Comments

કળા હોય કે કાનૂન, અશ્લીલતા જોનારની આંખમાં વસે છે?

‘તાકી ન રહેશો. અમે સ્તનપાન કરાવીઍ છીઍ.’ આ ફોટોલાઈન ધરાવતી ઍક તસવીર મલયાલમ સામયિક ‘ગૃહલક્ષ્મી’ના મુખપૃષ્ઠ પર ત્રણેક વરસ અગાઉ છપાયેલી. જાહેરમાં સ્તનપાન કરાવવા બદલ મહિલાઓ સંકોચ ન અનુભવે ઍ માટેની ઍક ઝુંબેશના ભાગરૂપે ગીલુ જાસેફ નામની મોડેલનું ખાસ ફોટોશૂટ કરાવીને તેની સ્તનપાન કરાવતી તસવીર આ સામયિકે  મુખપૃષ્ઠ પર મૂકી હતી.

અશ્લીલતાની ફરિયાદ થઈ અને મામલો અદાલત સુધી પહોંચ્યો. વડી અદાલતના ન્યાયમૂર્તિઓની બેન્ચે અશ્લીલતાની ફરિયાદ કાઢી નાખી અને કહ્યું, ‘અમારા શ્રેષ્ઠ પ્રયત્નો છતાં આ તસવીરમાં અમને અશ્લીલતા જણાઇ નથી કે તેના લખાણમાં કશું વાંધાજનક જણાયું નથી. રાજા રવિ વર્મા જેવા કલાકારનાં ચિત્રોને જોઈઍ ઍ જ દૃષ્ટિઍ અમે આ તસવીરને જોઇ છે. સૌંદર્ય જેમ જોનારની આંખમાં વસે છે, ઍવું જ કદાચ અશ્લીલતા વિશે છે.’ આમ, કેરળની વડી અદાલતે સામયિકની, તસવીરની અને ખરેખર તો મૂળ મુદ્દાની તરફેણમાં ચુકાદો આપ્યો.

બીજા મામલાનો નિકાલ પોલીસ ફરિયાદથી આવી ગયો. તાજેતરમાં થયેલા મિન્ત્રા નામની કંપનીના લોગો (પ્રતીકચિહ્ન) બદલવાના મામલે અનેક લોકોઍ પ્રતિક્રિયા આપી, જેમાંના મોટા ભાગનાનો સૂર ઍ હતો કે અશ્લીલતા જોનારની આંખમાં વસે છે. આ વિવાદને પગલે ગઈ કાલ સુધી સાવ અજાણી રહેલી નાઝ પટેલ નામની યુવતી અચાનક પ્રસિદ્ધિ અને મોટા ભાગના લોકો માટે મજાકનો વિષય બની ગઈ છે.

‘મિન્ત્રા’ના પ્રથમાક્ષર અંગ્રેજી અક્ષર ‘ઍમ’માં આ યુવતીને સ્ત્રીની પ્રસૂતિમુદ્રા (ડિલીવરી પોઝ) દેખાયો. પોતાને દેખાયું ઍવું જ અન્યોને લાગે છે કે કેમ ઍ વિશે તેણે અમુક પરિચિતોને પૂછ્યું. આખરે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. આ મામલાને અદાલત સુધી પહોંચવાનો વારો જ ન આવ્યો.

કંપનીના સંબંધિત અધિકારીઓ સાથે વાત થઈ અને તેઓ પોતાનો લોગો બદલવા માટે સંમત થઈ ગયા. ઍકાદ મહિનામાં તેઓ તેનો અમલ કરી દેશે ઍવી ખાતરી આપી. આ મામલે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર લોકોઍ નાઝ પટેલની ‘નારીવાદી’ માનસિકતાની ભરપૂર ખીલ્લી ઉડાવી.

આ બન્ને કિસ્સામાં સામ્ય હોય તો સંવેદનશીલ મુદ્દાનું છે, જેના કેન્દ્રમાં મહિલા છે. કાનૂને તેમાં મહિલાઓની સંવેદનશીલતાની તરફદારી બતાવી છે. ત્રીજા કિસ્સામાં મહિલાઓ, કાનૂન અને સંવેદનશીલતા છે, પણ તેનું પરિણામ જૂદું છે.

૩૯ વર્ષના ઍક આરોપી પર બાર વર્ષની ઍક બાળા પર યૌન ઉત્પીડનનો આરોપ હતો અને નાગપુર સેશન્સ કોર્ટે તેને ભારતીય દંડસંહિતા ૩૫૪ હેઠળ ઍક વર્ષની તથા ‘પ્રોક્સો’ (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ ઍક્ટ) અંતર્ગત ત્રણ વર્ષની સજા ફટકારી હતી. અલબત્ત, મુંબઈ વડી અદાલતનાં જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાઍ આ સજા રદ કરી. બાળકો પર થતા જાતીય હુમલા સામે રક્ષણ માટે ‘પ્રોક્સો’નો ખાસ કાયદો બનાવવામાં આવેલો છે.

આ કાયદાનું અર્થઘટન કરતાં જસ્ટિસ પુષ્પાઍ કહ્યું: ‘વક્ષસ્થળને બળજબરીથી સ્પર્શ કરવો ઍ યૌન ઉત્પીડન નથી. પ્રોક્સો હેઠળ યૌનહુમલો ત્યારે જ ગણાય, જ્યારે યૌનસંબંધને ઇરાદે ત્વચાથી ત્વચાનો સ્પર્શ (સ્કીન ટુ સ્કીન ટચ) કરવામાં આવ્યો હોય. ઍટલે કે કોઈ સગીર બાળાના વક્ષસ્થળનો તેણે પહેરેલે કપડે સ્પર્શ કરવાને યૌન ઉત્પીડન કહી શકાય નહીં.’

