Comments

ચૂંટણીવિજય જ ભાજપનું લક્ષ્ય

ચૂંટણી જીતવાનું ભારતીય જનતા પક્ષનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં પ્રચંડ વિજય અને હિમાચલ પ્રદેશમાં ભયંકર પછડાટ પછી તેનું ધ્યેય રહ્યું છે કે ચૂંટણી કોઇ પણ હિસાબે જીતવી. 2023ની નવ વિધાનસભાઓની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પક્ષે હવે કમર કસી છે. હકીકતમાં ભારતીય જનતા પક્ષની તા. 16 અને તા. 17મીએ નવી દિલ્હીમાં મળેલી બે દિવસની કારોબારી આગામી ચૂંટણીઓ જીતવા માટેના પગલાને મંજૂરી આપવા ચોક્કસ ધ્યેય સાથે મળી હતી. આ ચૂંટણીઓનો લગભગ કાર્યક્રમ નીચે મુજબ છે. માર્ચ-એપ્રિલ: કર્ણાટક અને ત્રિપુરા, નવેમ્બર-ડિસેમ્બર: મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણા.

2024 લોકસભા
લોકસભાની ચૂંટણીમાં મેદાન મારી જવા માટે ભારતીય જનતા પક્ષ માટે પૂર્વાંચલની ચૂંટણી ખૂબ મહત્ત્વની છે. ત્રિપુરા ઉપરાંત મેઘાલય અને નાગ પ્રદેશ અને મિઝોરમમાં પણ ચૂંટણી છે. બની શકે કે આ ચાર રાજયો લોકસભામાં માત્ર છ સભ્યો જ મોકલી શકે પણ રાજકીય રીતે ભારતીય જનતા પક્ષ માટે આ સમગ્ર પૂર્વાંચલ પ્રદેશ ધ્યાન આપવા માટે મહત્ત્વનો છે. ચૂંટણીઓ માટે કમર કસવા ભારતીય જનતા પક્ષને મજબૂર કરનાર સંસદની 160 બેઠકો છે જે ભારતીય જનતા પક્ષ માને છે કે 2024માં સમસ્યા પેદા કરી શકશે.

2019માં ભારતીય જનતાપક્ષે 436 બેઠકો પર સ્પર્ધા કરી હતી તેમાંથી 303 બેઠકો પર તેનો વિજય થયો હતો. 144 બેઠકો જુદા જુદા કારણસર ભારતીય જનતા પક્ષને સમસ્યારૂપ લાગી હતી. આમાંથી કેટલીક બેઠકો પર ભારતીય જનતા પક્ષ બીજે કે ત્રીજે ક્રમે રહ્યો હતો અથવા અત્યંત પાતળી સરસાઇએ જીત્યો હતો. કેન્દ્રના ગૃહ પ્રધાનની આગેવાની હેઠળ એક સમિતિએ આકારણી કર્યા બાદ આવી બેઠકની સંખ્યા વધીને 160 થઇ હતી અને તે સંખ્યા 200ની પણ થાય તેવી શકયતા છે. આથી સંગઠનનો પાયો મજબૂત કરી આવતી દરેક બેઠક જીતવાની યોજના ઘડાઇ છે.

ભારતીય જનતા પક્ષને લાગે છે કે પક્ષના રાજય એકમો ઘણી વાર પોતાની તાકાતનો પૂરી ક્ષમતાથી ઉપયોગ નથી લઇ શકાય. આથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રભાવ વધારી આ નિષ્ક્રિય શકિતનો મહત્તમ ઉપયોગ કરવાનું ધ્યેય ભારતીય જનતા પક્ષના કેન્દ્રમાં છે. તેને માટે મોદી સરકારના આગવા કાર્યક્રમોની અસરની આકારણી કરી અમલનો વ્યાપ વધારવો. તેમજ લાભાર્થીઓના પ્રતિભાવ જાણવામાં આવશે.

વડા પ્રધાન એ વાત પર આતુર છે કે ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારોને એવી જવાબદારી સોંપવામાં આવે જેમાં તેઓ ચોક્કસપણે માને કે કેન્દ્ર સરકારની ઘણી સિધ્ધિઓ 2024ની ચૂંટણીની રાજકીય ઝુંબેશની ચર્ચાનો ભાગ છે. મોદીને લાગે છે કે મારી સરકારની પહેલ અને સિધ્ધિઓ તરફ લોકો અને પત્રકારોનું જોઇએ તેટલું ધ્યાન નથી ગયું.

