બેંગલુરુના આરઆર નગર વિસ્તારમાં આવેલી કન્નડ અભિનેત્રી કૃષિ થાપંડાના ફ્લેટમાંથી 45 વર્ષીય વૈશાખ ઉપાધ્યાયનો મૃતદેહ લટકતી હાલતમાં મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બુધવારે મોડી રાત્રે આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે પોલીસે હજુ સુધી મોતનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આરઆર નગર વિસ્તારમાં આવેલા બંગારપ્પા ગુડ્ડા નજીકના ‘એલિગન્ટ ટેરેસ’ એપાર્ટમેન્ટમાં બની હતી. ફ્લેટમાંથી એક વ્યક્તિ લટકતી હાલતમાં હોવાની માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ 45 વર્ષીય વૈશાખ ઉપાધ્યાય તરીકે થઈ હતી.
વૈશાખના અચાનક અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પરિવારમાં પત્ની અને 14 વર્ષનો એક પુત્ર છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વૈશાખ છેલ્લા કેટલાક સમયથી પોતાના પારિવારિક જીવનમાં ચાલી રહેલા વિવાદોને કારણે માનસિક તણાવમાં હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, બિઝનેસમેન એવીઆર રેડ્ડી દ્વારા નોંધાયેલા એક કેસ બાદ વૈશાખ અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ કારણોસર તે ઘણી વખત પોતાના મિત્રવર્તુળમાં અથવા ઓળખીતાઓ પાસે રહેવા જતો હતો.
તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે વૈશાખ અવારનવાર અભિનેત્રી કૃષિ થાપંડાના ઘરે રોકાતો હતો. બુધવારે પણ તે આ જ કારણસર અભિનેત્રીના ફ્લેટમાં આવ્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે વૈશાખ સામે અગાઉ બિઝનેસમેન એવીઆર રેડ્ડીને કથિત ધમકી આપવાના આરોપસર કેસ નોંધાયો હતો. આ મામલો બેંગલુરુના HAL પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. તપાસ અધિકારીઓ હવે આ કેસ અને હાલની ઘટનાનો કોઈ સંબંધ છે કે નહીં તેની પણ તપાસ કરી રહ્યા છે.
આ સમગ્ર ઘટનામાં એક મહત્વની બાબત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે અભિનેત્રી કૃષિ થાપંડા ફ્લેટમાં હાજર નહોતી. પોલીસના જણાવ્યા મુજબ, તે મહાદેવપુરા નજીક આવેલા ‘ક્ષેમવન’ ખાતે આયોજિત ધ્યાન (મેડિટેશન) કાર્યક્રમમાં ભાગ લેવા ગઈ હતી. એટલે ઘટનાના સમયે ફ્લેટમાં તે હાજર ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ફ્લેટનું ફોરેન્સિક નિરીક્ષણ કરાવ્યું છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ફોન તેમ જ અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનો, નજીકના મિત્રો અને અન્ય સંબંધિત લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.
પોલીસનું કહેવું છે કે વૈશાખે કયા સંજોગોમાં આ પગલું ભર્યું, તેની પાછળ કોઈ વ્યક્તિગત, પારિવારિક કે અન્ય કારણ જવાબદાર હતું કે નહીં, તે તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસના પરિણામો આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસે અકાળે મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારના તારણો ન કાઢવાની અપીલ કરી છે.