Editorial

કોવિડનો રોગચાળો વિશ્વને આવતા વર્ષે પણ વધતે ઓછે અંશે પરેશાન કરી શકે છે

ચીનમાં ૨૦૧૯ના અંતમાં અને ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત થઇ ત્યારે કદાચ કોઇએ કલ્પના નહીં કરી હોય કે આ રોગચાળો આટલો લાંબો ચાલશે અને તેમાં આટલા બધા ચડાવ ઉતાર આવશે. આ રોગચાળાની શરૂઆત થયાને બે વર્ષ પુરા થવામાં હવે થોડા મહિનાઓ જ બાકી છે ત્યારે પણ દુનિયાના અનેક દેશોમાં તેની હજી નોંધપાત્ર હાજરી છે અને જે દેશોમાં તેના કેસો ખૂબ ઘટી ગયા છે ત્યાં તે ફરીથી વધે તેવો ભય તો છે જ, અને આ રોગચાળો જ્યાં સંપૂર્ણ શમી ગયો હતો તે ન્યૂઝીલેન્ડ અને ચીન જેવા દેશોમાં ફરીથી તેના કેટલાક નવા કેસો દેખાયા છે તો યુકેમાં અચાનક કોવિડના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. હાલનું વૈશ્વિક ચિત્ર જોતા લાગે છે કે કોરોનાવાયરસનો આ રોગચાળો નજીકના ભવિષ્યમાં શમી જાય તેવા ચિન્હો નથી.

ભારતનું ચિત્ર જોઇએ તો માર્ચ, એપ્રિલ મહિનામાં કોવિડના બીજા મોજાએ ભારે હાહાકાર મચાવ્યા બાદ ધીમે ધીમે તેના કેસો ઘટતા ગયા અને હાલ તો નોંધપાત્ર ઓછા થઇ ગયા છે છતાં દેશના કેટલાક ભાગોમાં ચિંતાજનક સ્થિતિ છે. નિષ્ણાતોએ ભારતના રોગચાળાના સંદર્ભમાં હાલમાં જણાવ્યું છે કે ભારત હવે કોવિડના રોગચાળાના બીજા વિનાશક મોજા જેવું નવું મોજું જુએ તેવી શક્યતા નથી, સિવાય કે રોગ પ્રતિકારકતાને થાપ આપી શકે તેવો કોઇ નવો વેરિઅન્ટ નિકળે, પરંતુ કેસોની ઓછી સંખ્યા જોઇને એવું માની લેવાની જરૂર નથી કે આ રોગચાળો હવે સ્થાનિક પ્રકારનો મંદ રોગચાળો બની ગયો છે.

તહેવારોની ઋતુ ચાલી રહી છે ત્યારે આશા પૂરી પાડતા અને સાથો સાથ ચેતવણીનો સૂર પણ કાઢતા તેમણે જણાવ્યું હતું કે કોવિડનો ઘટતો ગ્રાફ એ ચિત્રનો ફક્ત એક ભાગ છે અને તેમણે મૃત્યુ દર, વ્યાપક રસીકરણ કવચની જરૂર અને યુકે જેવા દેશોનું ઉદાહરણ કે જ્યાં કેસો વધી રહ્યા છે તેવા પરિબળો તરફ નિર્દેશ કરી રહ્યો હતો. ભારતે ૧૦૦ કરોડ કોવિડ રસી ડોઝીસનું સીમાચિન્હ સર કર્યું તેના એક દિવસ પછી દેશના અગ્રણી વાયરોલોજિસ્ટ શાહીદ જમીલે જણાવ્યું હતું કે રસીકરણનો દર નોંધપાત્ર સુધર્યો છે પણ હજી વધુ કરવાની જરૂર છે. હું બાબતે ચોક્કસ નથી કે આપણે હજી એન્ડેમિકના તબક્કામાં પ્રવેશ્યા છીએ. આપણે આ ૧૦૦ કરોડનું સીમાચિન્હ સર કર્યું, પણ હજી વધુ અંતર કાપવાનું છે. આપણે એન્ડેમિસિટી તરફ જઇ રહ્યા છીએ, પણ આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી એમ તેમણે કહ્યું હતું.

આ રોગચાળાને કારણે દેશમાં મૃત્યુદર કેટલાક સમયથી ઘટ્યા વગર સ્થિર રહ્યો છે તે બાબત તરફ તેમણે ખાસ ધ્યાન દોર્યું હતું.  રોગચાળા શાસ્ત્રી રમણ લક્ષ્મીનારાયણે જણાવ્યું હતું કે એન્ડેમિક સ્તરના રોગચાળામાં પણ ક્યારેક ઉછાળા આવી શકે છે. જ્યારે કે વાયરસજન્ય રોગચાળો શમ્યો ન હોય, ફક્ત ધીમો પડયો હોય ત્યારે તો તેમાં ઉછાળો આવવાની શક્યતા રહેલી હોય જ છે જેવું કે યુકેમાં હાલમાં બન્યું છે.

જ્યાંથી આ રોગચાળો શરૂ થયો તે ચીનમાં સામ્યવાદી સરકારે કઠોર પગલાઓ ભરીને રોગચાળાને નાથવામાં સફળતા મેળવી તો ખરી, અને હાલમાં તેને કેટલાક સમય સુધી શૂન્ય કોવિડ દર રાખવામાં પણ સફળતા મળી, લગભગ બે મહિના સુધી ચીનમાં કોવિડના કેસો શૂન્ય રહ્યા હતા, પરંતુ હવે ચીનમાં ફરીથી કેસો દેખાઇ રહ્યા છે અને ચીનમાં ફરીથી ટેસ્ટિંગ, ક્વોરેન્ટાઇન, માસ્ક અને સેનિટાઇઝર્સનો માહોલ ઉભો થઇ રહ્યો છે. રશિયામાં કોવિડના કેસોમાં ફરીથી ઉછાળો આવ્યો છે અને આ વાયરસજન્ય રોગથી દૈનિક મૃત્યુનો આંકડો તો હાલમાં તો ત્યાં રોગચાળો શરૂ થયો તે પછીના સૌથી ઉંચો સ્તરે જોવા મળ્યો હતો.

બ્રિટનમાં પણ કોરોનાવાયરસના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે અને આ ઉછાળા માટે ત્યાં ડેલ્ટા વેરિઅન્ટનું એક નવું મ્યુટેશન જવાબદાર હોવાની શક્યતા જોવાઇ રહી છે. ભારતમાં પણ નિષ્ણાતોએ સખત નવું મોજું નહીં આવવાની શક્યતા જણાવવાની સાથે એમ પણ જણાવ્યું છે કે ઇમ્યુનિટીને થાપ આપી શકે તેવો કોઇ નવો વેરિઅન્ટ આવે તો નવું સખત મોજું આવવાની શક્યતા નકારી શકાય નહીં. કુલ મળીને આ બધા સંજોગો જોતા લાગે છે કે કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો વિશ્વના દેશોને આવતા વર્ષે પણ વધતે ઓછે અંશે પરેશાન કરવાનું ચાલુ રાખશે.

Most Popular

To Top