National

CAAનો અમલ શરૂ: પહેલીવાર 14 શરણાર્થીને મળી ભારતીય નાગરિકતા

નવી દિલ્હી: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હેરાન પરેશાન થઈ ભારત આવેલા 14 બિન મુસ્લિમ ઈમીગ્રેન્ટ્સ એટલે કે શરણાર્થીને આજે ભારત સરકારે ભારતીય નાગરિક તરીકે સ્વીકાર્યા છે. CAA કાયદા હેઠળ આજે સરકારે આ 14 ઈમીગ્રન્ટ્સને ભારતીય નાગરિકતાનું સર્ટિફિકેટ્ આપ્યું છે. CAA કાયદો બન્યા બાદ આ પહેલી ઘટના છે.

પીટીઆઈના અહેવાલ અનુસાર એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ 14 લોકોને પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજીઓ પર પ્રક્રિયા કર્યા પછી પ્રમાણપત્રો આપ્યા હતા. આ ઉપરાંત નાગરિકતા સંશોધન કાયદા વિશેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ અરજદારોને જણાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેક્રેટરી, પોસ્ટ, ડાયરેક્ટર અને રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ભારત સરકારે 11 માર્ચ 2024ના રોજ નાગરિકતા સંશોધન અધિનિયમ, 2024ને નોટિફાઈ કર્યું હતું. જેમાં અરજી કરવાની પદ્ધતિઓ, જિલ્લા સ્તરીય સમિતિ (DLC) દ્વારા અરજીની પ્રક્રિયા અને રાજ્ય સ્તરીય એમ્પાવર્ડ કમિટી (EC) દ્વારા અરજીઓની ચકાસણી અને નાગરિકતા પ્રદાન કરવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાગરિકતા સંશોધન કાયદા દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. કાયદા અનુસાર 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે.

નાગરિકતા સંશોધન બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભામાં મંજૂરી બાદ તે રાજ્યસભામાં અટવાયો હતો. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ ચૂંટણી આવતા મામલો અટકી ગયો હતો.

પુનઃચૂંટણી પછી નવી સરકારની રચના કરવામાં આવી તેથી તે ફરીથી ડિસેમ્બર 2019 માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી 10 જાન્યુઆરી, 2020 થી તે બિલ કાયદો બની ગયો હતો પરંતુ તેનું નોટિફિકેશન આ વર્ષે 11 માર્ચે બહાર પાડવામાં આવ્યું હતું.

Most Popular

To Top