કેટલાંય સમયથી ચીનમાં તબાહી મચાવી રહેલાં આ રોગના 7 કેસ ભારતમાં નોંધાયા છે. જોકે, ભારત સરકારે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) હોસ્પિટલમાં એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ મળી આવ્યા છે, જેના લીધે સરકારનું ટેન્શન વધ્યું છે. અહેવાલોમાં કરાયેલા દાવા અનુસાર એમ્સના ( AIIMS) દિલ્હીમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ નોંધ્યા છે.

સરકારે અહેવાલોને ખોટા ગણાવ્યા
સરકારે એક સ્ટેટમેન્ટ બહાર પાડી જાહેર કર્યું છે કે, એઈમ્સ દિલ્હીમાંથી મળી આવેલા તમામ કેસ સાદા ન્યુમોનિયાના છે. ચીનની બિમારી સાથે તેને કોઈ લેવાદેવા નથી. જાન્યુઆરી 2023થી એઈમ્સના માઈક્રો બાયોલોજી વિભાગમાં 611 સેમ્પલનું ટેસ્ટીંગ કરાયું છે. તેમાંથી કોઈ પણ કેસમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા મળી આવ્યા નથી. તેમ છતાં આરોગ્ય મંત્રાલય તમામ કેસ પર નજર રાખી રહ્યું છે.

ચીનમાં ન્યુમોનિયા ફેલાઈ રહ્યો છે
ચીન અને અન્ય કેટલાક યુરોપિયન દેશોમાં ‘વૉકિંગ ન્યુમોનિયા’ નોંધાયા હોવાથી વિગતો જાણવા મળી છે. આ પ્રકારના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ‘વૉકિંગ ન્યુમોનિયા’ (Walking pneumonia) ન્યુમોનિયાના હળવા સ્વરૂપનું વર્ણન કરવા માટે વપરાતો બોલચાલનો શબ્દ છે. તે સામાન્ય ન્યુમોનિયાથી વિપરીત છે. વૉકિંગ ન્યુમોનિયા ઘણીવાર બેક્ટેરિયમ માયકોપ્લાઝમા ન્યુમોનિયાને કારણે થાય છે. ભારતમાં તેના કેસ મળી આવવાને કારણે ચિંતા પણ વધી ગઈ છે કારણ કે ચાર વર્ષ પહેલા ડિસેમ્બર 2019માં કોવિડ ચીનથી શરૂ થયો હતો અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો.

આ બિમારી વોકિંગ ન્યુમોનિયા તરીકે ઓળખાય છે
AIIMS દિલ્હીના માઇક્રોબાયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા અને કન્સોર્ટિયમના સભ્ય ડૉ. રમા ચૌધરીના જણાવ્યા અનુસાર માયકોપ્લાઝમા ન્યુમોનિયાને 15-20% સમુદાય હસ્તગત ન્યુમોનિયાનું કારણ માનવામાં આવે છે. NIMS જયપુરના ડીન ડૉ. ચૌધરીએએ જણાવ્યું હતું કે, ‘આ બેક્ટેરિયમને કારણે થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે અને તેથી તેને ‘વૉકિંગ ન્યુમોનિયા’ કહેવામાં આવે છે. પરંતુ તેને હળવાશ લઈ શકાય નહીં. ક્યારેક તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે.

નાના બાળકોને આ ન્યૂમોનિયા ઝપેટમાં લે છે
એઈમ્સ દિલ્હી માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના ફેલાવા પર દેખરેખ રાખતા વૈશ્વિક સંઘનો પણ એક ભાગ છે. માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા ચેપ સામાન્ય રીતે નાના બાળકો અને શાળાએ જતા બાળકોને અસર કરે છે, પરંતુ તે કોઈપણને અસર કરી શકે છે. ભીડભાડવાળી જગ્યાઓ પર રહેતા અને ચેપગ્રસ્ત વિસ્તારોમાં રહેતા અથવા કામ કરતા લોકો વધુ જોખમમાં હોય છે.

માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના લક્ષણો શું છે?
જે બાળકોને માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાનો ચેપ લાગે છે તેઓમાં સામાન્ય રીતે કેટલાક ખૂબ જ સામાન્ય લક્ષણો હોય છે જેમ કે ગળામાં દુ:ખાવો, થાક લાગવો, તાવ, ઉધરસ જે અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલે છે અને માથાનો દુ:ખાવો.

Most Popular

To Top