Comments

આઝાદના રહસ્યમય રાજકીય આટાપાટા

તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૨. ગુલામ નબી આઝાદ કોંગ્રેસની પાંચ દાયકાથીય વધુ લાંબી ‘ગુલામી’માંથી આઝાદ થઇ ગયા અને કોંગ્રેસ સાથે છેડો ફાડતાં રાજીનામાપત્રમાં લખ્યું કે પક્ષમાં પોઇંટ ઓફ નો રીટર્ન’ જેવી પરિસ્થિતિ થઇ છે. પક્ષ ચંડાળ ચોકડીના હાથમાં નિષ્પ્રાણ થઇ ગયો છે. ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં હવે ચમચાઓનું રાજ છે. ગાંધી પરિવારના એક વારના વફાદાર સભ્ય આઝાદે કહ્યું કે પક્ષના પતન માટે રાહુલ જવાબદાર છે.
થોડાક ખંચકાટ પછી અને વતન રાજય જમ્મુ-કાશ્મીરની ચંડાળ ચોકડીના દબાણથી તેમણે ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ની રચના કરી. જો કે આ પક્ષ હજી ચૂંટણી પંચ સમક્ષ નોંધાયો નથી. આઝાદનું રાજીનામું જમ્મુ-કાશ્મીરનો વધુ એક બોંબધડાકો હતો કારણકે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીના કાળથી તેઓ ગાંધી પરિવારની ખિદમત કરતા હતા. તા. ૭મી નવેમ્બર, ૨૦૨૨. ગુલામ નબી આઝાદે વધુ એક બોંબ રાજકીય વર્તુળો પર ઝીંકયો છે એ તેની અસર કેટલી થશે તે હજી જોવાનું છે.

તેમનો બોંબ આવો હતો: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાઓની ચૂંટણીમાં માત્ર કોંગ્રેસ જ ભારતીય જનતા પક્ષને પડકારી શકે છે. આમ આદમી પક્ષ તો કેન્દ્રશાસિત દિલ્હી પૂરતો જ મર્યાદિત છે. હું કોંગ્રેસની બિનસાંપ્રદાયિકતાની નીતિ વિરુધ્ધમાં નથી. નબળા સંગઠનતંત્રને કારણે મારે કોંગ્રેસ પક્ષ છોડવો પડયો. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ સારો દેખાવ કરે એમ હું હજી ઇચ્છું છું. આપની તો એવી કોઇ તાકાત જ નથી.
રાજકારણીઓની આ ગુલાંટબાજી જોઇને કોઇને આશ્ચર્ય નહીં થવું જોઇએ. આઝાદે ત્રણ જ મહિનામાં ગુલાંટ મારી તેનો પ્રશ્ન એ થાય છે કે તેમનું હૃદયપરિવર્તન થયું કે ‘ઘર વાપસી’ કરવી છે? આઝાદ વાણી કહે છે: કોંગ્રેસ હિંદુઓ, મુસલમાનો, શીખો વગેરે સૌને સાથે લઇને ચાલે છે. આપ ચૂંટણી થવાની છે તે રાજયોમાં આવું ન કરી શકે. પંજાબમાં તે ઊંધો પડયો છે અને પંજાબનાં લોકો તેને ફરી મત નહીં આપે.

કોંગ્રેસ હજી જાહેર નહીં થયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી કરે છે અને આઝાદ પણ પહાડી પ્રદેશોનો વીજળી વેગે પ્રવાસ કરે છે ત્યારે તેમના આ હૃદયપરિવર્તનનો શું હેતુ? પોતે શાસક ભારતીય જનતા પક્ષ પ્રત્યે કૂણું વલણ દર્શાવે છે એવા મતનો છેદ ઉડાડી ચૂંટણી પહેલાંનાં અને પછીના વિકલ્પો તે ખુલ્લા રાખવા માંગે છે.
શરૂઆતમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા તે સિવાય આઝાદે પોતાની જાહેર સભાઓમાં કે મુલાકાતમાં કોઇ પણ રાજકીય પક્ષોનો ઉલ્લેખ નથી કર્યો અને જમ્મુ કાશ્મીર માટે થયેલા બંધારણીય ફેરફાર રદ કરવાની પણ કોઇ વાત નથી કરી!
આઝાદનું જમ્મુ-કાશ્મીરના પ્રદેશોમાં ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં સાચું વર્ચસ્વ છે અને મુખ્ય પ્રધાન તરીકેની તેમ જ એક રાજકારણી તરીકે તેમની સારી છાપ છે.

આઝાદનું વર્ચસ્વ છે તે વિસ્તારો પણ ડો. ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને ભારતીય જનતા પક્ષનો પણ ડોળો છે તેથી આઝાદે સાવધ રહેવું પડશે. બંધારણની કલમ ૩૭૦ ના મુદ્દે પ્રારંભમાં મૌન સેવ્યા પછી તેમણે મોં ખોલ્યું: જમ્મુ – કાશ્મીરને રાજયનો દરજજો પાછો આપો. જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ અને વતનીઓના જમીન-નોકરીના હકકોનું રક્ષણ કરો. તેમનું મોં આ રીતે ખૂલ્યા પછી ગુંચવાડો સર્જાયો હતો. બંધારણની કલમ ૩૭૦ ના મામલે તેઓ ચૂપ હતા એનો અર્થ એવો કાઢવામાં આવ્યો હતો કે તેઓ ભારતીય જનતા પક્ષના ખોળામાં બેસી રહ્યા છે અને આ કેન્દ્રશાસિત પ્રદેશની મુસ્લિમ બહુમતીના સંદર્ભમાં પક્ષની ચૂંટણીની કેટલી તક છે તે જોઇ રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરને ફરી રાજયનો દરજજો આપવામાં આવે અને જમીન – રોજગારીના હકકોનું રક્ષણ કરવામાં આવે એવી માંગ જમ્મુ – કાશ્મીરમાં ભેદભાવ વગર બુલંદ થતી જાય છે. આઝાદનું વર્ચસ્વ છે તે ક્ષેત્રના મોટા ભાગનાં લોકો દાયકાઓથી કોંગ્રેસના ટેકેદાર છે તે વાતની આઝાદે અવગણના કરવી નહીં જોઇએ અને તેના મનમાં પણ આ વિચાર આવ્યો જ હશે.
આઝાદ ફરી કોંગ્રેસમાં જોડાશે? તેમનું વલણ કૂણું પડતું જાય છે તે એવો નિર્દેશ આપે છે કે આઝાદ પાર્ટી, કોંગ્રેસ, નેશનલ કોંગ્રેસ અને કેટલાંક નાનાં જૂથો મળી બિનસાંપ્રદાયિક જૂથ રચે પણ ખરા. મોદી સાથેનું તેમનું ‘ઇલુ ઇલુ’ ચૂંટણી પછી ભારતીય જનતા પક્ષના ખોળામાં બેસવાનો ઇરાદો દર્શાવે છે. તો પછી કોંગ્રેસ પ્રત્યે તેમને આટલો પ્રેમ કેમ ઉભરાયો? આગળ શું થાય છે તે જોવું રહ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top