Comments

નવ રાજયોની વિધાનસભા ચૂંટણીઓ ૨૦૨૩ માં ધમાલ મચાવશે: કાશ્મીર કદાચ દસમું હશે

વરસ ૨૦૨૪ ના મધ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. તે અગાઉ ૨૦૨૩ માં ભારતનાં નવ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. વિઅમુક વખત પેટા ચૂંટણીઓ પણ મહત્ત્વની બનતી હોય છે. ગુજરાત વિધાનસભાની ગઇ ચૂંટણી એટલા માટે મહત્ત્વની ગણવામાં આવી હતી કે એક તો સત્તાવીસ વરસથી ભાજપ સત્તારૂઢ છે. વડા પ્રધાનનું રાજય છે અને ભાજપ નિષ્ફળ જાય તો દેશભરમાં તેની નકારાત્મક અસર પડે. પરંતુ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અગાઉની નવ ચૂંટણીઓનું મહત્ત્વ પણ કંઇ ઓછું નથી. તેનાં પરિણામો થકી લોકસભામાં પવન કઇ તરફ ચાલશે તેનો આછો હળવો ખ્યાલ આવશે. રાષ્ટ્રની ચૂંટણીના મુદ્દાઓ જુદા હોય છે, પણ વિધાનસભાઓની ચૂંટણીઓ પણ હવે નરેન્દ્ર મોદીના નામે લડાતી હોય છે તેથી રાજયમાં કે દેશમાં લોકપ્રિયતાની બાબતમાં ખાસ ભેદ નથી.

છતાં ગઇ લોકસભાની ચૂંટણીમાં બંગાળમાંથી જે સફળતા મળી હતી તે બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં નથી મળી. મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં (બન્ને ભાજપ શાસિત) સર તન સે જુદા કરવાની ઘટનાઓ ઘટી. એક કોંગ્રેસના રાજસ્થાનમાં ઘટી. લોકો આ ઘટનાને કેવી રીતે લે છે તે લોકોની વિવેકબુદ્ધિ પર નિર્ભર કરે છે. અમુક વર્ગ મુસ્લિમોથી તો અમુક વર્ગ ભાજપથી નારાજ પણ થયો હશે. ભાજપનું નબળું પાસું એ રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં યોગીજી અને આસામમાં હેમંત વિશ્વ શર્માને બાદ કરીએ તો અન્ય રાજયોમાં કોઇ બળવાન નેતા મુખ્યમંત્રી તરીકે નથી. નેતાઓની ઊણપ નથી ત્યારે આ રીત સમજવી મુશ્કેલ છે.

આ વખતે રાજસ્થાનમાંથી તો ઠીક, પણ ભાજપમાંથી વસુંધરા રાજે સિંધિયાને દૂર કરાય એ જ ભાજપના હિતમાં હશે. વિધાનસભાની એક ચૂંટણી હારી ગયા બાદ હરયાણામાં  મનોહરલાલ ખટ્ટરને ચંદન ધોની માફક ચીટકાડી રાખવા તેમાં કોઇ બુધ્ધિ નથી. ઉત્તર પ્રદેશમાં યોગીજી કશુંક કરે (હવે એમના પર પણ અંકુશો મુકાયા છે) તે પછી શિવરાજસિંહ ચવ્હાણ, પુષ્કર સિંહ ધામી, ભૂપેન્દ્રભાઇ પટેલ વગેરે તેનું હળવું અનુસરણ કરે છે. શિવરાજસિંહ માટે આ છેલ્લી ટર્મ હશે. જયોતિરાદિત્યનું નામ ચર્ચાઇ રહ્યું છે તેથી મધ્યપ્રદેશમાં ભાજપનું વર્ચસ ટકી રહેશે. આ અમુક ઉદાહરણો એટલે રજૂ કર્યાં કે ભાજપે રાજયના સુભટો, ક્ષત્રિયો વિષે નવેસરથી ચિંતન કરવાની જરૂર છે.

