મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાતા ભારત સરકારે પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાન અને પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની સલાહ આપી છે.
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તાજેતરના પ્રાદેશિક વિકાસ અને વધતા ભૂરાજકીય તણાવને કારણે ઈરાનમાં સુરક્ષાને લઈને ચિંતાઓ વધી રહી છે. આથી વિદ્યાર્થીઓ, વેપારીઓ, પ્રવાસીઓ તેમજ અન્ય ભારતીય નાગરિકોને ઉપલબ્ધ તમામ પરિવહન સુવિધાઓનો ઉપયોગ કરીને દેશ છોડવા અનુરોધ કરવામાં આવ્યો દૂતાવાસે ભારતીયોને ખાસ કરીને ભીડવાળા વિસ્તારો, વિરોધ પ્રદર્શન અને સંવેદનશીલ સ્થળોથી દૂર રહેવાની સલાહ આપી છે. સાથે જ સ્થાનિક મીડિયા પર નજર રાખવા અને દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવા પણ સૂચના આપવામાં આવી
સરકારે તમામ ભારતીયોને પોતાના પાસપોર્ટ, ઓળખપત્રો અને અન્ય જરૂરી પ્રવાસ દસ્તાવેજો હંમેશા તૈયાર રાખવા જણાવ્યું છે. જો કોઈ ભારતીય નાગરિકને મદદની જરૂર હોય તો તે સીધો ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત જેમણે હજુ સુધી દૂતાવાસમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને તાત્કાલિક નોંધણી કરાવવા પણ અપીલ કરવામાં આવી છે.
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવના કારણે અનેક દેશોએ પણ પોતાના નાગરિકો માટે સમાન પ્રકારની ટ્રાવેલ ચેતવણીઓ જાહેર કરી છે. હવાઈ સેવાઓ પર પણ અસર જોવા મળી રહી છે અને કેટલાક વિસ્તારોમાં ફ્લાઇટ ઓપરેશન્સ અનિશ્ચિત બન્યા છે. જેના કારણે સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
ભારત સરકાર અને ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી હોવાથી તમામ ભારતીયો સાવચેતી રાખે, બિનજરૂરી મુસાફરી ટાળે અને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે. હાલ માટે ઈરાનની મુસાફરી ન કરવાની અને ત્યાં હાજર ભારતીયોએ તાત્કાલિક બહાર નીકળવાની સલાહને ગંભીરતાથી અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો છે.