Gujarat

“મા- અમૃતમ્ વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને હવે વ્યક્તિગત ઓળખકાર્ડ અપાશે

રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં તથા ગંભીર બીમારીઓ સામે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજય સરકારે મા-અમૃતમ વાત્સલ્ય યોજના અમલમાં છે. જેમાં લાભાર્થીઓને આખા પરિવાર દીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.

કેન્દ્ર સરકારની જોગવાઈઓ મુજબ સમગ્ર રાજ્યમાં “મા – અમૃતમ્” અને “મા – અમૃતમ્ વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવારદીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું. તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે. દા.ત. એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો આ પહેલાં પાંચ વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતું. હવે પરિવારના પાંચ જણને અલગ -અલગ વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે, જેથી સારવાર મેળવવામાં સરળતા રહેશે.

મા અમૃતમ આરોગ્ય અને મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને હવે સરકારી હોસ્પિટલોમાંથી બનાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા“આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”,“મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતાં પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે. મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના સાથે જોડાયેલી કોઇપણ હોસ્પિટલમાં સારવાર મળી શકે છે.

હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેથી બધા લાભાર્થીઓ નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઇની સારવાર અટકશે નહીં. “મા” યોજનાના દરેક લાભાર્થીઓએ હવે નવું કાર્ડ તાત્કાલિક મેળવી લેવા અનુરોધ છે. જેથી જરૂરિયાત પ્રમાણે પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મેળવી શકાશે.

Most Popular

To Top