Comments

બે પ્રકારના શિક્ષક હોય છે એક શિક્ષક વર્ગખંડમાં જિંદગી ઘડે છે. બીજા શિક્ષક વર્ગખંડની બહારની દુનિયા બતાડે છે

મારી વ્યકિતગત વાત કરું તો મને શાળા અને કોલેજનું શિક્ષણ કયારેય આકર્ષી શકયું નહીં. મને સતત એવું લાગ્યા કરતું હતું કે હું સ્કૂલ અને કોલેજમાં જે શિક્ષણ મેળવી રહ્યો છું તે મને કામ તો આપશે, પણ તે મારું ગમતું કામ હશે કે નહીં તેની મને ખબર ન્હોતી. બાળક નાનું હોય ત્યારે તેના જુદા પ્રશ્ન હોય છે. તે કિશોર થાય ત્યારે તેના પ્રશ્ન બદલાય છે અને તે યુવાનીમાં પગ મૂકે ત્યારે તેની સામે પ્રશ્નની કતાર ઊભી હોય છે. મારા વર્ગખંડના શિક્ષક અને મારાં માતા પિતા મારી પાસે કાયમ એવી અપેક્ષા રાખતા કે હું તમામ પરીક્ષામાં સારો દેખાવ કરું, પણ જે દોડનો મારે હિસ્સો જ બનવું ન્હોતું તેવી દોડમાં હું  કેવી રીતે સારો દેખાવ કરી શકું. એટલે મારું મૂલ્યાંકન કાયમ મારા પરીક્ષાના માર્કને આધારે થવા લાગ્યું. આવું મોટા ભાગના વિદ્યાર્થીઓ સાથે થાય છે, પરીક્ષામાં અવ્વલ નંબર લાવનારને બધા જ માન આપે છે, જયારે ઓછા માર્ક લાવનાર માટે એક જુદો જ ચોકો હોય છે, પણ મારી જિંદગીમાં એવા શિક્ષક પણ આવ્યા, જેમણે મને વર્ગખંડમાં શિક્ષણ આપવાને બદલે બહાર દુનિયા બતાડી અને કયા રસ્તે મારે જવું તે પસંદ કરવાની મોકળાશ આપી.

જયારે આપણે ‘શિક્ષક’  શબ્દપ્રયોગ કરીએ ત્યારે તે સ્કૂલ- કોલેજનો શિક્ષક જ હોય તેવું જરૂરી નથી. આપણી આસપાસ અનેક એવા લોકો પણ છે, જેઓ શિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલા નથી, છતાં તેમની પાસે પોતાના અનુભવ અને વ્યવહાર દ્વારા બોલ્યા વગર પણ તાલીમ આપવાની કળા છે. આવા જ મારી જિંદગીમાં આવેલા અનેક શિક્ષકો પૈકી અશ્વિની ભટ્ટ છે. મને  અફસોસ એટલે જ છે કે તેઓ મને બહુ મોડા મળ્યા અને મળ્યા પછી વહેલા જતા રહ્યા. હું વાંચન અને સાહિત્યનો માણસ નહીં, હું નક્કર પત્રકારત્વનો માણસ રહ્યો છું. 1995 માં હું અભિયાનમાં જોડાયો જયારે તેના માલિક  મુંબઈના અવિનાશ પારેખ અને તંત્રી કેતન સંઘવી હતા. ગુજરાતમાં અભિયાનની ઓફિસ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અશ્વિની ભટ્ટના બંગલામાં ઉપરના માળે હતી. આ એક સંજોગ હતો. અશ્વિની ભટ્ટ અને તેમનાં પત્ની નીતિભાભીને મળવાનો. અશ્વિની ભટ્ટ અને નીતિભાભીને હું પહેલી વખત મળ્યો, પણ મને પહેલી વખતમાં જ એવું લાગ્યું કે હું તેમને વર્ષોથી ઓળખું છું. મારો વ્યવહાર અને દેખાવ મને રફ, છતાં તેમણે મને કહ્યા વગર પોલીશ કરવાનું કામ કર્યું. આ દંપતી મારા માટે એવાં શિક્ષક સાબિત થયાં કે તેમણે મને સારા પત્રકારની સાથે સારો માણસ બનાવવામાં મદદ કરી.

