Comments

શિક્ષકનું ઉત્તરદાયિત્વ અને શિક્ષકની સજ્જતા

શિક્ષકનું ઉત્તરદાયિત્વ અને શિક્ષકની સજ્જતા વિષય પર લખવાનું બને ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ ઊઠે કે શું શિક્ષકો સજ્જ નથી? શું શિક્ષકો પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં ઊણાં ઊતર્યાં છે? આ પ્રશ્નનો ઉત્તર જો હકારમાં આવે તો આ લેખ વધુ પ્રસ્તુત બની રહેશે. વિશ્વમાં બે પ્રકારના વિસ્ફોટોએ વિશ્વની દશા અને દિશા બદલી નાંખી છે! સૌથી મોટો વિસ્ફોટ જ્ઞાનના ક્ષેત્રે થયો છે. માહિતીના ક્ષેત્રે થયો છે. આજે આપણે સૌ ટેકનોલોજીના આવિષ્કાર અને ઇન્ફોર્મેશન મિડિયામાં જીવીએ છીએ. કહેવાય છે કે રોજના 3600 પાનાં Absolute Knowledgeના ઉમેરાતાં જાય છે. આજનું જ્ઞાન, આજની માહિતી આવતી કાલે પસ્તીમાં પરિણમે છે!

અત્યાર સુધી આપણે વિજ્ઞાન વિષયમાં શીખવતા આવ્યા છીએ કે પદાર્થ અણુનો બનેલો છે, અણુ, પરમાણુઓનો બનેલો છે અને પરમાણુ તેનાથી પણ સૂક્ષ્મ એવા ઇલેકટ્રોન, પ્રોટોન અને ન્યૂટ્રોનનાં બનેલાં છે. પરંતુ હાલના અતિઆધુનિક સંશોધનોથી પુરવાર થયું છે કે, પરમાણુ માત્ર ઇલેકટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો જ બનેલો નથી, તેમાં બીજાં 26 પ્રકારના કણો આવેલા છે! જેને નામ આપવામાં આવ્યું છે- Strange particals અજાયબ કણો!

આપણે જાણીએ છીએ કે પ્રકાશના વેગ જેટલો વેગ હજુ સુધી કોઇ પદાર્થ કે કણનો નથી! અને તેથી આઇન્સ્ટાઇને કહેલું ‘The speed of light is absolute!!’ પરંતુ જાણીને નવાઇ લાગશે કે પ્રકાશના વેગ કરતાં વધુ વેગવાળો કણ શોધી કાઢવામાં આવ્યો છે. જેનું નામ છે- ‘ટેકયોન્સ’! તેથી વિશેષ આનંદ પમાડે તેવી વાત તો એ છે કે આ કણની શોધ ભારતના વૈજ્ઞાનિક ડો. સુદર્શને કરી છે! હાલમાં જ શોધાયેલા ‘ગોડ પાર્ટીકલ’ની ચર્ચા જોરશોરથી ચાલે છે જાણે ગોડ પાર્ટીકલ,એ ‘ગોડ’નું સ્વરૂપ ન હોય!

આવી તો અનેક બાબતોનો ઉલ્લેખ થઇ શકે. પ્રશ્ન એ છે કે શિક્ષક આ બાબતોથી માહિતગાર છે ખરો? બીજો વિસ્ફોટ વસ્તીનો થયો છે. જેને પરિણામે શાળાના વર્ગખંડો, ખાનગી ટયુશન વર્ગો ઊભરાય છે. પ્રત્યેક વિદ્યાર્થીની કક્ષા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેના સુધી પહોંચવાનું મુશ્કેલ બનતું જાય છે તેથી હવે શીખવવા કરતાં વિદ્યાર્થી જાતે શીખતો થાય તેના પર વધુ ભાર મૂકવામાં આવે છે અને તેમાંથી જ એજયુકેશનલ ટેકનોલોજી દ્વારા અધ્યયન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ‘Learning isto learn how to learn.’

