Vadodara

કાર ઝાડ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો : બે યુવાનોનાં મોત, એકને સારવાર હેઠળ ખસેડાયો

શિનોર : ગુરુવારની રાત્રે સાધલીથી સુરાશામળ ઘરે જઈ રહેલા ત્રણ યુવાનોની કારસાધલી -મિન્ઢોળ વચ્ચેના વળાંક પર, બે ઝાડ સાથે ધડાકેભર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનોનાં કરુણ મોત નિપજ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કારચાલક યુવાન ને મોટાફોફળીયા થી વધુ સારવાર માટે વડોદરા ની એસ.એસ.જી હોસ્પિટલ માં દાખલ કરાયો છે. સુરાશામળ ગામે રહેતા જુનેદ ઐયુબખાન રાઠોડે શિનોર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ તેઓના ઘરે રહેતો તેમનો ભાણેજ જમીલ અનવર ચાવડા, સાંજે જમીને ભાગોળે બેસવા જાઉં છું તેમ કહી નિકળ્યો હતો. જે બાદ ફરિયાદી જુનેદ રાઠોડને મોબાઈલ પર ફોન પર જાણવા મળેલ કે તમારો ભાણેજ તથા ફળીયાના બે છોકરા ધ્રુવ જગદીશભાઈ પાટણવાડીયા અને અક્ષય મહેશભાઈ પાટણવાડીયા, સ્વીફ્ટ કાર માં બેસી સાધલી થી પરત આવતા રસ્તામાં સાધલી – મિંઢોળ માર્ગ પર ના વળાંક પર તેઓની કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત થયો છે.

જે બાબતની જાણ થતાં ફરીયાદી ફળીયાના માણસો ને લઇ અકસ્માત ના સ્થળે પહોંચી જોતાં કાર કચ્ચરઘાણ હાલતમાં ઝાડ સાથે અથડાઇ બે ઝાડ વચ્ચે ફસાઈ હતી. કાર ચાલક અક્ષય પાટણવાડીયાને બહાર કાઢી, ગાડી માં લોહી લુહાણ હાલતમાં ફસાયેલા ધ્રુવ પાટણવાડીયાને ગાડીમાંથી બહાર કાઢી ૧૦૮ મારફત મોટા ફોફળીયા હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જયારે પાછળ ની સીટ પર બેઠેલા જમીલ ચાવડાને મૃત હાલતમાં મહા મહેનતે ગાડીમાંથી બહાર કઢાયો હતો. મોટા ફોફળીયા ખાતે ધ્રુવ પાટણવાડીયાને મૃત જાહેર કરાયો હતો. જયારે ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલક અક્ષય પાટણવાડીયા ને મોટા ફોફળીયા હોસ્પિટલ થી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો.

Most Popular

To Top