એવું ચિંતન નહીં જે કોંગ્રેસ હંમેશા કરતી આવી છે. આરએસએસના વડા મોહન ભાગવત અને નીતિન ગડકરી પીનમારખાં (એમ જ)ની જેમ વરતી રહ્યાં છે. વડા પ્રધાનની લોકપ્રિયતા સર્વેક્ષણ અનુસાર બરકરાર છે અને રાહુલની પદયાત્રાનું વજન કેવું પડયું છે તે વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રતિબિંબિત થશે. કુશાંદે એરકન્ડીશન્ડ કન્ટેનરમાં પ્રવાસ કરવાનો હોય તો લગભગ દરેક જણ આ પદયાત્રા કરવા તૈયાર થશે. માત્ર પગ જ હલાવવાના છે, મગજ કે હાથ હલાવવાના નથી. આ પદયાત્રા નથી પણ વૈભવી સહેલગાહ છે. પણ સામાન્ય લોકો આ રીતે વિચારતા નથી. દેશ ગાંધી, જીણા અને નેહરુના વ્યકિતગત સ્વાર્થને પોષવા માટે તૂટયો.

નહેરુ તો હાલના આસામને પણ પૂર્વ પાકિસ્તાનમાં (હાલના બાંગ્લાદેશમાં) જતું કરવા તૈયાર હતા. ગાંધી પૂર્વ પાકિસ્તાનથી હાલના પશ્ચિમ પાકિસ્તાન સુધી પાકિસ્તાનના અખત્યારમાં હોય એવી કોરીડોર ઊભી કરવાનો આગ્રહ રાખતા હતા. તે થયું હોત તો બર્લિન વોલનું પાપ પણ ખૂબ નાનું જણાયું હોત. એ લોકોએ દેશ તોડયો પછી કોઇએ તોડયો નથી. તો પછી રાહુલ શું જોડવા માગે છે? હવે એણે પ્રેમ અને નફરતનું અધ્યાત્મજ્ઞાન શરૂ કર્યું છે. આસારામને પૂજનારી પ્રજાનો એક મોટો વર્ગ હતો. રાહુલે આરએસએસ અને ભાજપ પાસેથી ઘણું શીખ્યું છે.

આ એમનો દાવો છે જે ખોટો પણ નથી. ગૌત્ર પચાસ વરસમાં પ્રથમ વખત જાણ્યું. જનોઇ ધારણ કરી. નર્મદા આરતી કરી. બહેને બોટમાં બેસીને ગંગા કિનારાનાં મંદિરોનાં દર્શન કર્યાં અને રાહુલ હવે રાહુલ બાબા અથવા બાવા જેવા બનીને ફરે છે. વળી શું આ બધું દેશ જોડવા માટે થઇ રહ્યું છે. બધી ડ્રામેબાજી છે. સત્તા જોડવા માટે બધું ચાલી રહ્યું છે. સમજદાર નાગરિકો તે સમજે જ છે, છતાં બાવાની બાવાજાળ થોડી અસર પાડશે તેમ માનીને ભાજપે ચાલવું પડશે. ભાજપમાં પણ બધા સમજીને પગલાં ભરે છે એવું નથી. કોરોનાનો ડર પદયાત્રા પર કેન્દ્રિત કર્યો તે પગલું જ ખોટું હતું. જેની તમે અવગણના ન કરી શકો તેને તમે વધુ પડતું મહત્ત્વ આપી રહ્યા છે એવો જ અર્થ નીકળે. 

ભારતે વિદેશનીતિ, અર્થનીતિ અને કોરોના બાબતે દુનિયામાં સૌથી ઉત્તમ કામ કર્યું છે. હજી અગિયાર વરસ પૂર્વે જ મનમોહન સિંહની કેન્દ્ર સરકારમાં એક બીજા મહત્ત્વનાં પ્રધાનોના મુખ્ય કાર્યાલયમાં જાસૂસીનાં સાધનો ગોઠવાતાં હતાં. ઉદ્યોગ, નાણાં અને વિદેશ મંત્રાલયનો  એકમેક સાથે કોઇ તાલમેળ ન હતો. આજે બધા વિભાગો સુંદર કોરસમાં કામ કરે છે. ટોચના પ્રધાનો અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો કોઇ દાગ કે આરોપ નથી. તેને કારણે જ આ સિધ્ધિ શકય બની છે. એ સમયમાં રેલવે સ્ટેશનો પર વિપુલ માત્રામાં, વરસાદ કે નિર્ભરતાના પ્રતાપે લાખો ટન અનાજ સડી જતું હતું પરંતુ મનમોહન સિંહ તે ગરીબોને આપવા તૈયાર ન હતા. બોલ્યા હતા કે પૈસા કંઇ ઝાડ પર ઊગતાં નથી.

