Comments

ચંડીગઢ ચુકાદો : ચૂંટણીમાં ગેરરીતિઓ અટકશે?

ચંડીગઢના મેયરની ચૂંટણી અને સુપ્રીમના ચુકાદાની ચર્ચા થાય છે અને થતી રહેશે. કારણ કે આ ચુકાદો ચૂંટણીઓમાં થતી ગેરરીતિ સામે માઈલસ્ટોન સમાન ચુકાદો છે. એનો રેફરન્સ અપાતો રહેશે. ચંડીગઢ મહાપાલિકામાં મેયરની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસે સંયુક્ત ઉમેદવાર રાખ્યો અને ભાજપ સામે હતો. સંખ્યાબળ ‘ઇન્ડિયા’પાસે હતું પણ ચૂંટણી અધિકારી અનિલ મસીહાએ આઠ મતપત્રકોમાં ગોલમાલ કરી એને અમાન્ય ઠેરવી ભાજપના ઉમેદવારને જીતેલો જાહેર કર્યો.

વિવાદ થાય એ સ્વાભાવિક છે અને સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જણાયું કે, મસીહાએ મતપત્રકો સાથે છેડછાડ કરી હતી. હાઈકોર્ટમાં વાત પહોંચી પણ હાઈકોર્ટે નિર્ણય ના કર્યો અને વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી અને સુપ્રીમે ફટાફટ સુનાવણી હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ જોઈ કહ્યું કે, આ લોકશાહીની હત્યા છે. આખરે સુપ્રીમ કોર્ટે કોર્ટમાં મતપત્રકોની ગણતરી કરી અને અગાઉની ગણતરી ખોટી ઠેરવી ઇન્ડિયાના ઉમેદવારને વિજેતા ઘોષિત કર્યા અને ચૂંટણી અધિકારી સામે કેસ ચલાવવા આદેશ કર્યો.

કદાચ કોઈ ચૂંટણી માટે કોર્ટે આ રીતે નિર્ણય આપ્યો હોય એવું ભારતના ઇતિહાસમાં બન્યું નથી અને એટલે આ ચુકાદો ઐતિહાસિક ગણાય છે. ચૂંટણી અધિકારી અનિલ મસીહા ભાજપ સાથે જોડાયેલા હતા પણ વિવાદ થતાં એમને તગેડી મૂકવામાં આવ્યા. મસીહાએ આવું કેમ કર્યું ? એ પ્રશ્ન અનુત્તર છે પણ કોઈના કહેવાથી કર્યું હોય એ સ્પષ્ટ છે અને ભાજપ દ્વારા આ મુદે્ એક પણ નિવેદન આવ્યું નથી એ પણ આશ્ચર્યજનક છે. ભાજ્પ પાસે કોઈ બચાવ પણ નથી.

સવાલ એ છે કે, ચૂંટણીઓ સામે આ ચુકાદો એક સવાલ ઉઠાવે છે. કોઈ ગેરરીતિ થાય તો કોર્ટ દરમિયાનગીરી કરી ચુકાદો આપી શકે છે. જો કે, ચંડીગઢમાં ચૂંટણી પાંચ ચિત્રમાં નથી એટલે કદાચ સુપ્રીમ ઝડપથી ચુકાદો આપી શકી. અન્ય ચૂંટણી કે જ્યાં ચૂંટણી પંચની હાજરી છે એવા કિસ્સામાં ગેરરીતિ થાય તો શું? ચૂંટણી પંચ એમની પાસે આવતી ફરિયાદો લક્ષમાં લઇ એનો નિકાલ કરે છે પણ વાત કોર્ટમાં જાય, સુપ્રીમમાં જાય ત્યારે ચુકાદા આવતા બહુ સમય લાગે છે.

ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના કેસની યાદી કરી શકાય એમ છે. ચંડીગઢના ચુકાદાને ગંભીરતાથી લેવો જોઈએ એ વાત સાચી, પણ ચૂંટણીઓમાં ગેરરીતિઓ એ કારણે અટકી જ જશે એવું કહેવું અતિશયોક્તિ ગણાશે. હા, આપણે ત્યાં પહેલાં કરતાં ચૂંટણી વધુ સારી રીતે થાય છે. ગોલમાલ ઘટી છે. પણ ગેરરીતિ થતી જ નથી એવું તો કોઈ કહી ના શકે. કેટલાક કિસ્સામાં ફેર-મતદાન થાય છે પણ એ અમુક મતદાન મથક પૂરતું સીમિત હોય છે. ઈવીએમ સામે પણ કેટલાક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. એના સંપૂર્ણ જવાબ હજુ સુધી મળ્યા નથી.

