Dakshin Gujarat

વલસાડ: કોઝવે ધોવાતા કપરાડા-ધરમપુરના હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા

વલસાડ : કપરાડા (Kaprada) તાલુકાના માની બોરપાડા વચ્ચેથી પસાર થતી પાર નદી (River) ઉપર બનેલો ચેકડેમ કમ કોઝવે (Causeway) ભારે વરસાદમાં (Rain) ધોવાતા તેની કામગીરી ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે. આ પુલ ધોવાતા ધરમપુર-કપરાડા તાલુકાના હજારો લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. લોકો માગણી કરી રહ્યા છે કે આ કોઝવેની તપાસ કરી કામગીરી કરતી મુખ્ય એજન્સી અને પેટા એજન્સી સામે કાર્યવાહી કરવી જોઈએ. ચિચપડા, માની થઈ બોરપડા તરફ જતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ ડેમના કારણે આખો રસ્તો ધોવાઈ ગયો છે.

  • કપરાડાના માની બોરપાડા પારનદીનો ચેકડેમ કમ કોઝવે ધોવાયો
  • ડેમથી લોકોને નહીં પણ લાભ ફક્ત તંત્ર, નેતાઓ અને કોન્ટ્રાક્ટરોને થયો ચર્ચાએ જોર પક્ડયું

સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડાના માની બોરપાડા વચ્ચેથી પસાર થતી પારનદી ઉપર બનેલો ચેકડેમ કમ કોઝવે પણ ફરી વરસાદમાં ધોવાણ થઈ જતા અહીંથી અવરજવર કરતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દમણગંગા સિંચાઈ યોજના દ્વારા પારનદી ઉપર બનેલા ડેમના કારણે નદી કિનારાના 300 મીટર ડામરના રસ્તા સંપૂર્ણ અને ખરાબ રીતે ધોવાઈ ગયા છે, જે ડેમ સિંચાઈ માટે બન્યો છે તે ડેમ થકી લોકોને કોઈ લાભ થયો નથી, એનો લાભ ફક્ત તંત્ર અને નેતાઓ અને કોન્ટ્રાક્ટરોને થયો છે, તેવી ચર્ચાઓ ગામલોકોમાં ઉઠી રહી છે. કપરાડાના માની બોરપાડામાંથી પસાર થતી પારનદીના બંને બાજુએ આવેલા ગામો જે માની, ચિચપાડા, પાંચવેરા, નાંદગામ જેવા અનેક ગામના લોકો માટે આ રસ્તો ખુબ જ ઉપયોગી છે અને ધરમપુર તાલુકાના ગામો જેવા કે તૂતરખેડ, ગુદિયા, સામરસિગી, જામલિયા થઈને ઉમરથાણા જે મહારાષ્ટ્રને જોડતા ગામના લોકોને પણ અતિ મહત્ત્વનો રસ્તો છે, તે રસ્તાનું ધોવાણ થઈને તૂટી ગયો છે. બે વર્ષ અગાઉ બનેલો ડેમ પુરના લીધે થયેલી હાલત અત્યંત ગંભીર છે. કોઝવે તો પુરના લીધે તૂટ્યો છે. ડેમના કારણે આખો રસ્તો ધોવાઈ ગયો છે.

લોકોની માંગણી પ્રમાણે નહીં, પરંતુ શાસકોનાં કહેવાથી બનતી યોજના
સ્થાનિકો અને અન્ય ગામોના લોકોની માગણી છે કે, આ જગ્યા ઉપર કરોડોનો ડેમ કરતા બે કરોડમાં નદી ઉપર પુલ બની જતે અને લોકોને અવજવરની સમસ્યા કાયમ માટેની દૂર થઈ જતે લોકોની માંગણી પ્રમાણે નહીં, પરંતુ શાસન કરતા લોકોનાં કહેવા પર યોજના બનતી હોય લોકોની સમસ્યા યથાવત રહે છે.

Most Popular

To Top