Charchapatra

દરેક મા-બાપે વિચારવા જેવો કિસ્સો

થોડા દિવસ પહેલાંના એક દૈનિકમાં હ્રદયદ્રાવક સમાચાર વાંચવા મળ્યા કે પોન્ડીચેરીના કરાઇકાલ ગામના એક કુટુંબની હોંશિયાર છોકરી જે આઠમા ધોરણમાં ભણતી હતી અને ભણવામાં પણ પૂરતું ધ્યાન આપતી એ છોકરીની માતા હંમેશ એવી અપેક્ષા રાખતી કે એની દીકરી હંમેશ માટે પરીક્ષામાં પહેલા નંબરે જ ઉત્તીર્ણ થવી જોઇએ. પરંતુ છેલ્લી વાર્ષિક પરીક્ષામાં એ છોકરીની જગ્યાએ એના જ ધોરણનો બાલામનિકન્દન નામનો હોંશિયાર વિદ્યાર્થી પહેલા નંબરે ઉત્તીર્ણ થતાં છોકરીની માતામાં એટલી હદે નિરાશા અને હતાશા વ્યાપી ગઇ જે આખરે વેર-ઝેરમાં પરિણમતાં એક શનિવારે દીકરીની માતા નિશાળે જઇ પહેલા નંબરે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીને શાબાશી આપવા આવી હોય એ રીતે ઠંડુ પીણું પીવડાવ્યું.

એ વિદ્યાર્થી ઘરે પહોંચતાં જ એને સતત ઉલટીઓ થવા માંડતાં છોકરાએ એના મા-બાપને છોકરીની માતાએ આપેલ ઠંડા પીણાંની વાત કરતાં એને હોસ્પિટલમાં દાખલ કર્યો પરંતુ ડૉક્ટરો એ છોકરાને બચાવી ન શક્યા. મૃત છોકરાના પોસ્ટ મોર્ટમમાં જાણવા મળ્યું કે છોકરાને ઝેર મેળવેલ પીણું આપેલ જે અંતે છોકરાના મોતમાં પરિણમ્યું. નાપાસ થયેલ કે ધારેલ માર્ક ન આવતાં છોકરો કે છોકરી આપઘાત કરે એવું વાંચવામાં/જાણવામાં આવ્યું છે પરંતુ છોકરીની માતા સારા માર્કે ઉત્તીર્ણ થયેલ છોકરાને ઝેર આપે એવું પહેલી વાર જાણવા મળ્યું.

અલબત્ત, છોકરીની માતાની ધરપકડ થઇ, પરંતુ આ હકીકત જાણીને વિચાર આવ્યો કે આજનું ભણતર, આજની શિક્ષા પધ્ધતિ અને મા-બાપની અપેક્ષા એમનાં દીકરા-દીકરીને સ્કૂલની પરીક્ષામાં પહેલા નંબરે રાખવામાં જ સીમિત થઇ જતી હશે? પહેલા નંબરે ન આવતાં છોકરા-છોકરીઓ શું જીવનમાં સફળ નથી થતાં? સ્કૂલ કે કોલેજોની પરીક્ષામાં દીકરા-દીકરી સારા માર્કે કે નંબરે ઉત્તીર્ણ થાય એવું દરેક મા-બાપ ઇચ્છે એમાં કશું ખોટું નથી, પરંતુ વિદ્યાર્થીના જીવનમાં હદ બહારની દખલગીરી છોકરાઓનું જીવન બરબાદ કરવામાં પણ પરિણમી શકે છે. જેનો ખ્યાલ ન રાખતાં મા-બાપે ઘણી વખત સંતાનોને ગુમાવવાં પડે છે.

આવા ઘણા કિસ્સાઓ અવારનવાર દૈનિકોમાં વાંચવા મળે જ છે. અલબત્ત, આ કિસ્સામાં એક માતા ગણાતી સ્ત્રીએ અન્ય મા-બાપના વહાલસોયાનો જીવ લીધો એ વ્યક્તિને કઇ કક્ષામાં મૂકવી? શું ગણવી? હકીકતમાં જરૂરિયાત છે શિક્ષણ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની, જે આખરે આજના વિદ્યાર્થીને આવતી કાલના સારા અને સમજુ વ્યક્તિ, સારા નાગરિક અને ભવિષ્યમાં સારાં મા-બાપ બનવામાં સહાયભૂત થઇ શકે, જે આખરે દેશ અને સમાજના લાંબા ગાળના હિતમાં પરિણમી શકે. આજના વિદ્યાર્થીઓનાં માતા, પિતાએ પણ આ બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે જેથી આવા બનાવો બનતાં પણ અટકી શકે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top