National

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભૂસ્ખલન, 2 બાળકોનાં મોત

ઉત્તરાખંડ: પહાડી વિસ્તારોમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હિમાચલ- ઉત્તરાખંડ સહિત દેશના 7 રાજ્યોમાં વરસાદનો કહેર મંડરાવાનો છે ત્યારે બુધવારે ઉત્તરાખંડમાં એક મોટી દુર્ધટના ધટી હતી. રુદ્રપ્રયાગ જિલ્લામાં ગૌરીકુંડમાં સવાર લગભગ 5 વાગ્યાની આસપાસ ભારે વરસાદના કારણે ભૂસ્ખલનમાં (Landslide) 3 બાળકો કાટમાળમાં દબાઈ ગયા હતા. જેમાંથી 2 બાળકોનાં મોત (Death) થયા હતા.

ગૌરીકુંડના ગૌરી ગામમાં ભૂસ્ખલનને કારણે નેપાળી મૂળના ત્રણ બાળકો કાટમાળ નીચે દટાયા હતા. NDRF, SDRF અને પોલીસે સ્થાનિક લોકોની મદદથી ત્રણેય બાળકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું કે આ બાળકોને સારવાર માટે ગૌરીકુંડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબે બે બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક બાળક સારવાર હેઠળ છે.

બીજી તરફ યમુનોત્રી હાઇવે ઓઝરી ડબરકોટ સ્લાઇડ્સ ઝોન નજીકથી પસાર થતા પેસેન્જર વાહન પર અચાનક ભારે કાટમાળનો પથ્થર પડ્યો હતો. પથ્થર કારની બારી તોડીને અંદર ઘૂસી ગયો હતો, જેમાં એક મુસાફરનું મોત થયું હતું. જ્યારે અનેક ઘાયલ થયા હતા. પૌરી ગઢવાલ અને કાઠગોદામમાં ફસાયેલા લગભગ 165 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. આ સાથે અમરનાથ યાત્રા રોકવી પડી હતી.

હવામાન વિભાગે દેહરાદૂન, પૌરી ગઢવાલ, ટિહરી, ચંપાવત, નૈનીતાલ અને હરિદ્વાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMDની આગાહી મુજબ ચંપાવત, દેહરાદૂન, પૌરી, નૈનીતાલ અને ટિહરી જિલ્લામાં બુધવાર, 9 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદને કારણે મંગળવારે કોટદ્વાર-ભાબર વિસ્તારની તમામ નદીઓ વહેતી થઈ હતી. જેનાં કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો ભયભીત થઈ ગયા હતા. મુશળધાર વરસાદમાં લોકો ઘરની બહાર નીકળીને ધાબા પર આવી ગયા હતા. ઘરમાં બે ફૂટ સુધી ભરાયેલા કાટમાળમાં લોકોનો તમામ સામાન નાશ પામ્યો હતો. તે જ સમયે લગભગ આઠ કલાક સતત વરસાદને કારણે લગભગ 200 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

Most Popular

To Top