આપ પર વધુ સકંજો
આપ સામે સરકારી એજન્સીઓ વધુ કડક બનતી જાય છે. દિલ્હી સરકારના ત્રણ મંત્રી અને નેતા તો અંદર છે જ. મની લોન્ડરિંગ કેસ છે એટલે એમાં કેસ લાંબો ચાલતો હોય છે અને જામીન મળવા મુશ્કેલ હોય છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન જેલમાં ગયા અને એ પહેલાં એમણે રાજીનામું આપવું પડયું. જો કે, ઝારખંડમાં ભાજપ સરકાર રચી ના શક્યું એ જુદી વાત છે. અલબત્ત , કોંગ્રેસ અને જેએમએમ વચ્ચે વિખવાદ શરૂ થયો છે એનો લાભ ભાજપ ના ઉઠાવે તો જ નવાઈ. બીજી બાજુ અરવિંદ કેજરીવાલને ઇડી દ્વારા એક પછી એક સમન્સ અપાઈ રહ્યા છે. કેજરીવાલ હાઈકોર્ટમાં ગયા છે અને એ વાત આગળ ધરી એ ઇડી સામે હાજર થતા નથી. ઇડી સમન્સ આપવામાં જરા ય કચાશ રાખતી નથી. આપ અને સરકાર વચ્ચે સંઘર્ષ વધતો જાય છે. દિલ્હીમાં તો છે જ. હવે પંજાબ અને કેન્દ્ર સરકાર સામસામાં આવી ગયાં છે.

ખેડૂત આંદોલન ચાલુ છે અને એમએસપીનો મુદો્ ફરી ઉછળ્યો છે અને એમાં ખેડૂતોને દિલ્હી સુધી ના પહોંચવા દેવા ભાજપ સરકાર જે કરી રહી છે એ અકલ્પનીય છે અને પંજાબ આ મુદે્ અલગ પડ્યું છે. ત્યાં આપ સરકાર છે અને મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા હરિયાણા સરકાર દ્વારા સરહદ પર ખેડૂતોને રોકવા જે પગલાં  લેવાયાં છે એ મુદે્ વિરોધ કરાયો છે. આપ અને સરકાર વચ્ચે આ બીજો સંઘર્ષ શરૂ થયો છે અને એ વધુ તીવ્ર બનશે એવાં એંધાણ મળી રહ્યાં છે. કારણ કે લોકસભાની ચૂંટણી માથે છે.

આખરે યુપીમાં કોંગ્રેસ – સપા સમજૂતી
ઇન્ડિયા ગઠબંધન તૂટી જ ગયું છે એવામાં યુપીમાંથી વિપક્ષી મોરચા માટે સારા સમાચાર યુપીમાંથી આવ્યા છે. દેશના સૌથી મોટા રાજ્ય અને સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા આ રાજ્યમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સમજૂતી થશે એ મુદે્ બહુ બધી વિટંબણા રહી પણ આખરે સપાએ ૧૭ બેઠક કોંગ્રેસને આપવાની વાત કોંગ્રેસે માની લીધી છે અને બંને પક્ષો સાથે ચૂંટણી લડશે. આ સમજૂતી થાય એ માટે પ્રિયંકા ગાંધીએ દરમિયાનગીરી કરી અને કામ બન્યું. અલબત્ત,કોંગ્રેસે ૧૭ બેઠકમાં સમજૂતી કરવી પડી છે એનો અર્થ એ થયો કે, કોંગ્રેસ કેટલી નબળી પડી છે.

પણ બંગાળથી લઇ કાશ્મીર સુધી ઇન્ડિયા ગઠબંધનમાં ગાબડાં જ પડ્યાં છે. મમતા બેનર્જી કોંગ્રેસ સાથે સમજૂતી કરવા તૈયાર નથી. ત્યાં કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે છે. કાશ્મીરમાં હમણાં જ ફારુક અબ્દુલ્લાએ કોંગ્રેસ સાથે સમજૂતી કરવાની ના પાડી છે. આપે દિલ્હી અને પંજાબમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આપે બે બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. આવા સંજોગોમાં યુપીમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સમજૂતી થાય એ મહત્ત્વ ધરાવે છે. જો કે, ત્યાં બસપા એકલા હાથે ચૂંટણી લડશે એ નક્કી થઇ ગયું છે. ચૂંટણી જાહેર થાય એ પહેલાં ઇન્ડિયામાં હજુ ભંગાણ પડી શકે છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top