2023નો મહાસંગ્રામ
2023ના પૂર્વાર્ધમાં ચૂંટણી થવાની છે તેમાં કર્ણાટક ભારતીય જનતા પક્ષ માટે વિશેષ પડકારરૂપ છે. કારણ કે ત્યાં મોટે પાયે જૂથવાદ ઉપરાંત બસવરાજ બોમ્માઇના શાસન સામે ઘણા અસંતોષનાં પરિબળો કામ કરી રહ્યાં છે. 224 સભ્યોની વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે વિજેતા બન્યો. પણ કોંગ્રેસ જનતા દળ (એસ)ના ગઠબંધનને પગલે એચ.ડી. કુમાર સ્વામીએ મુખ્યમંત્રીપદના શપથ લીધા અને ચૂંટણી પછીના આ ગઠબંધનને કારણે ભારતીય જનતા પક્ષે સત્તા ગુમાવી. કોંગ્રેસ અને જનતા દળ (એસ.)ના ધારાસભ્યોએ પક્ષ પલટો કરી ભારતીય જનતાપક્ષને ટેકો આપતા બી.એસ. યેદુરપ્પાએ સરકાર બનાવી. 2022ના જુલાઇમાં યેદુરપ્પાને સ્થાને બસવરાજ બોમ્માઇને મૂકવાનો જુગાર રમ્યો પણ યેદુરપ્પા પક્ષને ચિંતા કરાવી રહ્યા છે.

60 સભ્યોની ત્રિપુરા વિધાનસભામાં 2018માં ભારતીય જનતા પક્ષ વિજેતા બની સૌ પ્રથમ પહેલી વાર સત્તા પર આવ્યો અને ડાબેરી મોરચો 25 વર્ષે ઘરે બેઠો. ગયા વર્ષની તા. 14મી મેએ મુખ્યમંત્રીપદેથી બિપ્લવ દેવને મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ અપાવી ઓછો ટેકો ધરાવતા માલિક સહાને મુખ્ય પ્રધાન બનાવાયા. કોંગ્રેસ અને માર્કસવાદી પક્ષે હાથ મિલાવી આદિવાસીઓના પક્ષ તિપ્રા મોથા સાથે મળી મોરચો માંડયા.

મેઘાલયમાં 60 બેઠકો માટે જંગ છે. ત્યાં 2018થી મુખ્ય મંત્રી કોન્ડાડ સંગમાની આગેવાની હેઠળ નેશનલ પીપલ્સ પાર્ટી રાજ કરે છે. તેને ભારતીય જનતા પક્ષ અને પ્રાદેશિક પક્ષો ટેકો આપે છે. પણ તેણે 60 માંથી 53 બેઠકો પર સ્પર્ધા કરી હતી. સંગમાએ હવે જાહેરાત કરી છે કે આગામી ચૂંટણી મારો પક્ષ એકલે હાથે લડશે. મતલબ કે ભારતીય જનતા પક્ષે મહત્તમ બેઠકો માટે જાતે ચૂંટણી લડવી પડશે અને ચૂંટણી પછી ગઠબંધનમાં જોડાવાનું રહેશે.

નાગપ્રદેશમાં 60 સભ્યોની વિધાનસભામાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી અને ભારતીય જનતા પક્ષે પીપલ્સ ડેમોક્રેટિક એલાયન્સના નેજા હેઠળ સત્તા ગ્રહણ કરી છે. 2018ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે અભૂતપૂર્વ રીતે બાર બેઠકો પ્રાપ્ત કરી હતી. છત્તીસગઢમાં 2018માં પોતાના નામોશીભર્યા દેખાવ પછી ભારતીય જનતા પક્ષ ફરીથી સત્તા ગ્રહણ કરવાની આશા રાખે છે. તો કોંગ્રસના મુખ્યમંત્રી ભૂપેશ બાધેલ સરકારી યોજનાના બળ પર સત્તા પર પાછા ફરવાની આશા લાગે છે, સોનિયા ગાંધી પરિવારનો ટેકો ધરાવતા ભૂપેશ બાધેલે 2018માં મતદારોને રીઝવવા 76 ટકા અનામતનો ખરડો પસાર કરાવી 90માંથી 68 બેઠકો જીતી હતી.

મધ્યપ્રદેશમાં કમલનાથ ભારતીય જનતા પક્ષ માટે મુખ્ય પડકાર હતો. કોંગ્રેસના માંધાતા જયોતિરાદિત્ય સિંધિયાએ 22 ધારાસભ્યો સાથે પક્ષ ત્યાગ કરતા કોંગ્રેસી નેતા કમલનાથને ઘરે બેસવું પડયું અને શિવરાજસિંહ ચૌહાણ બે વર્ષ પછી સત્તા પર આવ્યા. રાજસ્થાનમાં કોંગ્રેસના અશોક ગેહલોત ભારતીય જનતા પક્ષ માટે મોટો પડકાર છે. પણ અશોક ગેહલોતે ગાંધી પરિવારના માનીતા સચીન પાઇલોટ સામે પણ પટ્ટાબાજી કરવાની છે. તેલંગણામાં 119 બેઠકો માટે જંગ છે. ભારતીય જનતા પક્ષે મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને હઠાવી સ્થાન લીધું પણ મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ સામે ટક્કર લેતા તેને નવનેજાં પાણી ઉતરી જશે.

જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કલમ 370ની નાબૂદી પછી પહેલી વાર વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે. ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ સિવાય ખીણના તમામ મુખ્ય રાજ પક્ષો નવા જોડાણ ગુપકારમાં જોડાય એવું લાગે છે. ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઇ લોકોને આતંકવાદ સામે સુરક્ષાની ખાતરી આપી છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top