Comments

પોલીસ અને આરોગ્યના પ્રોટોકોલ કેમ નકકી નથી કરવામાં આવતા

કોરોના મહામારીને એક વર્ષ વીતી ગયું છે. પણ શાળા હોય, દવાખાનાં હોય કે પોલીસના કાયદો વ્યવસ્થાના નિયમો હજુ સુધી નાગરિક અધિકારોની લેખિત સૂચના અને તેનું પાલન કરવાના આદેશો થયા છે. એપેડેમીક એકટ અંતર્ગત અમુક નાગરિક અધિકારો મર્યાદિત બને છે પણ મૂળભૂત નાગરિક અધિકારો છીનવાઇ જતા નથી. આમ જુઓ તો આપત્તિકાળના નામે મનઘડત બાબુશાહી વકરે ત્યારે ચૂંટાયેલા નેતાઓએ અધિકારીઓને કાબૂમાં રાખવાના હોય છે અને આ માટે આ નેતાઓએ જ નાગરિક અધિકારોની રક્ષા માટે આગળ આવવાનું હોય છે!

નવા પરિપ્રેક્ષ્યમાં કહીએ તો પોલીસ પ્રોટોકોલ અને મેડીકલ પ્રોટોકોલ ખૂબ વહેલો નકકી થઇ જવો જોઇએ! આપણે લોકઅપ અને લોકડાઉનનો તફાવત જ ન સમજયા. પહેલા લોકડાઉનને કરફયુની જેમ અમલમાં મૂકયું અને સમય જતાં રાત્રી કરફયુ જ શરૂ કરી દીધો! વાસ્તવમાં લોકઅપમાં માણસને પૂરવામાં આવે છે જયારે લોકડાઉન માણસ પોતે બંધ થાય છે. એકમાં તાળું બહારથી છે જયારે બીજામાં અંદરથી ‘પુરાઇ રહેવું’ અને ‘પૂરી દેવું’ એ બે માં ફેર છે. દુનિયામાં કયાંય લોકડાઉનમાં ભારત જેવો અમલ અને ભારત જેવી સજા ન થઇ! પોલીસે ધાબા પર બેઠેલાને પકડયા… દવાખાનેથી પાછા જતા ડોકટરોને પણ હેરાન થવું પડયું….

બાળકેએ માર ખાધો અને મજૂરો સાથે તો અમાનવીય વ્યવહાર થયો! કેમ? કારણ કે કોરોના લોકડાઉનમાં પોલીસે કેવી રીતે વર્તવું તેની સ્પષ્ટ ગાઇડલાઇન બહાર જ ન પડી! આપણી પોલીસને કરફયુ એટલે કોમી તોફાનો બાદની સ્થિતિ! બહાર નીકળે તેને મારો! આ તો સારું થયુ દેખો ત્યાંથી ઠારના આદેશો ન આપ્યા. બાકી કોરોનાથી બચવા ગોળી પણ ખાવી પડત! માની શકાય કે શરૂઆતમાં બધું નવું હતું. પોલીસને ખબર ન હતી. નેતાઓને અંદાજ ન હતો પણ કોરોનાના એક વર્ષ પછી રાત્રી કરફયુમાં પિતાને લોહીની જરૂર પડે અને દીકરો લોહી પહોંચાડવા નીકળે છતાં પોલીસ તેને રોકે અને પિતા જીવ ગુમાવે. આ મૃત્યુ કોરોનાને કારણે નથી થયું!

આ અણઘડ વહીવટ અને પોલીસ બેડાને યોગ્ય સૂચનાનો અભાવ હોવાથી થયું છે. ખરેખર તો એક સ્પષ્ટ ગાઇડલાઇન હોય, જયાં તમામ નાની નાની બાબતો સ્પષ્ટ હોય! બધું જ રસ્તા પર ઊભેલા પોલીસ કર્મીની સમજણ ઉપર ન હોય! એક જ શહેરના બે વિસ્તારની સ્થિતિ જુદી. એક જ રાજયના બે શહેરની સ્થિતિ જુદી. આવું કેમ? જેમ પોલીસ માર્ગદર્શિકા નહિ તેમજ મેડીકલ માર્ગદર્શિકા નહિ… આમ તો જાહેરાત બધી હાઇપાવર કમિટી કરે, પણ શહેર – શહેરમાં નિયમો જે તે અધિકારી કરે! એક દિવસ આધાર કાર્ડ હોય તો જ દાખલ કરે…. એવો નિયમ આવે… બીજે દિવસે જે તે શહેરના જ રહેવાસીને દાખલ કરવા એવો નિયમ આવે! એક દિવસ 108 માં લાવો તો જ દાખલ કરવાના એવું આવે! શું આ બધું જ આપણા મંત્રીઓની હાઇપાવર કમિટી નકકી કરતી હતી! તો પછી કોર્ટને બધા નિયમ બદલવા કેમ પડયા! આજની તારીખે દર્દીના સગાને દર્દીને મળવા નથી દેવાતાં. દર્દીની શું સારવાર ચાલે છે તેની માહિતી નથી અપાતી. દર્દીના એકસ રે પાડયા, સીટી સ્કેન કર્યા તેની વિગત તેના સગાને નથી અપાતી.

અનેક લોકોની ફરિયાદ છે કે દર્દીના અવસાન પછી દર્દીની સારવારની સંપૂર્ણ ફાઇલ આપવામાં આવતી નથી. શા માટે? આ નાગરિક અધિકારોનું ઉલ્લંઘન શા માટે? ખરેખર તો સરકારે પોતે જ સ્પષ્ટ ગાઇડલાઇન આપવી પડે, જેમાં દર્દીના સગાને મળવા દેવાથી માંડીને દર્દીને અપાતી સારવારની રોજેરોજ અપડેટ ફરજીયાત આપવાની થાય! અધિકારીઓ કદાચ ના પાડે તો ચુંટાયેલા નેતાઓએ આ કરવું પડે કે ગુપ્તતાની આડમાં આપણે દવાખાનાની ભૂલો અને કૌભાંડો છાવરવા નથી! વર્ષો પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલે દરેક જાહેર સંસ્થા – ઓફિસોમાં નાગરિક અધિકાર પત્ર જાહેરમાં લગાડવાની યોજના કરી હતી. આજે જરૂર છે કેશુબાપાની એ નાગરિક અધિકારપત્રને પુનર્જીવિત કરવાની.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top