SURAT

5 એક્વાકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર પાર્ક બનાવવાની જાહેરાતથી દક્ષિણ ગુજરાતના વેપારને વેગ મળશે

સુરત: (Surat) ભારતના કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ ર૦ર૪-રપના વચગાળાના બજેટની (Budget) જાહેરાત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ ઓનલાઇન ઇન્કમટેક્સ માટેની સુવિધા માટે ભારત સરકારને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘ઇન્કમ ટેક્સમાં ૯૩ દિવસની અંદર જે રિફંડ અપાતા હતા તે હવે ૧૦ દિવસમાં જ આપી દેવાઇ છે. નાણાં મંત્રીને અભિનંદન આપીએ કે એક અઠવાડિયામાં પણ ઇન્કમટેક્સ રિફંડ આવી જાય છે. જો કે, નાની રકમના રિફંડ ઝડપથી આવી જાય છે પણ મોટી રકમના રિફંડ આવવામાં હજી પણ મહિનાઓ લાગે છે. આથી તેને સ્ટ્રીમલાઇન કરી એસ્ટાબ્લિઝડ કરવાની જરૂર છે. ફેસલેસ એસેસમેન્ટની પ્રક્રિયા પણ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. ઇન્ડિયન ઇકોનોમી એ ડિજીટલ ઇકોનોમી બને એ માટેના જે પગલા સરકારે લીધા છે તે ખરેખર જરૂરી હતા.’

ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, નાણાં મંત્રીએ વર્ષ ર૦ર૪-રપ માટે નાણાંકીય ખાધને પ.૧ ટકા જાળવવાની કોશિશ કરી છે, જે આવકારદાયક છે. મત્સ્યોદ્યોગમાં રૂપિયા ૧ લાખ કરોડનો એક્સપોર્ટનો ટારગેટ બનાવ્યો છે. દેશમાં પ એકવા કલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર પાર્ક બનાવવાની જાહેરાત કરી છે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં એકવાકલ્ચર બિઝનેસને વધુ વેગ મળશે. ઓઇલ સીડ માટે ભારત આત્મનિર્ભર બને તે માટે બજેટમાં નવી યોજનાની જાહેરાત કરી છે, જે પણ આવકારદાયક છે. રેલ્વેના ૩ ઇકોનોમિક કોરીડોર કર્યા છે, આથી લોજિસ્ટિક કોસ્ટમાં ઘટાડો થશે તથા નાગરિક પરિવહનમાં સુવિધા વધશે. સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટમાં મળતી ઇન્કમટેક્સની છૂટને બે વર્ષ માટે લંબાવવામાં આવી છે. રૂપિયા ૧ લાખ કરોડનું વ્યાજ ફ્રી ફંડ નવા ઉભરતા સેકટરોમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફાળવ્યું છે, જેને કારણે ઉભરતા સેકટરોનો ઝડપી વિકાસ થશે.
PMEGP સ્કીમમાં રૂપિયા ર૩૦૦ કરોડ ફાળવ્યા છે, જેમાં વધારે રૂપિયા ફાળવવાની જરૂરિયાત હતી. કારણ કે, મહિલા સાહસિકો સહિત તમામ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પૂરી પાડતી આ સ્કીમ છે. ઇન્ટરનેશનલ કો-ઓપરેશન સ્કીમમાં રૂપિયા ર૭ કરોડ ફાળવ્યા છે, જે ગત વર્ષની તુલનામાં ઓછા છે.

માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ કલસ્ટર ડેવલપમેન્ટ સ્કીમમાં રૂપિયા ૪૦૦ કરોડ ફાળવ્યા છે તેનો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા ટેક્સ્ટાઇલ, ગારમેન્ટ અને એન્જીનિયરિંગના નાના કલસ્ટરોને લાભ થશે. RAMP સ્કીમમાં રૂપિયા ૧૧૭૦ કરોડનું ફંડ ફાળવ્યું છે તે પણ આવકારદાયક છે. ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ATUF સ્કીમ પેટે રૂપિયા ૬૭પ કરોડ ફાળવ્યા છે. ઇન્ટીગ્રેટેડ સ્કીમ ફોર સ્કીલ્ડ ડેવલપમેન્ટ માટે રૂપિયા ૧૬૬ કરોડ ફાળવ્યા છે તેનો લાભ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો લઇ શકશે. આ ઉપરાંત પીએમ મિત્રા પાર્કમાં રૂપિયા ૩૦૦ કરોડની ફાળવણી કરી છે. જેને પગલે સુરતમાં નવસારી પાસેના વાંસી બોરસી ખાતેનો પીએમ મિત્રા પાર્ક ઝડપી ગતિથી બનશે એવી ઉદ્યોગકારોની અપેક્ષા છે.

ભારતમાં વિદેશી રોકાણ વધે તે દિશામાં સરકારે કરેલા પ્રયાસને પગલે એફડીઆઇનું હાઇએસ્ટ પ્રમાણ મેળવી શકયા છીએ. જો કે, લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ઘણા સમયથી એકઝમ્પ્ટેડ હતો. રોકાણકારો ઇકવીટીમાં લાંબા ગાળા માટે રોકાણ કરતા હોય છે. પહેલા તેઓને એક પણ રૂપિયાનો ટેક્સ લાગતો ન હતો, પરંતુ વચગાળાના બજેટમાં કરાયેલી જોગવાઇને કારણે તેઓને ટેક્સ લાગશે, આથી નાણાં મંત્રીએ ઇકવીટીમાં રોકાણ કરનારાઓ માટે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇનને એકઝમ્પ્ટેડ કરવો જોઇએ. આવનારા ફુલ બજેટમાં આ બાબતને આવરી લેવામાં આવે તેવી અપેક્ષા છે.

વિદેશોમાં જે ભારતીયો વસે છે તેઓ ભારતમાં બિઝનેસ કરવા માગે છે ત્યારે તેઓને ધ્યાને લઇને એવી સરકારે ઇન્સેન્ટિવ યોજના બનાવવી જોઇએ. જેને કારણે ભારતમાં રોકાણનું પ્રમાણ વધારી શકીએ. અત્યારે તેઓ ભારતની બેંકોમાં એફડી મૂકીને તેનું વ્યાજ મેળવી રહ્યાં છે ત્યારે તેઓને આ વ્યાજ પર પણ જે ટેક્સ લાગે છે તેમાં પણ થોડી રાહત મળવી જોઇએ. નાણાં મંત્રી વચગાળાના બજેટમાં કંપની સેકટરમાં જે ૩૦ ટકાનો સ્લેબ રેટ હતો તેને રર ટકા સુધી લઇ આવ્યા છે. પાર્ટનરશીપ ફર્મ નાનું હોય છે, જે એમએસએમઇમાં આવે છે ત્યારે એના માટે ટેક્સ સ્લેબ રેટ નીચે લાવવામાં આવે તો તેઓ કોર્પોરેટ સેકટરની સામે ટકી શકે તેમ છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં ઇન્કમટેક્સમાં કોઇ રાહત આપી નથી, પરંતુ ઇન્કમટેક્સના કાયદામાં દસ દિવસમાં રિફંડ આપવાની જાહેરાત કરી છે તેને કારણે ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને વ્યાપાર – ધંધા માટે નાણાંકીય રાહત થશે. તેમણે કહ્યું હતું કે, નાણાં મંત્રીએ પ્રધાનમંત્રી સુર્યોદય યોજના હેઠળ દેશભરમાં એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જેને કારણે ઘરમાલિકો વર્ષે રૂપિયા ૧પ હજારથી ર૦ હજાર સુધીની બચત કરી શકશે.

Most Popular

To Top