આ અને આવી મિલીજુલી બાબતોની નવ રાજયોની વિધાનસભાઓની ચૂંટણીઓ પર અસર પડશે. ભાજપે બંગાળ પર પ્રચારહુમલો કર્યો હતો એવો અતિરેક ન કરે તો સારું. નવ રાજયોમાં ચૂંટણી યોજાશે તેમાં મધ્ય પ્રદેશ, કર્ણાટક એ મહત્ત્વનાં ભાજપશાસિત રાજયો છે. તેમાં કર્ણાટક વરસોથી સ્પષ્ટરૂપે ભાજપની તરફેણમાં આવ્યું નથી. આ ત્રણ ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ચૂંટણીઓ યોજાશે જે કોંગ્રેસ શાસિત છે. આ સિવાય ઇશાન ભારતના મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરામાં માર્ચ મહિનાની આસપાસ ચૂંટણીઓ થશે અને મિઝોરમમાં વરસના અંત ભાગમાં યોજાશે.

ઇશાનનાં રાજયોમાં ભાજપની સ્થિતિ સારી છે. કિરણ રિજિજુ અને હેમંત વિશ્વ શર્માનો સારો પ્રભાવ છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પણ ભાજપ માટે એટલી ચિંતાનાં કારણો નહીં બને જેટલું કર્ણાટક બનશે. યેદીયુરપ્પા, બાદમાં કુમાર સ્વામી વગેરે આજ સુધી કોઇ પણ સત્તા પર આવ્યું તે તડજોડ, દલબદલ અને તડજોડ કરીને આવ્યા છે. દલબદલ કરનાર સભ્ય રાજીનામું આપે અને ફરીથી ચૂંટણી લડે એ પ્રયોગ ભાજપ કર્ણાટકમાં લાગુ કર્યો હતો. અશોક ગેહલોત માટે ફરીથી સત્તા પર આવવાનું લગભગ અશકય છે. વળી સચિન પાઇલોટ અને ગેહલોત વચ્ચે ગજગ્રાહ સતત ચાલુ જ રહે છે.

પ્રથમ નવેમ્બર ૨૦૦૦ માં અસ્તિત્વમાં આવેલા છત્તીસગઢ રાજયના જન્મથી માંડીને સતત અઢાર વરસ સુધી ભાજપનું રહ્યું. રમણસિંહ સતત પંદર વરસ મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ કોંગ્રેસના ભૂપેશ સિંહ બાઘેલ આવ્યા. એ ડાયનેમિક, ભણેલ અને ચતુર મુખ્યમંત્રી છે. ભાજપને એમની સામે લડવાનું મુશ્કેલ પડશે. તેલંગાણામાં કલ્વકુંતલ ચન્દ્રશેખર રાવ (કેસીઆર) અલગ તેલંગાણા રાજય સ્થાપવાના મુખ્ય સૂત્રધાર હતા. ૨૦૧૮ માં એમનો પક્ષ ૧૧૯ માંથી ૮૮ (અઠયાશી) જગ્યા પર વિજયી નીવડયો હતો. પરંતુ હમણાંનાં વર્ષોમાં હૈદરાબાદ અને અન્યત્ર હિન્દુ ધ્રુવીકરણ વધુ થયું છે.

 એક તરફ હિન્દુત્વવાદી નેતા રાજા સિંહ છે. રાજાસિંહને એક પ્રમાણમાં મામૂલી વાતમાં જેલમાં પૂરી દેવાયા હતા અને સામે પક્ષે હિન્દુ દેવી દેવતાઓને બિભત્સ ગાળો આપનારા તેમ જ ભારતની એકતા તેમજ હિન્દુ જનતાને પડકાર ફેંકનાર ઓવૈસીના લઘુબંધુ અકબરૂદ્દીન ઓવૈસીના પક્ષની માગણી વિધાનસભામાં ગણાવી ગણાવીને કેસીઆરે માન્ય રાખી હતી. હમણાં હમણાંથી કેસીઆરની વાણી બદલાઇ છે. એ નાની નાની વાતોમાં વડા પ્રધાન મોદીની પ્રસંશા કરી રહ્યા છે કેસીઆરની સાંસદ પુત્રી કોઇક આર્થિક ગોટાળામાં ફસાઇ છે. છતાં કેસીઆર લોકપ્રિય છે એટલે ભાજપે કાં એકલા સાથે અથવા કોઇ ગઠબંધન રચીને કેસીઆરનો સામનો કરવો પડશે અને કેન્દ્ર સરકાર કાશ્મીરમાં ચૂંટણીઓ જાહેર કરશે તો તે દસમું રાજય હશે અને કલમ ૩૭૦ રદ થયા પછીની પ્રથમ ચૂંટણી હશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top