Comments

તમે ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવાની તરફેણમાં છો?

બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડ થયો જેને સરકાર કેમીકલકાંડ કહે છે, પણ સામાન્ય માણસ માટે તમે લઠ્ઠાકાંડ કહો કે કેમીકલકાંડ તેનો કોઈ ફેર પડતો નથી. ખરેખર તો ફેર પડે તેમને, જેમણે પોતાનાં સ્વજન ગુમાવ્યાં છે. આવી કોઈ પણ ઘટના વિરોધ પક્ષ માટે સ્વાભાવિક રીતે રાજકીય મોસમ જેવી હોય છે, કારણ હવે આપણે ત્યાં સારું કરી સત્તા સુધી પહોંચવાને બદલે પ્રતિસ્પર્ધી અમારા કરતાં કેટલો ખરાબ છે તેવું દર્શાવી મત માંગવાની અને સત્તા મેળવવાની ટેવ પડી ગઈ છે. પછી સત્તા અને વિરોધ પક્ષમાં કોઈ પણ હોય તે બધા જ સત્તા સુધી જવા માટે આવું કરે છે.

બોટાદની ઘટના અંગે મારા સહિત ગુજરાતના અનેક પત્રકારોએ આ અંગે ઘણું લખ્યું છે અને લખતાં રહેશે, પરંતુ મારી એક સ્ટોરી વાંચી જેમની ગણના બુધ્ધિજીવીમાં થાય છે તેવા એક મહિલા આગેવાને મને ફોન કરી પૂછયું કે તમે દારૂબંધી હટાવી લેવાની તરફેણમાં છો. મેં એક પણ સ્ટોરીમાં દારૂબંધી હટાવવી જોઈએ તેવો સૂર વ્યકત કર્યો ન્હોતો. છતાં આ એક ફોનને કારણે હું તે દિશામાં વિચારતો થયો. 1947 માં આપણે આઝાદ થયા પછી આપણે મુંબઈ રાજયમાં રહેતા હતા, પરંતુ 1956 માં ગુજરાતીભાષી પ્રજાએ અલગ રાજયની માંગણી કરી, જેના માટે આંદોલન પણ થયું અને 1960 માં ગુજરાત અને મહારાષ્ટ્ર તેમ બે અલગ રાજય થયાં, 1960 માં ગુજરાતના શાસનકર્તાએ દારૂબંધીની નીતિ સ્વીકારી અને ગુજરાતમાં દારૂ વેચવા અને પીવા ઉપર પ્રતિબંધ મૂકયો, આમ 1960 પહેલાં આપણે જેને હવે ગુજરાત તરીકે ઓળખીએ છીએ.

તેવા પ્રદેશમાં રહેતા નાગરિક માટે દારૂ વેચવો અને દારૂ પીવો કોઈ ગુનો નહોતો પણ ત્યારે જે લોકો દારૂ વેચતા હતા અને દારૂ પીતા હતા તેમની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ખરેખર ત્યારે હાલમાં આપણે જેને ગુજરાત કહીએ છીએ તેની કેટલી વસ્તી દારૂ પીતી હતી તેના આંકડા હાલમાં કોઈ પાસે ઉપલ્બધ નથી. ગુજરાતના સિનિયર પત્રકાર મુકુંદ પંડયા જેમણે મુંબઈ રાજયમાંથી ગુજરાતને અલગ થતાં જોયું છે. તેઓ કહે છે 1960 પહેલાં હાલના ગુજરાતનાં લોકો માટે દારૂબંધીનો કાયદો ન્હોતો. આમ છતાં ગાંધીનો પ્રભાવ ખૂબ હતો, જેના કારણે સ્વૈચ્છિક રીતે દારૂ નહીં પીનાર લોકોની સંખ્યા ખૂબ મોટી હતી.

1960 માં ગુજરાતે દારૂબંધી નીતિ સ્વીકારી પણ પહેલા દિવસથી દારૂબંધી નીતિ સારી હોવા છતાં નીતિના અમલકર્તાઓની નિયતમાં ખોટ હતી. 1960 થી 2022 સુધી જે પણ પાર્ટીની સરકાર આવી તેમણે દારૂબંધીની અમલવારી માટે પૂરી તાકાત લગાડી જ નહીં, નિયતમાં ખોટ હોવાનાં અનેક કારણો છે, જે પૈકીનું એક મોટું કારણ એવું છે ગુજરાતમાં બહુ મોટો વર્ગ ખાનગીમાં દારૂ પીવે છે, શ્રીમંતો અંગ્રેજી દારૂ પીવે છે જેની અંદાજીત આવક 25 હજાર કરોડને પાર કરે છે. આ આંકડામાં દેશી દારૂની આવકનો તો સમાવેશ થતો નથી.

