Comments

આઝાદનો પક્ષ: ન ઘરનો – ન ઘાટનો

કેળવણીકાર અને ઇતિહાસકાર એન્સન ડી. મોર્સના કહેવા મુજબ રાજકીય પક્ષ ખાસ કરીને પોતે જે જૂથ કે જૂથોનું પ્રતિનિધિત્વ કરે છે તેના આદર્શોને સાકાર કરવા માટે અને તેના હિતોનાં સંવર્ધન માટેના તત્કાલીન સાધન તરીકે સમાન સિધ્ધાંતોથી બંધાયેલું ટકાઉ સંગઠન છે. કોંગ્રેસના એક વખતના પીઢ નેતા ગુલામનબી આઝાદે પોતાના નવા પક્ષ ડેમોક્રેટિક આઝાદ પાર્ટીની સ્થાપના કરી ત્યારે તેણે મોર્સનો સિધ્ધાંત ધ્યાનમાં આવ્યો જ હશે. પોતે પાંચ દાયકા કોંગ્રેસમાં રહી જે આદર્શો સિધ્ધ નહીં કરી શકયા અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટી જે આદર્શોનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે તે આદર્શો તેના મગજમાં સ્પષ્ટ થઇ ગયા હશે.

વ્યવહારુ દૃષ્ટિએ જુઓ તો ડેમોક્રેટિક આઝાદ પાર્ટીએ ધર્મ, ભાષા, વંશીય, વસ્તીવાળાં મતદારો વચ્ચે ઝંપલાવ્યું છે તેમાં તેમણે રાજકીય રીતે અને વિકાસની દૃષ્ટિએ ધ્યેય પારખી લેવાં પડશે. આ મેદાનના સ્થાપિત ખેલાડીઓએ પોતાની અને ઇતિહાસની દૃષ્ટિએ સીમા આંકી દીધી છે. નવા ખેલાડીએ પોતાની લીટી લાંબી કરવી પડશે. આઝાદના પક્ષને માંડ હજી પખવાડિયાથી વધુ સમય થયો હશે, પણ જમ્મુ અને કાશ્મીરમાં જે લાંબા ગાળાના બંધારણીય ફેરફાર થયા છે તેને નવો આવેલો પક્ષ અવગણી નહીં શકે.

જમ્મુ – કાશ્મીરના એક વખતના રાજયને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવનાર ૨૦૧૯ ની પાંચમી ઓગસ્ટના ફેરફારને પોતાને ગમે કે ન ગમે, રાજકીય પક્ષોએ અસ્તિત્વમાં આવેલા છે એમ સ્વીકારવું જ પડશે. ડેમોક્રેટિક આઝાદ પક્ષના નિયુકત પ્રમુખ આઝાદે સંવેદનશીલ કે સ્ફોટક રાજકીય માર્ગથી દૂર રહી વિકાસ પર ધ્યાન આપવાનું સ્વીકાર્યું છે. આ પ્રદેશ માટે આ નવો અભિગમ છે અને સાથોસાથ જમ્મુ-કાશ્મીરને રાજયનો દરજજો પાછો અપાવવાની અને જમીન – રોજગાર સ્વરૂપે વસવાટના અધિકાર પાછા અપાવવાની નરમાઇથી જાહેરાત કરી છે, તો નવા બંધારણીય ફેરફાર વિશે તેમનો અભિગમ ખાસ ઉત્સાહપૂર્ણ ન હોવાનું પ્રતિબિંબ પાડે છે.

રાજકીય કે વૈચારિક હરીફ જાહેર થયા વગર કોઇ રાજકીય પક્ષ અસ્તિત્વમાં આવી શકે? અને તે પણ જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં? આ વિસ્તારના જવલનશીલ અને અસ્થિર રાજકારણના સંદર્ભમાં તેનો તાગ પામી શકાય તેમ નથી. આખરે તો કોઇ રાજકીય પક્ષની રચના જ અન્ય પક્ષ સામે ચૂંટણી લડવા માટે થાય છે. આથી કોઇ પણ રાજકીય પક્ષના નેતાએ યુદ્ધની રેખા દોરવી જ રહી જેથી તેના કાર્યકરોને ચૂંટણી જંગ લડવાને પ્રોત્સાહન મળે.