આવી સાંપ્રત પરિસ્થિતિમાં શિક્ષકોએ બદલાવું પડે નહિ? શિક્ષણ વ્યવસ્થા બદલવી પડે કે નહિ? શિક્ષકે પોતાની સજ્જતા વધારવી પડે કે નહિ? થોડાં વર્ષો પહેલાં એક શૈક્ષણિક પ્રોજેકટના ભાગ રૂપે ભારતની મુલાકાતે પધારેલા વિદેશી શિક્ષણશાસ્ત્રી ડો. જયોર્જ લિયોનાર્ડોએ ભારતીય શિક્ષણવ્યવસ્થાનો અભ્યાસ કરી જે અહેવાલ સુપ્રત કર્યો તેના આમુખમાં લખ્યું હતું: ‘લાકડાના પાંજરામાં પૂરાયેલા રાની બિલાડા સમાન તે (આજના ભારતના વિદ્યાર્થીઓ) પાળેલાં છે. તેથી શીખે છે, એક સાચી ક્ષણ આવવા દો. (જો તમે તમારી વર્ગ વ્યવસ્થા, વર્ગ વ્યવહાર અને વર્ગ સંચાલન વગેરે નહિ બદલશો તો…) તમારા વર્ગના ફુરચેફુરચા ઊડી ન જાય તો મને કહેજો.’

આપણા વર્ગના ફુરચા, સાથે આપણા શિક્ષકોના ફુરચા ઊડી ન જાય તે પહેલાં શિક્ષકોએ પોતાની સજ્જતા વધારવી પડશે એવું નથી લાગતું? શિક્ષકસજ્જતામાં સૌથી પહેલી વાત આવે છે વિષય વસ્તુ પરના પ્રભુત્વની (Mastery over the content). ગમે એવી અઘરી, કઠીન વિષય વસ્તુ પણ શિક્ષકને આવડવી જ જોઇએ. શિક્ષક પોતે જ્ઞાતા નહિ સર્જક પણ હોવો જોઇએ. વિદ્યાર્થી કરતાં વધુ જાણકારી ધરાવતો હોવો જોઇએ. આજે ઘણા શિક્ષકો સજ્જતા પ્રાપ્ત કરવા તરફ વળ્યા છે અને સફળ પણ થયા છે તેની ના નથી પરંતુ તેનું પ્રમાણ નહિવત્‌ છે એટલું તો સ્વીકારવું જ રહ્યું.

શિક્ષકો ઘણી વાર કહે છે કે અભ્યાસક્રમ ખૂબ જ અઘરો છે. વિદ્યાર્થીઓની કક્ષા બહારનો છે. આ વાતમાં તથ્ય હશે. પરંતુ ‘બ્રુનર’ નામનો મનોવૈજ્ઞાનિક તો એટલે સુધી કહે છે કે… ‘મને માસ્ટર ઓફ એન્જીનિયરીંગના સાતમા સેમેસ્ટરનો પાઠયક્રમ (Syllabus) આપો, આ પાઠયક્રમ હું સાતમા ધોરણના વિદ્યાર્થીઓને સમજ પડી જાય એ રીતે સરળતાથી સમજાવી શકું!’ આ વાત તેમણે તેના સંકલ્પના બંધારણ પ્રતિમાન (Concept Attainment Model)માં પુરવાર કરી બતાવી છે. ભારતનાં ઘણાં સંશોધકોએ આ વિષયમાં પી.એચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી છે. એનો અર્થ એ થયો કે શિક્ષકને, અઘરી વિષય વસ્તુને સહેલી, અમૂર્ત વિષય વસ્તુને મૂર્ત સ્વરૂપમાં રજૂ કરતાં આવડવું જોઇએ. બીજા શબ્દોમાં કહેવું હોય તો, વિષયવસ્તુનું વિશ્લેષણ (Content Analysis) કરતાં આવડવું જોઇએ. કઇ કક્ષાએ કઇ વિષયવસ્તુ શીખવવાની છે? કયા ખ્યાલો, સંકલ્પનાઓ વધુ દૃઢ કરવાના છે તેનો સ્પષ્ટ ખ્યાલ શિક્ષકને હોવો જોઇએ.

