Comments

કોરોનાને નાથવા સામાજિક લોકડાઉન વિચારી શકાય?

વિચારશૂન્યતા એ કદાચ બુદ્ધિશાળી ગણાતા માણસ માટે સૌથી મોટો શાપ હશે. એક પ્રજા તરીકે આપણે વિચારશૂન્યતા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણા વ્યકિતગત જીવનમાં આપણે જવાબદારીવાળા કામોના કોન્ટ્રાકટ આપવાનું શરૂ કર્યું છે. સરકારે પણ પોતાની મોટા ભાગની આર્થિક-સામાજિક જરૂરિયાતો પૂરી પાડવાના કોન્ટ્રાકટ આપવા માંડયા છે. દેશમાં ઘણા બધા કાયદા અને વ્યવસ્થાઓ સીધે સીધા પરદેશમાંથી ઉઠાવેલા છે. માટે ત્યાં પણ વિચારવાનું કામ તો બીજાએ જ કર્યું છે.

આ જ શ્રેણીમાં આગળ હવે એ સ્થિતિ આવી છે કે એક પ્રજા તરીકે આપણે રોજિંદા જીવનવ્યવહારો અને સામાજિક આર્થિક બાબતોમાં વિચારવાનું બંધ કરી દીધું છે. સત્તાવાળા જે કરે તે ખરું તે ન્યાયે આપણે માત્ર અનુકરણ કરનારી, આદેશો પાળનારી અને મૂંગે મોઢે સહન કરનારી પ્રજા બનતા જઇએ છીએ.

કયારેક થાય છે કે શું આપણે આપણું હિત પણ નથી વિચારી શકતા? આમ તો સૌ કહે છે કે માણસ સ્વાર્થી પ્રાણી છે. પણ જીવન અને સ્વહિતથી મોટો કયો સ્વાર્થ હોય? જો આપણે તે માટે પણ બેદરકાર રહીએ તો આપણે સ્વાર્થી પણ કયાંથી કહેવાઇએ? આ આખી જ વાતના મૂળમાં છે ભારતભરમાં વધતા કોરોનાના કેસ. ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસમાં આવેલો ઉછાળો.

આપણે થોડી વાર માટે માની લઇએ કે સત્તાવાળા સ્વાર્થી છે. નેતાઓ સત્તાલાલચુ છે. ચૂંટણીઓ યોજે છે. સભાઓ યોજે છે. રેલીઓ યોજે છે. એવી જ  કમાણી કરવા મેચ યોજે છે. શાળાઓ ખોલે છે કે જેથી ફી ઉઘરાવી શકાય! – વાત સાવ સાચી છે. પણ સરકાર જો સ્વાર્થી અને લાલચુ છે તો આપણે કેમ સ્વાર્થી નથી બનતા? સરકારને, નેતાઓને સત્તા વહાલી છે. રૂપિયા વ્હાલા છે તો આપણને કેમ જીવ નથી વ્હાલો? રૂપિયા નથી વ્હાલા! સરકારે ચૂંટણી ભલે યોજી, પણ સભા – સરઘસ – રેલીમાં આપણે શા માટે જવું! આપણે માત્ર મતદાનના દિવસે ચુપચાપ મત આપી આવીએ!

આપણને ખબર છે કે મેચ જોવા જવાના રૂપિયા થાય છે. મેદાનમાં ખાવા-પીવાના બે-ત્રણ ઘણા રૂપિયા વસુલાય છે. કોરોના ફેલાવાનો સૌથી વધુ ભય ત્યાં જ છે! છતાં રૂપિયા ખર્ચીને, લૂંટાવા તથા કોરોનાગ્રસ્ત થવા આપણે હજારોની સંખ્યામાં ત્યાં પહોંચી જઇએ છીએ!

કોરોનાની શરૂઆતમાં જ ડાહ્યા માણસો એક સૂત્ર કહેતા હતા કે ‘જો તમને સરકારમાં વિશ્વાસ છે તો સરકારની સૂચનાઓનું પાલન કરો અને જો તમને સરકારમાં વિશ્વાસ નથી તો તો સૂચનાઓ પાળ્યા સિવાય છૂટકો નથી.’

વાત સરકારના બચાવની નથી. સરકારની અનેક ભૂલ છે. પક્ષપાતી વલણ છે. પણ સરકારને જોઇતું બહાનું આપણે જ પૂરું પાડીએ છીએ! ‘પ્રજા જ નાસમજ છે’ – આ વાત તેઓ કહી શકે છે! કારણ ભૂલો આપણે જ કરીએ છીએ! કારણ ક્રિકેટ મેચો હોય, સ્કુલ હોય, ધાર્મિક મેળાવડા હોય, સામાજિક પ્રસંગો હોય કે ચૂંટણી સભા…. કયાંય પણ જવું ફરજીયાત નથી કે ન હતું! અને જયાં જવું ફરજીયાત નથી ત્યાં જવાથી થનારા નુકસાન માટે આપણે ઇચ્છીએ તો પણ સરકારનો દોષ કાઢી શકતા નથી.

કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગત વર્ષ થયું હતું તેવું લોકડાઉન હવે શકય નથી. પણ સમજણપૂર્વકનું સામાજિક આદાનપ્રદાન ઓછું થાય તેવું સ્વૈચ્છિક લોકડાઉન પ્રજા અને સરકાર બન્ને કરી શકે!

આપણે આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ રાખીને સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓ અને બિનઉત્પાદક મેળાવડાઓ બંધ રાખી શકીએ. સરકાર શાળા – કોલેજ, લગ્ન પ્રસંગ, સામાજિક પ્રસંગને નિયંત્રિત કરી શકે.

પ્રજા અને સત્તાવાળા ભેગા થઇ માત્ર આર્થિક પ્રવૃત્તિઓ ચાલવા દે અને બિનજરૂરી મુસાફરી, મેળાવડા બંધ કરે તો વકરતો કોરોના કાબૂમાં આવે. સાથે વેકિસનેશનની કામગીરી ચાલે તો અર્થતંત્ર અટકયા વગર રોગ પર નિયંત્રણ થઇ શકે! કોરોના અંગેનો આખા વરસનો અનુભવ એમ કહે છે કે ‘આપણું ધ્યાન માત્ર આપણે જ રાખવાનું છે!’

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top