National

આસામમાં 250 વર્ષથી જૂની હેરિટેજ સંસ્થાઓની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારો સુરક્ષિત ઝોન જાહેર

અસમ વિધાનસભાએ જમીન અને મહેસૂલ નિયમન (સુધારા) બિલ 2026 પસાર કરીને રાજ્યના ઐતિહાસિક અને ધાર્મિક વારસાને સુરક્ષિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નવા કાયદા હેઠળ 250 વર્ષ કે તેથી વધુ જૂની હેરિટેજ સંસ્થાઓની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને સુરક્ષિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. હવે આ ખાસ ઝોનમાં માત્ર મૂળ રહેવાસીઓ અને નિયુક્ત જૂથો જ જમીન ખરીદી કે ધરાવી શકશે.

મૂળ રહેવાસી કોને ગણવામાં આવશે?

નવા કાયદામાં મૂળ રહેવાસીની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ કરવામાં આવી છે.

  • જે પરિવાર 1 જાન્યુઆરી 2006 ની કટ-ઓફ ડેટ સુધી સતત 3 પેઢીઓથી તે વિસ્તારમાં વસવાટ કરતો હોય તેને મૂળ રહેવાસી ગણવામાં આવશે.
  • આ કાયદામાં 1 પેઢીને 25 વર્ષ સમાન ગણવામાં આવી છે.
  • મોરાન, મટક, ચુટીયા, કોચ-રાજબોંગશી અને આહોમ જેવા સ્થાનિક વંશીય સમુદાયો અને વંચિત વર્ગોનો આમાં સમાવેશ થાય છે.
  • જે પરિવારો 1 જાન્યુઆરી 2006 સુધી 3 પેઢીથી રહે છે, તેમને ત્યાં રહેવા માટે કોઈ જમીન પટ્ટાની જરૂર રહેશે નહીં.

જૂના જમીનધારકો અને ધાર્મિક સમાનતા

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટતા કરી છે કે આ કાયદો ભૂતકાળની અસરથી લાગુ થશે નહીં. જે લોકો પાસે પહેલેથી જ માન્ય જમીનના દસ્તાવેજો કે પટ્ટા છે, તેમના અધિકારો સુરક્ષિત રહેશે. આ કાયદો તમામ ધર્મો અને સમુદાયોને સમાન રીતે લાગુ પડે છે. કોઈપણ નવી જમીન ખરીદી પર આ નિયમો લાગુ થશે, જેથી બહુમતી કે લઘુમતી કોઈ પણ ગેરકાયદેસર રીતે જમીન ન પચાવી શકે.

દબાણો દૂર કરવાની સત્તા અને કડક જોગવાઈઓ

નવા સુધારા મુજબ ડિસ્ટ્રિક્ટ કમિશનરને સુરક્ષિત ઝોનમાં બિનઅધિકૃત રીતે રહેતા લોકોને હટાવવાની પૂર્ણ સત્તા આપવામાં આવી છે. જોકે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્થાનિક વંચિત જૂથોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કાયદાનો મુખ્ય હેતુ જૂના દસ્તાવેજો ધરાવતા લોકોને સુરક્ષા આપવાનો અને ભવિષ્યની જમીન ખરીદી પર નિયંત્રણ લાવવાનો છે.

Most Popular

To Top