વિષયવસ્તુ પરના પ્રભુત્વની સાથોસાથ, શિક્ષણપદ્ધતિ Bteaching Method) પર પણ શિક્ષકનું પ્રભુત્વ હોવું જોઇએ. શિક્ષક તાલીમ દરમિયાન જે વિવિધ શિક્ષણ પદ્ધતિ શીખ્યા હોય તેનો વિનિયોગ શાળામાં કરવો જોઇએ. શિક્ષક વિવિધ શિક્ષણ પદ્ધતિનો જાણકાર હોય એ આવશ્યક ખરું પરંતુ તેથી વિશેષ આવશ્યક વર્ગખંડમાં અસરકારક રીતે તેનો ઉપયોગ કરે એવો સફળ વિતરક પણ હોવો જોઇએ. શિક્ષણ ક્ષેત્રે બે ભ્રામક ખ્યાલો આજે પણ પ્રવર્તે છે. એક, બોલી બોલીને જ ભણાવી શકાય, બીજું વર્ગખંડમાં જ ભણાવી શકાય! આ ખ્યાલો શિક્ષકોએ તોડવા જોઇએ અને વર્ગખંડની બહાર પણ સહ અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવું જોઇએ. જો કે આજે ઘણી બધી શાળાઓમાં વર્ગ બહાર પણ ઘણી બધી સહ અભ્યાસ પ્રવૃત્તિઓ યોજાય છે, જે ખરેખર આવકારદાયક છે.

આજથી લગભગ 42 વર્ષ પૂર્વે, સાનફ્રાન્સિસ્કો યુનિવર્સિટીના વિદ્વાન લેડી પ્રોફેસર ‘હિલ્ડા ટાબા’ એ કહેલું: ‘Thinking can b taught’ કેવી રીતે વિચારવું એ પણ શીખવી શકાય છે. આ વાત તેણીએ તેના ‘Inductive Thinking Model of Teaching’માં પુરવાર કરી છે. આજે ખાટલે મોટી ખોડ એ છે કે શાળામાં વિદ્યાર્થીઓને કયારેય સંકલ્પનાઓ (Concepts) શીખવવામાં આવતી નથી. નવી સંકલ્પનાઓ વિદ્યાર્થીઓ જાતે ઊભી કરી શકે એ વાત તો જોજન દૂર છે. મોટે ભાગે સંકલ્પનાઓની વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરે છે. આવું ન બને તે માટે શિક્ષકે, વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા જોઇએ. ‘Learning by doing’નો સિદ્ધાંત ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સ્વપ્રયત્ને શીખે એવી પરિસ્થિતિ અને ભાવાવરણ સર્જવું જોઇએ.

એ જ શિક્ષક સજ્જ છે, જે સતત આધુનિકીકરણ અને વિસ્તરતી જતી જ્ઞાનની ક્ષિતિજોના જીવંત સંપર્કમાં હોય. એ જ શિક્ષક સજ્જ છે, જે બદલાતાં જતાં માધ્યમો, પ્રવાહો, ટેકનોલોજી, સાથે કદમતાલ મેળવી વર્ગમાં શ્રેષ્ઠ પ્રદાન કરે. એ જ શિક્ષક સજ્જ છે, જે Mode, Media અને message વચ્ચે સંકલન સાધી શિક્ષણને અસરકારક અને ફળદાયી બનાવી શકે. આવી સજ્જતાવાળો શિક્ષક જ સર્જનશીલ બની શકે છે અને પોતાના શિક્ષકત્વનું ઉત્તરદાયિત્વ સુપેરે નિભાવી શકે છે.
આવી સજ્જતા અને ઉત્તરદાયિત્વ નિભાવતા, સર્જનશીલ શિક્ષકને જ એમ કહેવાનો અધિકાર છે કે- ‘વર્ગ એ સ્વર્ગ છે’! ‘બાળક એ પ્રભુનું પયગંબર છે! ‘ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં જ ઘડાય છે!! વર્ગખંડની દિવાલ પર લખવા માટેનાં આ સુવાકયો નથી! પરંતુ સજ્જ શિક્ષકના ઉત્તરદાયિત્વના જીવંત ઉદ્‌ગારો છે!!
વિનોદ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top