Latest News

More Posts

નટુભાઈ સર્કલ પાસે ઓફિસ ધરાવનાર મહિલા ઠગ એજન્ટ સહિતની ગેંગે રૂ.24.35 લાખની છેતરપિંડી કરી

વડોદરા તા.2
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામના દિનેશભાઈ જીવનભાઈ આચાર્ય અને તેમના મિત્રોને જ્યોર્જિયાના વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે વડોદરાના મહિલા ઠગ એજન્ટ સહિત પાંચ શખ્સોએ મળીને 24.35 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગોરવા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામના દિનેશભાઈ જીવનભાઈ આચાર્ય (ઉં.વ. 39)ના સોશિયલ મીડિયા પર ગત જાન્યુઆરી 2025 ના રોજ જાહેર ખબર સ્ક્રોલ થઈ હતી. જેના પર વિવિધ વિદેશના વર્ક પરમિટ વિઝા સહિતની કામગીરી કરતા હોવાની માહિતી લખેલી હતી. ત્યાંર બાદ આ વિઝા કન્સલ્ટન્સી રિધાન ઇમિગ્રેશનનો યુવકે સંપર્ક કર્યો હતો. વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે મીરાઝ કોમ્પ્લેક્સ થર્ડ ફ્લોર, પર રૂમ નં. 302 ખાતે આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસે યુવક તથા તેમના પાંચ મિત્રો ગયા હતા. ત્યાં જઈને કાજલ જોશીને મળ્યા હતા અને વિદેશ વર્ક પરમિટ બાબતે વાત કરી હતી ત્યારે કાજલે જ્યોર્જિયામાં વેરહાઉસની નોકરીમાં રૂ. 80થી 90 હજાર પગાર તથા રહેવા-જમવાની સુવિધા મળશે જણાવ્યું હતું. પ્રત્યેક વ્યક્તિએ વિઝા-ટિકિટ માટે રૂ. 5.50 લાખ ચૂકવવાના થશે તેમ કહેતા યુવક સહિતના મિત્રોએ શરૂઆતમાં 50 હજાર રૂપિયાની એડવાન્સ તરીકે કુલ રૂ. 3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નોટરી એગ્રીમેન્ટ પણ કરાવવામાં આવ્યું હતું કે દોઢ મહિનામાં વર્ક પરમિટ મળી જશે તેવી ખાતરી આપી હતી પરંતુ સમયસર તેમને વિઝા મળ્યા નહોતા. એપ્રિલ-2025માં વિઝા આવી ગયાનું કહી વધુ રૂ. 10.50 લાખ તથા પછી રૂ. 19.50 લાખ એજન્ટને આપી દીધા હતા. જુલાઈ-2025માં જ્યોર્જિયા જવાની ટિકિટ આપી દિલ્હી બોલાવ્યા હતા પરંતુ પાસપોર્ટ કે મૂળ વિઝા આપ્યા નહોતા અને વાયદાઓ કર્યા હતા. જેથી કોઈ વિઝા નહીં મળતા યુવકે સતત રૂપિયા પરત માંગતાં આરોપીઓએ રૂ. 8.65 લાખ પરત કર્યા હતા જ્યારે બાકીના રૂ. 24.35 લાખ આજદીન સુધી પરત આપતા ન હતા. જેને પગલે યુવકે મુખ્ય આરોપી રિધાન ઇમિગ્રેશનના માલિક કાજલ જોશી સહિત તેના સ્ટાફના અમર શાહ, શ્રેયા પટેલ, ચિરાયુ પટેલ અને ગૌતમ શાહ વિરુદ્ધ ઠગાઈ ની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

To Top