Madhya Gujarat

હું થાકી જાવ તો સંગીત સાંભળી થાક ઉતારું છું : કલેક્ટર

આણંદ: આણંદ સ્થિત અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠ પ્રેરિત સહજાનંદ કલા સાધના તીર્થ ખાતે જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવીની ઉપસ્થિતિમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટરના હસ્તે કલા ગુરૂઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આણંદના અનુપમ મિશન ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સંગીત કલા ગુરૂઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કલેકટર ડી. એસ. ગઢવીએ જીવનમાં સંગીતનું મહત્વ સમજાવતા ઉમેર્યું કે, સંગીત માણસના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. હું પોતે પણ અઠવાડિયા દરમિયાન કામકાજના કારણે જો માનસિક રીતે થાકી જાવ તો શનિ – રવિ અને રજાના દિવસોમાં સંગીતના કારણે મારો થાક ઉતરી જાય છે. અનુપમ મિશન ખાતે સહજાનંદ કલા સાધના તીર્થ દ્વારા ચરોતરના સંગીત કલા ગુરૂઓના સન્માનના કાર્યક્રમમાં મને સહભાગી બનવાનું સદ્દભાગ્ય મળ્યું તે બદલ હું મારી જાતને નસીબદાર માનું છું.

આ પ્રસંગે કલેકટર ડી.એસ. ગઢવી અને સદ્દગુરુ સાધુ પરમ પૂજ્ય રતિદાદા, અગ્રણી હસમુખભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે ચરોતરના સંગીત કલાગુરૂઓ સર્વ હિતેશભાઈ રાવ, પલકબેન પટેલ, સદાશિવભાઈ દવે, જનકભાઈ દરજી, દિપાલીબેન પ્રજાપતિ, જશવંતભાઈ રાવલ, અનિલભાઈ વ્યાસ, સૌરભભાઇ ડેનિયલ, લોરેન્સભાઈ ક્રિશ્ચન, રાહુલભાઇ પટેલ, તુષારભાઈ ડબગર, નૈનેશભાઈ પટેલ, જીગરભાઈ મિસ્ત્રી, ધીરુભાઈ દેસાઈ, વિશાલભાઈ ગાંધર્વ, નીનાબેન દોશી, ઉષાબેન ઠક્કર, અમિતભાઈ ઠક્કર, દિપ્તીબેન દેસાઈ, ધૃતિબેન બુચ, નિખિલભાઇ પારેખ, ધૃતિબેન પંડ્યા, લાવણ્યબેન ભટ્ટનું સન્માનપત્ર આપીને અને ખેસ પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું, તથા સદ્દગુરુ સાધુ રતિદાદા અને કલેક્ટર ડી. એસ. ગઢવીના હસ્તે ‌‘’ ત્રિ-પુષ્કર વાદ્ય સે તબલા’’ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

યોગી વિદ્યાપીઠના કુલગુરૂ સાધુ રતિકાકાએ ગુરુપૂર્ણિમાના દિવસે સહજાનંદ કલા સાધના તીર્થના સૌ કલાસાધકો અને ચરોતરના સંગીત કલાગુરૂઓ તથા ગીત-સંગીત અને કલા-ભક્તિ સભર એવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભમાં કુશલ ભટ્ટ અને દિયા પારેખ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગાન, કીર્તન ગાન, હાર્મોનિયમ વાદન અને કથક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

જુના ગીત અને શાસ્ત્રી સંગીતનો વધુ શોક છે
આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, રજા દિવસોમાં સંગીત સાંભળવાથી થાક ઉતરી જાય છે. આ સમયે મોટા ભાગે જુના ગીતો, મહંમદરફી, મુકેશ, લત્તા મંગેશકરના ગીત સાંભળવાનું પસંદ કરું છું. જોકે, લાઇવ સંગીત સંધ્યા પર એટલી જ રસપ્રદ હોય છે. જેમાં શાસ્ત્રી સંગીત સાંભળવાથી અનોખો ઉર્જા સંચાર થાય છે.

Most Popular

To Top