જસ્ટિસ પુષ્પાઍ, અલબત્ત કાનૂનના દાયરામાં રહીને જ આ ચુકાદો આપ્યો હશે. આમ છતાં, તેમણે કરેલી વ્યાખ્યા ખતરનાક છે. સર્વોચ્ચ અદાલતે આ ચુકાદાને અટકાવ્યો છે. સાથે સાથે ત્રણ સભ્યોની કોલેજિયમે મુંબઈ વડી અદાલતના કાયમી ન્યાયાધીશ તરીકે પુષ્પા ગનેડીવાલાની ભલામણને પણ રદ કરી દીધી છે!

આ અગાઉ પણ ઍક-બે કિસ્સામાં આ જસ્ટિસે આપેલા ચુકાદા વિવાદાસ્પદ હતા. તેમની વાત પોતાની રીતે તાર્કિક હોઇ શકે ઍમ બને, પણ ‘પ્રોક્સો’ના કાયદાના હાર્દ સાથે તે સુસંગત નથી ઍ સ્પષ્ટપણે જણાય છે. બાળકો પર થતા જાતીય અત્યાચારને નિયંત્રિત કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે.

ઘણા ખરા કિસ્સામાં બને છે ઍમ બાળકો મોટે ભાગે પરિચિત કે પારિવારિક વ્યક્તિ દ્વારા આવા અત્યાચારનો ભોગ બનતા હોય છે. તેને કારણે મામલો ઘરમેળે જ નીપટાવી દેવાનું વલણ હોય છે. આવા મામલે પોલીસ કે ઍથી આગળ અદાલત સુધી જવા માટે આપણા દેશના સામાજિક માહોલમાં ઘણી હિંમતની જરૂર પડે છે. આ કાયદાનો દુરુપયોગ કોઇ પર વેર વાળવા માટે થાય ઍવી શક્યતા સાવ ઓછી છે, કેમ કે, તેમાં પીડિત ઍક બાળક હોય છે.

આવા કિસ્સામાં સંબંધિત પરિવારને અનેકગણી માનસિક યાતનામાંથી પસાર થવું પડતું હોય છે. જસ્ટિસ પુષ્પા ખુદ ઍક મહિલા હોવા છતાં તેમણે આપેલો આવો ચુકાદો વિચારતા કરી મૂકે ઍવો છે. આ શ્રેણીમાં ચોથો કિસ્સો હાથરસનો છે, જેમાં બળાત્કાર અને હત્યા પછી પીડિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર સ્થાનિક સત્તાવાળાઓઍ પીડિતાનાં પરિવારજનોની ઉપસ્થિતિ વિના બારોબાર કરી નાખ્યા હતા.

આ ચારે કિસ્સામાં મહિલાઓ માટેની સંવેદનશીલતા કેન્દ્રમાં છે. પણ તેમાં સામસામા અંતિમો જોવા મળે છે. ‘મિન્ત્રા’ જેવા કિસ્સે તે વધુ પડતી અને હાસ્યાસ્પદ લાગે ઍવી છે, તો હાથરસના કિસ્સામાં તેનો સદંતર અભાવ જોવા મળે છે. નારીવાદી વલણ ધરાવવું અલગ વાત છે, અને મહિલાઓના મુદ્દે સંવેદનશીલતા દાખવવી જુદી બાબત છે.

‘મિન્ત્રા’ જેવા મુદ્દે ઍક મહિલાઍ બતાવેલી જાગૃતિ નોંધપાત્ર કહી શકાય ઍવી છે, જ્યારે હાથરસના મામલે અને નાગપુરના આરોપીના કિસ્સે સત્તાતંત્ર તેમજ ન્યાયતંત્રનું વલણ અત્યંત ચિંતાજનક છે. ગર્ભનિરોધક સાધનો કે માસિકસ્રાવ સંબંધી ઉત્પાદનોની પારિવારિક ગણાતા ટી.વી.ના માધ્યમ પર વધતી જતી જાહેરખબરો જોઇને પ્રગતિશીલતાનો અહેસાસ થાય.

બીજી તરફ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પરની વેબસિરીઝ કે ફિલ્મોમાં કોઈ પણ પાત્રના મોંઍ અચાનક મૂકાતી મહિલાજનનાંગોને લગતી ગાળો સાંભળીને સાંસ્કૃતિક અને માનસિક પછાતપણું છાપરે ચડીને પોકારતું જણાય. હકીકત ઍ છે કે ઍક નાગરિક તરીકે જાહેરમાં આપણે ગમે ઍ દેખાડો કરતા હોઇઍ, સમગ્રપણે આપણી સામાજિક માનસિકતામાં ભાગ્યે જ કશો ફરક પડેલો જણાય છે.

સત્તાતંત્ર પણ આપણી જ માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે. આ બાબતે સજાગ અને સભાન બનવાની સાથોસાથ વધુ સંવેદનશીલ બનવાની ઍક નાગરિક તરીકે જરૂર છે. તેનો આરંભ જાતથી અને પરિવારથી થાય તો જ લાંબે ગાળે ઍ સામુહિક લક્ષણ બની શકે.

            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top