આઝાદ તો સ્પષ્ટ રાજકીય હરીફ વગર જમ્મુ-કાશ્મીરમાં પોતાના પક્ષ માટે વિશેષ સ્થાન બનાવવા આવ્યા છે. કોંગ્રેસના પરિવારમાંથી બહાર નીકળેલા આઝાદ ભારતીય જનતા પક્ષને પડકારશે અને ભારતીય જનતા પક્ષ વિરોધી બિનસાંપ્રદાયિકતામાં માનતા પક્ષોને ભેગા થવાનું કેન્દ્ર બનશે એવી આશા રખાતી હતી તેને બદલે તેઓ તો નેશનલ કોન્ફરંસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી જેવા પક્ષો પ્રત્યે પણ મૌન છે તો તેની સાથે હાથ મિલાવી શકયા હોત તેવા કોંગ્રેસ પક્ષની વાત તો બાજુ પર રાખો. પ્રારંભિક ઉન્માદ એવો હતો કે આઝાદ વૈકલ્પિક રાજકીય પરિબળ બનશે અને ખાસ કરીને સામાજિક – રાજકીય રીતે ગુંચવાડા તરફ આગળ વધતા જમ્મુ – કાશ્મીર માટે શૂન્યાવકાશ પૂરવા માટેનું સાધન બનશે પણ હવે એ ઉન્માદ શમી ગયો લાગે છે. ધ્યેય કે કાર્યક્રમ વગરના પક્ષમાં જાય પણ કોણ?

આઝાદની ‘આઝાદી’ પછી જમ્મુ-કાશ્મીરની કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહની પહેલી મુલાકાત વખતે આઝાદના પક્ષને એ દૃષ્ટિએ જોવાતો હતો કે તે વિધાનસભાની ચૂંટણી માટે સંઘપ્રદેશ તૈયાર થઇ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પક્ષ પ્રત્યે કેવું વલણ રાખે છે. તેણે જમ્મુ-કાશ્મીરમાં આખો ગૂંચવાડો સર્જવા બદલ ત્રણ રાજકીય પક્ષોને દોષ દેવાનું હતું. કોંગ્રેસ, નેશનલ કોન્ફરંસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પણ તેઓ ભૂલી ગયા કે આઝાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિશાન સમા કોંગ્રેસમાં આઝાદ મુખ્ય નેતા હતા અને એક વખત મુખ્ય પ્રધાન હતા.

આઝાદની પણ ચૂપ ભારતીય જનતા પક્ષની પણ ચૂપ! તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ! નવો પક્ષ રચતાં પહેલાં આઝાદ અને કેન્દ્રના શાસક પક્ષ વચ્ચે કંઇ સમજૂતી થઇ હતી?! આઝાદ સ્થાનિક કોંગ્રેસમાં ફૂટ પડાવી શકયા છે. થોડા કોંગ્રેસીઓ આઝાદના પક્ષમાં આવ્યા પછી શું? આઝાદ સ્પષ્ટ નથી એટલે કોંગ્રેસમાંથી આવી શકતો પ્રવાહ અટકી ગયો છે. ડેમોક્રેટિક આઝાદ પક્ષ નથી લોકોનો પક્ષ બની ગયો કે નથી કાર્યકરોનો પક્ષ. લોકોના પક્ષમાંથી ખરેલો માલ લઇ રચેલો પક્ષ ‘કેચ-ઓલ’ પક્ષ કહેવાય. આઝાદને કોંગ્રેસમાંથી ખરેલો માલ મળવાનો છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top