ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા નથી અથવા પોતાના ગુણથી સંતુષ્ટ નથી, તેમના માટે બોર્ડે દ્વારા જુનમાં પુરક પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા ‘બેસ્ટ ઓફ ટુ’ યોજનાના આધારે પૂરક પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ફરી તક આપવામાં આવશે જેથી તેઓ પોતાના પરિણામમાં સુધારો કરી શકશે. શિક્ષણ બોર્ડ આગામી દિવસોમાં પૂરક પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. પૂરક પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આવતા અઠવાડિયે સત્તાવાર રીતે પ્રસિદ્ધ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ અથવા પોતાની શાળાનો સંપર્ક કરવાનો રહેશે.