National

દિલ્હી: મોદી સરકારમાં હવે રાજપથનું નામ પણ બદલાઈ જશે, જાણો કયા નામથી ઓળખાશે

નવી દિલ્હી: મોદી સરકારે (Modi Government) દિલ્હીના (Delhi) રાજપથનું (Rajpath) નામ બદલવા અંગેનો નિર્ણય લીધો છે. આ માર્ગ ભારતીય પ્રજાસત્તાકનો સમારોહ માર્ગ છે. દર વર્ષે આ જ સ્થળેથી 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિનની પરેડ કાઢવામાં આવે છે. જણાવી દઈએ કે હવેથી રાજપથ કર્તવ્યપથના નામે ઓળખાશે. NDMCની એક મહત્વપૂર્ણ બેઠક 7 સપ્ટેમ્બરે મળવા જઈ રહી છે, તે બેઠકમાં જ સરકારના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. નેતાજીની પ્રતિમાથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો રસ્તો હવે કર્તવ્યપથ તરીકે ઓળખાશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તમામ ગુલામીમાંથી મુક્ત થવાની વાત કરી છે, ત્યારથી જ રાજપથનું નામ બદલવા પર મંથન શરૂ થઈ ગયું હતું. સરકારે હવે ઘણા વર્ષો પછી રાજપથને કર્તવ્યપથ તરીકે નામ આપવાની જાહેરાત કરી છે. નેતાજી સ્ટેચ્યુથી રાષ્ટ્રપતિ ભવન તરફ જતા આખા રસ્તાને કર્તવ્યપથ ક્યારે કહેવાશે તે અંગે હજુ સુધી સરકારે આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી. પરંતુ એનડીએમસીની બેઠકમાં તેને ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ પહેલા પણ સરકાર આવી અનેક જગ્યાઓના નામ બદલી ચૂકી છે. મોદી સરકાર આવતાની સાથે જ રેડક્રોસ રોડનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું. ઘણા રેલવે સ્ટેશનોના નામ પણ આ જ રીતે બદલવામાં આવ્યા છે. સરકારની દલીલ છે કે આઝાદીના 75 વર્ષ પછી ગુલામીનું કોઈ પ્રતીક ન રહે, દરેક વસ્તુ ન્યૂ ઈન્ડિયાના વિઝન માટે એક શક્તિશાળી બળ સાબિત થવી જોઈએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધીના સમગ્ર પટનું ઉદ્ઘાટન કરશે. રાજપથની સાથે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુમાં રાજ્ય મુજબના ફૂડ સ્ટોલ, ચારેબાજુ હરિયાળી, ગ્રેનાઈટ વોકવે, વેન્ડિંગ ઝોન, પાર્કિંગ લોટ અને ચોવીસ કલાક સુરક્ષા હશે. જો કે, આ સમય દરમિયાન તેમને ઈન્ડિયા ગેટથી માનસિંહ રોડ સુધીના ગાર્ડન વિસ્તારમાં ખાવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની જાહેરાત સપ્ટેમ્બર 2019માં કરવામાં આવી હતી. 10 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવનાર સંસદ ભવનની નવી ઇમારત લગભગ 65,400 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે અને તે ભવ્ય કલાકૃતિઓથી ભરેલી હશે. આ ઈમારત ત્રિકોણાકાર સ્ટ્રક્ચર હશે અને તેની ઉંચાઈ જૂની ઈમારત જેટલી જ હશે. તેમાં વિશાળ સંવિધાન હોલ, સાંસદો માટે લાઉન્જ, લાયબ્રેરી, અનેક સમિતિઓના રૂમ, ડાઇનિંગ એરિયા જેવા અનેક કમ્પાર્ટમેન્ટ હશે. જણાવી દઈએ કે તેની લોકસભા ચેમ્બરમાં 888 સભ્યોની બેઠક ક્ષમતા હશે, જ્યારે રાજ્યસભામાં 384 બેઠકો હશે.

Most Popular

To Top