Comments

ઈરાન દ્વારા તાજેતરના હુમલા મધ્યપૂર્વમાં તણાવ વધારી શકે છે

ઈરાન આજકાલ ચર્ચામાં છે. ઈરાક અને સીરિયા પર હુમલા કર્યાના એક દિવસ બાદ ઈરાને પાકિસ્તાનની સીમા પર મિસાઈલો છોડી હતી. આ ડ્રોન હુમલાએ પાકિસ્તાનમાં બલુચી આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. પ્રશ્ન એ છે કે ઈરાને પાકિસ્તાન, ઈરાક અને સીરિયા પર શા માટે હુમલા કર્યા? ઈરાન ‘એન્ટિ-ઈરાન ટેરરિસ્ટ ગૃપ્સ’તરીકે ઓળખાતા જૂથો સામે કાર્યવાહી કરી રહ્યું છે જેના ભાગરૂપે તેણે આ હુમલા કર્યા હતા. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા બાબતે ઈરાનના વિદેશ પ્રધાન હોસૈન અમીર-અબ્દોલ્લાહૈને કહ્યું હતું કે આ હવાઈ હુમલા દ્વારા જૈશ અલ-અદલ જૂથ, જે ઈરાની આતંકવાદી જૂથ છે.

તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ઈરાન સરહદી વિસ્તારોમાં આતંકવાદીઓ સામે લડી રહ્યું હતું, પરંતુ પાકિસ્તાન પર મિસાઈલ અને ડ્રોન હુમલો અભૂતપૂર્વ છે. આ હુમલાને ઈરાન દ્વારા જવાબી પગલા તરીકે જોવામાં આવે છે. જૈશ અલ-અદલે અગાઉ પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો પર હુમલા કર્યા છે. ઈરાનના મંત્રી અબ્દોલ્લાહૈને કહ્યું હતું કે અમારા સુરક્ષા દળોને મારી નાખનાર આ જૂથે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આશ્રય લીધો હતો.

અમે પાકિસ્તાનની ધરતી પર માત્ર ઈરાની આતંકવાદી જૂથને જ નિશાન બનાવ્યા છે. ડિસેમ્બર ૨૦૨૩માં, ઈરાનના પાકિસ્તાનની સરહદની નજીકના શહેર રાસ્કમાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૧ ઈરાની પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા, જેની જવાબદારી જૈશ અલ-અદલે લીધી હતી. અગાઉ ૨૩ જુલાઈના રોજ, જૈશ અલ-અદલ દ્વારા દાવો કરાયેલા હુમલામાં ચાર ઈરાની પોલીસકર્મીઓ સરહદ નજીક પેટ્રોલિંગ દરમિયાન માર્યા ગયા હતા. જૈશ અલ-અદલ, અથવા ‘આર્મી ઑફ જસ્ટિસ’૨૦૧૨માં સ્થપાયેલ સુન્ની આતંકવાદી જૂથ છે જે મોટાભાગે પાકિસ્તાનમાં કાર્યરત છે. યુએસ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સના કાર્યાલય અનુસાર, જૈશ અલ-અદલ સિસ્તાન-બલુચિસ્તાનમાં કાર્યરત સૌથી સક્રિય અને પ્રભાવશાળી સુન્ની આતંકવાદી જૂથ છે.

ઈરાન અને પાકિસ્તાન બંને વારંવાર એકબીજા પર આતંકવાદીઓને આશ્રય આપતા હોવાનો આરોપ લગાવે છે. ઇરાને વારંવાર ચેતવણી આપી હતી કે જૈશ અલ-અદલ આતંકવાદી જૂથ ઈરાની સુરક્ષા દળો પર આતંકવાદી હુમલા કરવા માટે બલૂચિસ્તાનના સરહદી શહેર પંજગુરમાં પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. ઈરાક અને સીરિયામાં તેના મિસાઈલ હુમલાઓનો બચાવ કરતા ઈરાને કહ્યું કે આ ઈરાનની સુરક્ષા માટે ખતરારૂપ લોકો સામે ટાર્ગેટેડ ઓપરેશન હતું. ત્રીજી જાન્યુઆરીએ, આત્મઘાતી બોમ્બરોએ ઈરાનના કર્માનમાં જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે એકઠા થયેલા ટોળા પર હુમલો કર્યો હતો જેની ઇસ્લામિક સ્ટેટ જૂથે જવાબદારી સ્વીકારી હતી.

આ હુમલામાં લગભગ ૯૦ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઈઆરજીસી)એ જણાવ્યું હતું કે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) સામેનો હુમલો આના જવાબમાં હતો. સીરિયન પ્રદેશોમાં આ આતંકવાદી જૂથની હાજરીની પૃષ્ટિ થયા બાદ ઇરાને જવાબી કાર્યવાહી કરી હતી. ઇરાકમાં હુમલા બાબતે ઇરાને કહ્યું હતું કે તેણે ઇરાકના કુર્દિસ્તાન પ્રદેશમાં ઈઝરાયેલના જાસૂસી હેડક્વાર્ટર (મોસાદ) પર મિસાઇલ હુમલો કર્યો હતો, જે આ પ્રદેશમાં જાસૂસી કામગીરી વિકસાવવા અને આતંકવાદી કાર્યવાહીનું આયોજન કરવા માટેનું કેન્દ્ર રહ્યું છે. ઈરાકમાં થયેલો હુમલો ઈઝરાયેલ દ્વારા ઈરાનતરફી કમાન્ડરોની તાજેતરની હત્યાના જવાબમાં હોવાનું કહેવાય છે.

હમાસને ઈરાન દ્વારા સમર્થન મળેલું છે. તદુપરાંત, યમનમાં હુથી બળવાખોરો, જેમણે રાતા સમુદ્રના પ્રદેશમાં વ્યાપારી જહાજો અને ટેન્કરો પર હુમલો કર્યો છે, તેમને પણ ઈરાનનું સમર્થન હોવાનું કહેવાય છે. લેબનોનના હિઝબોલ્લાહ અને સીરિયા-ઇરાકના અન્ય જૂથોને પણ ઈરાન સમર્થન આપે છે. આ બધા જૂથો પેલેસ્ટિનીઓના સમર્થનમાં ઇઝરાયેલ અને તેના સાથીઓ પર સતત હુમલાઓ કરે છે. ગાઝાપટ્ટીમાં હમાસ પર ઈઝરાયેલના યુદ્ધથી પહેલાથી જ વ્યાપેલા મધ્ય-પૂર્વના તણાવને સીરિયા, ઈરાક અને પાકિસ્તાનમાં ઈરાનના તાજેતરના હુમલાઓ વધારી શકે છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top