National

કાંઝાવાલા કેસમાં અંજલિની મિત્રનું નિવેદન સામે આવ્યું, તેણે કહ્યું અંજલિ નશામાં હતી

નવી દિલ્હીઃ સીએમ કેજરીવાલે કાંઝાવાલા ઘટનામાં મૃતક છોકરી અંજલિના પરિવાર માટે વળતરની જાહેરાત કરી છે. સીએમએ ટ્વીટ કરીને કહ્યું, ‘પીડિતાની માતા સાથે વાત કરી. દીકરીને ન્યાય મળશે. સૌથી મોટા વકીલને મેદાનમાં ઉતારશે. તેની માતા બીમાર રહે છે. તેમની સંપૂર્ણ સારવાર કરાવશે. પીડિત પરિવારને દસ લાખ રૂપિયાનું વળતર આપશે. સરકાર પીડિત પરિવારની સાથે છે. ભવિષ્યમાં પણ જો કોઈ જરૂરિયાત હશે તો અમે પૂરી કરીશું.

(New Delhi) કાંઝાવાલા ઘટનામાં મૃત યુવતી અંજલિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem Report) સામે આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે અંજલિ પર બળાત્કાર (Rape) થયો નથી. તેમજ તેના માથા અને કરોડરજ્જુને ખરાબ રીતે નુકસાન થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ (Death) પહેલા થયેલી ઈજાને કારણે અંજલિના માથા અને કરોડરજ્જુ બંનેના નીચેના ભાગમાંથી લોહી વહેતું હતું. તમામ ઇજાઓ અકસ્માત અને વાહન સ્લીડિંગને કારણે થઇ હોવાની આશંકા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અંતિમ અહેવાલ ટૂંક સમયમાં મળશે.

બહારી દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં થયેલા દુ:ખદ અકસ્માતના મામલામાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતી પર બળાત્કાર થયો નથી. જો કે હજુ સુધી ફાયનલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. પરંતુ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોએ પોલીસને અનૌપચારિક રીતે જણાવ્યું છે કે તેની ઉપર રેપ થયો નથી. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે યુવતીના આખા શરીર પર ઈજાના નિશાન હતા. બીજી તરફ મૃતક યુવતીની મિત્રના નિવેદન લેવાયા છે. યુવતીએ કોર્ટમાં કહ્યું છે કે અમે બંનેએ દારૂ પીધો હતો. તે પોતે પણ દારૂના નશામાં હતી અને અકસ્માત બાદ તે ડરી ગઈ હતી જેથી તે પોતાના ઘરે જતી રહી હતી. મૃતક યુવતીની મિત્ર સુલ્તાનપુરીની રહેવાસી છે.

બીજી તરફ મૃતકની માતાએ જણાવ્યું કે રાત્રે 10 વાગ્યા બાદ પુત્રીનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. તેણે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જો કંઈ ખોટું ન થયું હોત તો દીકરી આવી હાલતમાં ન મળી હોત. રસ્તા પર ખેંચાવાને કારણે કપડાં ફાટી ગયા હોત પણ પુત્રી સંપૂર્ણપણે નગ્ન ન મળી આવી હોત. તેના શરીર પર કપડું નહોતું. દીકરી પર બળાત્કાર ગુજાર્યો, પછી હત્યા કરી રસ્તા પર ફેંકી દીધી. જેથી તે અકસ્માત જેવું લાગે. પરિવારે ન્યાયિક તપાસની માંગ કરી છે.

જ્યારે રિપોર્ટ અનુસાર યુવતીના પ્રાઈવેટ પાર્ટ પર કોઈ ઈજાના નિશાન નથી. ડોક્ટરો આજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સોંપશે. જીન્સ અને સ્વેબ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ગઈ કાલે મૌલાના આઝાદ મેડિકલ કોલેજના શબઘરમાં પોસ્ટમોર્ટમ થયું હતું. મેડિકલ બોર્ડ દ્વારા યુવતીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પીડિતાએ દારૂ પીધો હતો કે નહીં તે માટે વિસેરા સાચવી રાખવામાં આવ્યો છે. પીડિતાના અંતિમ સંસ્કાર પણ આજે કરવામાં આવશે. મૃતકના અંતિમ સંસ્કાર માટે પરિવાર તૈયાર થઈ ગયો છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ કડીઓ જોડવામાં વ્યસ્ત છે. હવે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ પરિવારના ખોટા આરોપનું સ્પષ્ટ ખંડન કરી શકશે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ યુવતીને ઓળખતા ન હતા. હા એ ચોક્કસ છે કે તે સમયે તે નશામાં હતા.

પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું
આ પહેલા આજે દિલ્હીમાં સનસનાટીભર્યા કાંઝાવાલાની ઘટના પર દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓ માત્ર 90 સેકન્ડમાં પોતાની વાત કહીને ચાલ્યા ગયા હતા. પોલીસ હેડક્વાર્ટરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એક અધિકારીએ કહ્યું કે સુલ્તાનપુરીની ઘટનામાં એક નવી હકીકત અમારા ધ્યાન પર આવી છે. ઘટના સમયે મૃતક મહિલાની સાથે અન્ય એક યુવતી પણ હતી. તેણીને ઈજા થઈ ન હતી અને તે ઘટના બાદ ઉભી થઈ ઘરે ચાલી ગઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે આ કેસમાં અમારી પાસે હવે ઘટનાની એક સાક્ષી છે અને તે પોલીસને સહકાર આપી રહી છે. તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આરોપીઓને સજા અપાવવામાં આ મહત્વપૂર્ણ કડી સાબિત થશે. તપાસ હજુ ચાલુ છે અને તે પ્રાથમિક તબક્કામાં છે. તેમણે લોકોને આશ્વાસન આપ્યું કે દિલ્હી પોલીસ ટૂંક સમયમાં જ તપાસ પૂર્ણ કરશે અને દોષિતોને સજા કરવામાં આવશે.

દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા ગૃહ મંત્રાલય પહોંચ્યા હતા. તેઓ ગૃહ સચિવ અજય ભલ્લાને મળ્યા હતા. કાન્ઝાવાલા કેસમાં ગઈકાલે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને તપાસ કરવા અને રિપોર્ટ સોંપવા કહ્યું હતું. અડધો કલાક સુધી બેઠક બાદ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ કહ્યું કે તેઓ આ મામલે ગૃહ સચિવને મળ્યા છે. શાલિની સિંહ આ મામલે તપાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કમિશનરે કેટલાક અન્ય મુદ્દા પર ચર્ચા કરી છે.

આપને જણાવી દઈએ કે નવા વર્ષના દિવસે દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહના ઘણા ભાગો વિકૃત થઈ ગયા હતા. પોલીસને ઘટના સ્થળેથી થોડે દૂર એક ક્ષતિગ્રસ્ત સ્કૂટી પણ મળી હતી. સ્કૂટીના આગળના જમણા ભાગને નુકસાન થયું હતું. પોલીસને સ્થળ પર કોઈ સાક્ષી મળ્યા ન હતા.

Most Popular

To Top