Entertainment

‘તારક મહેતા…’ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ રીટા રિપોર્ટર સાથે પણ ખોટું કર્યું, ખુદ અભિનેત્રીએ કર્યો ખુલાસો

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TarakMehtakaOoltaChashma) શો આજકાલ તેની ટીઆરપી કરતા વધુ વિવાદોને લીધે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ રોશનની ભાભીનું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર યૌનઉત્પીડનના ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે સિરિયલની વધુ એક અભિનેત્રીએ આસિત મોદી વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

સિરીયલમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવી ફેમસ થયેલી પ્રિયા આહુજાએ અસિત મોદી (AsitModi) પર કટાક્ષ કર્યો છે. પ્રિયા આહુજાએ અસિત મોદીને ‘સેડિસ્ટ’ એટલે કે બીજાના દુઃખમાં આનંદ લેનાર વ્યક્તિ ગણાવ્યો છે.

પ્રિયા આહુજા ‘તારક મહેતા શો’ના ડિરેક્ટર માલવ રાજદાની (MalavRajda) પત્ની છે. તેણે પ્રેગ્નન્સીને કારણે થોડા સમય માટે સિરિયલમાંથી બ્રેક લીધો હતો. અભિનેત્રીનું કહેવું છે કે બાળકના જન્મ બાદ તેણીએ અસિત મોદીનો ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોદીની ટીમ તરફથી કોઈ જવાબ મળ્યો નહીં.

એક ઈન્ટરવ્યુમાં પ્રિયા આહુજાએ (Priya Ahuja) અસિત અને તેની ટીમને ‘સેડિસ્ટ’ ગણાવતા કહ્યું મારે તેમને ઓફિશિયલ રાજીનામું આપવું પડ્યું, જેમાં મેં સ્પષ્ટ કર્યું કે હું હવે હું શોનો ભાગ નથી. આસિત અને તેની ટીમ મારા રાજીનામાનો જવાબ પણ ન આપ્યો. મને લાગે છે કે તેઓ મારાથી થાકીને આવું પગલું ભરવાની રાહ જોઈ રહ્યા હતા.

આ સાથે પ્રિયાએ કહ્યું મારા રાજીનામા પછી મને ખાતરી હતી કે મેકર્સ બે દિવસમાં મારા સ્થાને બીજી અભિનેત્રીને કાસ્ટ કરશે. અને એવું જ થયું. તેઓ રીટાના ટ્રેકને શોમાં પાછા લાવ્યા છે અને એક અભિનેત્રીને કાસ્ટ કરી છે. તેઓ ‘સેડિસ્ટ’ છે જેમને બીજાને દુ:ખ પહોંચાડવું ગમે છે.

પ્રિયાએ જણાવ્યું કે તે શરૂઆતથી જ આ સિરીયલ સાથે જોડાયેલી હતી. પહેલા તેણે પ્રેગ્નેન્સીને કારણે બ્રેક લીધો, પછી શોના ડાયરેક્ટર એવા તેના પતિ માલવ રાજડાએ રાજીનામું આપી દીધું હોવાથી તેને પણ કોઈ નોટિસ આપ્યા વિના શોમાંથી હટાવી દેવામાં આવી.

પ્રિયાએ જણાવ્યું કે છેલ્લા આઠ મહિનાથી તેને બોલાવવામાં આવી ન હતી. મને શોમાંથી એટલા માટે દૂર કરવામાં આવી કારણ કે હું માલવની પત્ની છું. પણ હું આ શહેરમાં માત્ર કોઈની પત્ની બનવા નથી આવી. તેઓ એક કલાકાર સાથે આવું કેવી રીતે કરી શકે. મારા પતિ જ્યારે શોના ડાયરેક્ટર હતા ત્યારે પણ મેં ક્યારેય આ સીમા ઓળંગી નથી. હું પણ બાકીના કલાકારોની જેમ સેટ પર કામ કરતી હતી પરંતુ અસિતજીએ ચોક્કસપણે મારી અંગત અને વ્યાવસાયિક જીવનને મિશ્રિત કરી છે.

પ્રિયાએ એ પણ ખુલાસો કર્યો કે માલવે અનેક ગેરવર્તન બાદ શોમાંથી એક્ઝિટ લીધી છે. તેમણે કહ્યું કે માલવે જ્યારે સહનશક્તિની હદ થઈ ત્યારે રાજીનામું આપ્યું હતું. માલવે એક મહિનાની નોટિસ આપી હતી, પરંતુ અસિતે તેને પાંચ દિવસ પછી ન આવવા કહ્યું હતું. તે જાણીતું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 15 વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ઘણા લોકોએ શો છોડી દીધો છે. નિર્માતા અસિત મોદી પર લગભગ દરેકે કોઈને કોઈ આરોપો લગાવ્યા છે.

Most Popular

To Top