નીતિભાભી એવાં શિક્ષક જેમની સાથે લડી શકાય અને રીસાઈ પણ શકાય અને પછી બન્ને એકબીજાને સોરી કહ્યા વગર માફ પણ કરી દે. આપણને વર્ગખંડમાં ઉત્તમ શિક્ષકની જરૂર નથી તેવું પણ કહેતો નથી. વર્ગખંડમાં પણ પોતાના વિષય અને વિદ્યાર્થીઓને પ્રેમ કરી શકે તેવા શિક્ષકની જરૂર છે, પરંતુ જિંદગી વર્ગખંડના પુસ્તક પ્રમાણે  ચાલતી નથી, કારણ જિંદગીનો કોઈ એક અભ્યાસક્રમ નથી, જયારે વિદ્યાર્થી વર્ગખંડની બહાર પગ મૂકે છે ત્યારે જ તેની ખરી પરીક્ષાની શરૂઆત થાય છે. આ વખતે જ તેને શિક્ષકની ખરી જરૂર હોય છે, પણ મોટા કિસ્સામાં ત્યારે તેની પાસે કોઈ હોતું નથી.

હું અમદાવાદમાં વર્ગખંડની અને વર્ગખંડની બહારના એવા બે શિક્ષકોને ઓળખું છું, કે જયારે તેઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે કયાંક બહાર મળી જાય તો વિદ્યાર્થી કોણ અને શિક્ષક કોણ તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. સામાન્ય રીતે મોટા ભાગનાં શિક્ષકો વિદ્યાર્થીઓના વ્યકિતગત જિંદગીના પ્રશ્નમાં પડવાનું  ટાળે છે, પરંતુ ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ પ્રાધ્યાપક ડૉ. અશ્વિન ચૌહાણ અને એચ. કે. આર્ટસ કોલેજના પ્રાધ્યાપક સંજય ભાવે બીજા શિક્ષક કરતાં જૂદા પડે છે,તેઓ પોતાના વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ લાવે તેવા પ્રયત્ન વર્ગખંડમાં કરે છે, પરંતુ તેની સાથે તેઓ બહારની દુનિયામાં સારા માણસ બને તેની નીસ્બત રાખે છે. અને તે દિશામાં પ્રયત્ન પણ કરે છે,

તેમની કોલેજનો સમય પૂરો થાય ત્યાર પછી તેમની સાથે તેમના વિદ્યાર્થીઓ કોઈ ને કોઈ પ્રશ્ન સાથે તેમની સાથે જ હોય છે. માત્ર તેમણે કોલેજ પૂરતી વિદ્યાર્થીઓને આ મોકળાશ અને તક આપી નથી, કોલેજના સમય ઉપરાંત અને રજાના દિવસોમાં પણ વિદ્યાર્થી તેમના ઘરે જઈને પણ તેમને પરેશાન કરી શકે છે. સ્કુલ કોલેજનો સમય પાંચ-સાત કલાકનો હોઈ શકે છે, પણ કોઈ શિક્ષકને કલાકોમાં વહેંચી શકાય નહીં, કારણ શિક્ષક ચોવીસ કલાક માટે શિક્ષક હોય છે અને તેમણે મુત્યુપર્યંત શિક્ષક જ રહેવાનું હોય છે. અશ્વિની ચૌહાણ અને સંજય ભાવેનો મને અનેક વખત ફોન આવે, અમારા ફલાણા વિદ્યાર્થીના જીવનમાં આવી સમસ્યા છે. આપણે તેમને કેવી રીતે મદદ કરી શકીશું, આ પ્રાધ્યાપકો વિદ્યાર્થીના જીવનની રોજમરોજની જિંદગીમાં રસ લે  છે.

તેમની નિસબત માત્ર વર્ગ પૂરતી સિમીત નથી, મને પણ વર્ગખંડની બહારનાં શિક્ષકો યાદ રહ્યા છે કારણ તેમણે મને જીવતાં શીખવાડયું છે. મેં અનેક એવા શિક્ષકો પણ જોયા છે જયારે વિદ્યાર્થીઓ પોતાના વ્યકિતગત પ્રશ્ન તેમની પાસે લઈ જાય ત્યારે તેઓ પોતાની જાતને તેનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે કારણ તેઓ માને છે તેમને પગાર વર્ગખંડ માટે મળે છે, વર્ગખંડ બહાર વિદ્યાર્થીઓ સાથે શું બને છે અને તેઓ શુ કરે છે તે તેમની નીસબત નથી, પણ જેઓ વર્ગખંડની બહાર જીવતાં શીખવાડે તેવા શિક્ષકો વિદ્યાર્થીની નજરમાં કયારેય નિવૃત્ત થતાં અને મૃત્યુ પામતા નથી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top