Vadodara

લગ્નમાં યુવકને કેમ બોલાવ્યો તેમ કહી, અન્ય યુવક પર જીવલેણ હુમલો

વડોદરા : શહેરને અડીને આવેલા બાજવા ખાતે યુવકે અન્ય એક યુવકને રોકી તારા લગ્નમાં ભરતસિંહને કેમ બોલાવ્યો હતો. તેમ કહી ઝગડો કર્યા બાદ જીવલેણ હુમલો કર્યો હતો. અને બીજા ત્રણ જણાએ પણ આવી મારઝુડ કરી હતી. આટલું જ નહીં તેઓએ યુવકના ઘરે જઈને પણ મારઝુડ કરી યુવકના ઘરની બહાર પડેલી કારને નુકશાન પહોંચાડ્યુ હતું. સમગ્ર મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બાજવા કરોડીયા ગામ ખત્રી ફળીયામાં રહેતા મહિપાલસિંહ નરસિંહભાઈ પરમાર(ઉ.વ.28) સિક્યુરીટી એજન્સી ચલાવે છે.

તેઓએ જવાહરનગર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.8એ રાત્રે આઠ વાગ્યાની આસપાસ હું બાઈક લઈને કરોડીયા મસાણી માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો. અને ત્યાંથી પરત ઘરે જતા સમયે મંદિરની સામે લાલા પાન હાઉસ દુકાન આવેલી છે. તેના માલિક હર્ષદ ઈશ્વરભાઈ પરમારે(રહે, કરોડીયા ગામ) મને દુકાને બોલાવ્યો હતો. અને જણાવ્યુ હતું કે, તે તારા લગ્નમાં ભરતસિંહને કેમ બોલાવ્યો તેમ જણાવી ઝગડો કરવા લાગ્યો હતો. મે ઝગડો કરવાની ના પાડતા હર્ષદે મને માથામાં લોખંડની એન્ગલ મારી દિધી હતી.

ત્યારે મે મારા મોટા ભાઈ વિક્રમસિંહ પરમારને ફોન કરીને બોલવતા હર્ષદે પણ અન્યોને બોલાવી લીધા હતા. જ્યાં સુનિલ હર્ષદભાઈ પરમાર, અરવિંદ મુળજીભાઈ પરમાર તથા પ્રતીક પ્રવિણભાઈ પરમાર(ત્રણેય રહે, કરોડીયા ગામ) આવી ગયા હતા. અને મને માર માર્યો હતો. મારો ભાઈ આવી જતા તેઓએ મારા ભાઈને પણ મારમાર્યો હતો. જોકે ત્યારબાદ મારો ભાઈ મને છોડાવી ઘરે લાવ્યો હતો. ત્યારે ઉપરોક્ત તમામ મારા ઘરે આવી ઝગડો કર્યો હતો. અને મારા પિતાને પણ મારમાર્યો હતો. તેમજ અમારા ઘરની બહાર પડેલી ગાડીને પણ તેઓએ નુકશાન પહોંચાડી કાચ તોડી નાખ્યા હતા. જોકે ત્યારબાદ મહિપાલસિંહને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે મારામારી સહિતની કલમો હેઠળ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top