National

રાજસ્થાનની શાળાઓમાં કાતર અને છરી લઈ જવા પર પ્રતિબંધ, ઉદયપુર હિંસા બાદ સરકારની કાર્યવાહી

રાજસ્થાનના શિક્ષણ વિભાગે શાળાઓમાં છરી, કાતર કે અન્ય ધારદાર વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે. ઉદયપુરની એક સરકારી શાળામાં છરાબાજીની ઘટનામાંથી બોધપાઠ લેતા શિક્ષણ વિભાગે આ આદેશ આપ્યો છે. વિભાગે આદેશમાં કહ્યું છે કે શાળામાં છરી, તીક્ષ્ણ કાતર અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુ જેવા તીક્ષ્ણ હથિયારો લાવવા પર સખત પ્રતિબંધ છે.

વિભાગનું કહેવું છે કે આવી કોઈપણ વસ્તુ લાવવી એ શિસ્તનું ઉલ્લંઘન માનવામાં આવશે. તેમજ આ આદેશ નોટીસ બોર્ડ પર મુકવા માટે શાળાઓના આચાર્યોને સૂચના આપવામાં આવી છે. આ સિવાય શિક્ષકોને વિદ્યાર્થીઓની બેગ અને અન્ય સામાનની નિયમિત તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

માધ્યમિક શિક્ષણ વિભાગના નિયામક આશિષ મોદીએ જણાવ્યું કે પરિવારો તેમના બાળકોને અભ્યાસ માટે શાળાએ મોકલે છે. આવી સ્થિતિમાં શાળા કેમ્પસ વિદ્યાર્થીઓ માટે સૌથી સલામત સ્થળ હોવું જોઈએ. ત્યાં કોઈપણ પ્રકારની હિંસા ન થવી જોઈએ. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આ માર્ગદર્શિકા બહાર પાડી છે.

નોંધનીય છે કે શુક્રવારે ઉદયપુરની એક સરકારી શાળામાં 10મા ધોરણના વિદ્યાર્થીએ તેના ક્લાસમેટને ચાકુ માર્યું હતું. જેના કારણે જિલ્લામાં સાંપ્રદાયિક તંગદિલી સર્જાઈ હતી અને શુક્રવાર રાતથી ઘણા વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. ઉદયપુરની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં આગામી આદેશ સુધી રજા જાહેર કરવામાં આવી છે.

એજન્સીના અહેવાલ મુજબ હુમલામાં ઘાયલ વિદ્યાર્થીની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને આરોપી વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બંને વિદ્યાર્થીઓ સગીર છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top