Entertainment

‘અક્ષય’ ફરી ‘ખિલાડી’ બનશે?

અક્ષયકુમારનું સ્ટારડમ અત્યારે ધૂમ્મસથી ઘેરાયેલું છે. શાહરૂખ ખાનની ફિલ્મ અત્યંત સફળ રહી પછી તેની ‘સેલ્ફી’ આવી રહી છે ત્યારે તે જરૂર વિચારતો હશે કે ખોવાયેલું અથવા પ્રેક્ષકોએ બ્લોક કરેલું સ્ટારડમ પાછુ મળે. શાહરૂખે જો કે ચાર વર્ષ રાહ જોવી પડી. અલબત્ત એ દરમ્યાન તેની કોઇ મોટી ફિલ્મ જ રજૂ થઇ નહોતી. અક્ષયની ફિલ્મો તો સતત રજૂ થતી રહી હતી. છેલ્લે ‘રામસેતુ’ અને ‘કટપૂતલી’, ‘રક્ષાબંધન’ પણ માર ખાઇ ગઇ એટલે તેની ફિલ્મોના નિર્માતાઓએ અક્ષયની ફિલ્મોની રજૂઆત ધીમી પાડી દીધી. ‘સેલ્ફી’માં બોલીવુડનો સુપરસ્ટાર વિજયકુમાર આરટીઓ ઓફીસર પાસે નવું ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા માંગે છે. બીજા અર્થમાં જુઓ તો અક્ષય પોતે પણ પ્રેક્ષકો પાસે સફળતાનું લાયસન્સ રિન્યુ કરાવવા માંગે છે. આ ફિલ્મમૂળ મલયાલમ ભાષાની ‘ડ્રાઇવીંગ લાયસન્સ’ પરથી બની છે અને તે કોમેડી ફિલ્મ હતી. આજ સુધીમાં અક્ષયની દરેક કોમેડી ફિલ્મે સારો ધંધો કર્યો છે તો ફરી તેને કોમેડી કરતો જોઇ પ્રેક્ષક ખુશ થઇ શકે છે.

આમ તો અક્ષયની ફિલ્મમાં અક્ષય પૂરતો હોય છે પણ આ વખતે તેની સાથે ઇમરાન હાશ્મી, નુસરત ભરુચા, ડાયના પેન્ટી છે. અક્ષય હોવાથી ફિલ્મમાં એકશન પણ છે અને ડાન્સ પણ છે. ‘મેં ખિલાડી તુ અનાડી’ ગીતને ફરી લોકપ્રિય રીતે રજૂ કરાયું છે. સફળતાનો મસાલો પૂરતો છે પણ સફળથાય પછી જ તેને સફળતાનો મસાલો ગણાવી શકાશે. પંચાવન વર્ષના થયેલા અક્ષય આ ફિલ્મથી કમબેક ઇચ્છે છે. તેને ખબર છે કે આ વખતે ફિલ્મ ઢીલી પડી તો તેને વધારે નુકશાન જશે. આ બધાના કારણે જ તે અત્યારે વળી ‘હેરાફેરી’ની સિકવલપર કામ કરવા માંડયો છે. સફળતાના સિક્કા વટાવવામાન વાંધો શું?

પણ તે શાહરૂખે પોતાની ફિલ્મની જે હાઇપ વધારી તેવું કરતો નથી. જેમ રાજેશ ખન્ના જેવો સ્ટાર નિષ્ફળ જવા માંડેલો તો બેબાકળો બની ગયેલો એમ શાહરૂખનું ય હતું, તેવું અક્ષયનું નથી. હમણાં તે ‘ઓહ માય ગોડ’ની સિકવલ પણ પૂરી કરવામાં છે. તેની પાસે હજુ ઉતારી શકાય તેવા ઘણા પત્તા છે પણ તેમાં હુકમના એક્કા કયા સાબિત થાય તેની ખબર નથી. જે છે તે પત્તામાં ‘કેપ્સ્યુલ ગીલ’ છે જેમાં તેની સાથે પરિણીતી છે. ‘ગોરખા’ પણ મેજર જનરલ લાન કાર્ડોઝોની કહાણી કહે છે.

અન્ય એક ફિલ્મ નીરજ પાંડે દિગ્દર્શીત ‘ક્રેક’ છે અને ‘બડે મિયાં છોટે મિયાં’ તો છે જ. અરે ‘સિંઘમ 3’માં તે ફરી રોહિત શેટ્ટીના દિગ્દર્શનમાં કામ કરે છે જેમાન અજય દેવગણ  અને દીપીકા પાદુકોણ છે. આ ઉપરાંત સસુરારાઇ પોટ્ટરુ’ની રિમેક છે અને એક ફિલ્મમાં તે છત્રપતિ શિવાજી મહારાજ બન્યો છે. કોઇ પણ સ્ટાર માટે નબળો સમય આવે પણ જો પોતે નબળો પડે તો હારી ગયા જેવું કહેવાય. અક્ષય હારે તેવો નથી અને ખૂબ કામ કરે છે. તેની પાસેની આટલી ફિલ્મો જ કહે છે કે હજુ તેનામાં ઘણી શકયતા છે. ‘સેલ્ફી’ રજૂ થવા દો પછી કહેજો કે તે અત્યારે કયાં ઊભો છે. •

Most Popular

To Top