આમ સવાલ એવો છે દારૂના આ બે નંબરના ધંધાની આવક માત્ર બુટલેગર કે પછી પોલીસના ખિસ્સામાં જતી નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમના શીરે દારૂબંધીની અમલવારી છે તેમના સુધી તેમનો હિસ્સો પહોંચે છે. દરેક પ્રામાણિક માણસની પણ એક કિંમત હોય છે. આ ગંજાવર આવક જો દારૂના બે નંબર ધંધામાંથી થતી હોય તો અમલવારી કરનાર માટે પ્રામાણિક રહેવું અઘરું કામ છે. દોષ માત્ર અમલવારી કરનાર ઉપર ઢોળી શકાય તેમ નથી. પોણા ભાગનું ગુજરાત ખાનગીમાં દારૂ પીવે છે.

અહિંયા દારૂબંધી હટાવી લેવાની કોઈ વાત નથી, પરંતુ વાસ્તવિકતાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. એક તરફ દારૂ પીનારાને દારૂ પીવો છે. બીજી તરફ દારૂના બે નંબરના ધંધામાંથી થતી આવક છોડવાની કોઈની તૈયારી નથી.આપણે ત્યાં જે બોલકો વર્ગ છે તેમના માટે સરકારે દારૂ પીવા માટે એક અલાયદી વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં 13 હજાર એવાં લોકો છે જેમની પાસે દારૂ પીવાનો પરવાનો છે. આ 13 હજાર લોકો શ્રીમંત છે અથવા વગદાર છે, જેમાં નેતાઓ, પત્રકારો અને ઉદ્યોગપતિ સહિત સરકારી અમલદારો છે.

આપણે દારૂના નામે કેટલો દંભ કરીએ છીએ તેનું આ ઉત્તમ ઉદાહરણ છે કારણ આપણે ગુજરાતનાં લોકોને દારૂ પીવાનો પરવાનો આપી શકતા નથી એટલે ગુજરાત દારૂ પીનારને જે પરવાનો આપે છે તેનું નામ હેલ્થ પરમીટ છે. એક તરફ વિજ્ઞાને પ્રગતિ કરી છે, પરંતુ ગુજરાતમાં એવી બીમારી છે કે તેમની બીમારી કોઈ દવાથી મટે તેમ નથી. માત્ર દારૂ પીવે તો જ તેમની બીમારી મટે તેવી છે એટલે સરકાર આ શ્રીમંત અને વગદારોની બીમારી માટે તેમને દવા તરીકે દારૂ પીવા હેલ્થ પરમીટ આપે છે.

આમ ગુજરાતમાં દારૂ પીનારાં લોકોનો બે વર્ગ છે. એક શ્રીમંત છે, જે અંગ્રેજી દારૂ પીવે છે અને બીજો ગરીબ જે દેશી દારૂ પીવે છે. શ્રીમંતો અંગ્રેજી દારૂ પીતા હોવાને કારણે મૃત્યુ જેવી ગંભીર ઘટનાઓનું પ્રમાણ ઓછું છે, જયારે દેશી દારૂ પીવાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા લાખોમાં છે. પોતાના સમાજને દારૂના વ્યસનમાંથી મુકત કરવા માટે આંદોલન કરતા અલ્પેશ ઠાકોર કહે છે તેમના સમાજમાં હજારો બહેન દીકરીઓ દારૂના કારણે વિધવા થઈ છે.

સુરતના પત્રકાર દિલીપ ચાવડા કહે છે, સુરતની આસપાસનાં અનેક ગામો એવાં છે કે જેમાં હવે વિધવા સ્ત્રીઓ જ છે, પરંતુ આ ગામની કમનસીબી એવી છે કે જે દારૂના કારણે આ મહિલાઓ વિધવા થઈ છે તે વિધવા સ્ત્રીઓ પણ આ જ દેશી દારુના ધંધા દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. દારુબંધીની હિમાયત કરનાર માને છે કે ગુજરાતની શાંતિ અને સલામતી દારૂને આભારી છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ દારૂબંધીની નીતિના અમલ માટેની નિયતમાં ખોટ છે. તેના કારણે આપણે દારૂબંધીના નામે જે કંઈ કરીએ છીએ તે બધું જ પ્રતીકાત્મક બની રહી જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top