Comments

છત્તીસગઢમાં કોલસાની ખાણો માટે 8 લાખ વૃક્ષોનો સંહાર કરવામાં આવશે

આપણી સરકાર એક તરફ પર્યાવરણ બચાવવાની વાતો કરે છે, વન મહોત્સવો ઉજવે છે અને બીજી તરફ દેશમાં વિકાસના નામે લાખો વૃક્ષો કપાઈ રહ્યાં છે. છત્તીસગઢના હસદેવ વિસ્તારમાં 137 હેક્ટરમાં ફેલાયેલા જંગલમાં હજારો વૃક્ષો કાપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અહીં 2.50 લાખથી વધુ વૃક્ષો કાપવાની તૈયારી ચાલી રહી છે. આ વૃક્ષો પારસા પૂર્વ અને કાંતા બાસન (PEKB) કોલસાની ખાણો માટે કાપવામાં આવી રહ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત રાજસ્થાન સ્ટેટ પાવર જનરેશન કોર્પોરેશનને PEKB ક્ષેત્ર ફાળવવામાં આવ્યું છે.

ફિલ્મ નિર્માતા, પર્યાવરણ કાર્યકર્તા અને સંશોધક એકતા જેવા કેટલાંય સંવેદનશીલ નાગરિકોના સાથથી છત્તીસગઢના વનવાસીઓ તેમના જંગલને બચાવવા આંદોલન કરી રહ્યા છે. 1.70 લાખ હેક્ટરમાં ફેલાયેલા જૈવવિવિધતાથી ભરપૂર હસદેવ જંગલમાં છત્તીસગઢના વન વિભાગના અધિકારીઓએ 15000થી વધુ વૃક્ષો કાપવાનું શરૂ કર્યું છે. આ જંગલમાં હાથી, રીંછ, સરિસૃપ સહિત અન્ય પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ રહે છે. અહીં સાલ અને મહુઆ જેવા આર્થિક અને આધ્યાત્મિક રીતે મહત્ત્વપૂર્ણ વૃક્ષો ઉગે છે, જે સ્થાનિક લોકો માટે આજીવિકાનું સાધન પણ છે.

તેઓ આ વૃક્ષોને દેવ તરીકે પૂજે છે. આ વૃક્ષો 100 વર્ષથી વધુ સમય જીવે છે. છત્તીસગઢ બચાવો આંદોલનના સંયોજક આલોક શુક્લાએ જણાવ્યું હતું કે, ‘આદિવાસીઓના અધિકારો માટે લડત ચાલુ છે પરંતુ 841 હેક્ટરમાં ફેલાયેલા પારસામાં વૃક્ષો કાપવાનું ટૂંક સમયમાં શરૂ થાય તેવી દહેશત છે.’ PEKBની કોલસાની ખાણકામની ક્ષમતા અનુક્રમે પ્રતિ વર્ષ 2 કરોડ ટન છે. જેમાંથી પારસામાં 50 લાખ ટન અને કાંતામાં 70 લાખ ટન વાર્ષિક ઉત્પાદન થશે. આ પ્રક્રિયામાં કુલ 8 લાખ વૃક્ષો કાપવામાં આવશે. ગાઢ જંગલ વિસ્તારની નીચે કુલ 5 અબજ ટન કોલસો હોવાનો અંદાજ છે. હસદેવ વન બચાવો સમિતિ અને ગ્રામ સભાના નેતાઓ આલોક શુક્લા અને અન્ય આદિવાસી કાર્યકર્તાઓ છેલ્લાં 3 વર્ષથી કપાઈ રહેલાં વૃક્ષો સામે વિરોધ કરી રહ્યા છે.

હસદેવ જંગલ છત્તીસગઢના ઉત્તર કોરબા, દક્ષિણ સુરગુજા અને સૂરજપુર જિલ્લાની વચ્ચે આવેલું છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના વર્ષ 2021ના રિપોર્ટ અનુસાર હસદેવ અરણ્યમાં ગોંડ, લોહાર અને ઓરાઓન જેવી આદિવાસી જાતિના 10 હજાર લોકો વસે છે. 82 પ્રકારના પક્ષીઓ, પતંગિયાઓની દુર્લભ પ્રજાતિઓ અને 167 પ્રકારની વનસ્પતિઓ અહીં જોવા મળે છે. તેમાંથી 18 પ્રજાતિના અસ્તિત્વ સામે ખતરો છે. 2018ના એક રિપોર્ટ અનુસાર, દેશના માત્ર 1% હાથીઓ છત્તીસગઢમાં છે પરંતુ હાથીઓ વિરુદ્ધ અપરાધની 15%થી વધુ ઘટનાઓ અહીં નોંધવામાં આવી છે. જો નવી ખાણો મંજૂર કરવામાં આવશે તો હાથીઓના રહેઠાણનો નાશ થશે અને માનવીઓ સાથે તેમનો સંઘર્ષ વધશે. હસદેવ અરણ્ય વિસ્તારમાં પહેલેથી જ કોલસાની 23 ખાણો છે. 2009 માં પર્યાવરણ અને વન મંત્રાલયે તેને નો-ગો ઝોનની શ્રેણીમાં મૂક્યું હતું. તેમ છતાં ઘણાં પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી.

તાજેતરની વન નાબૂદી એ PEKB માટેની મંજૂરીના બીજા તબક્કાનો એક ભાગ છે, જેના પ્રથમ તબક્કામાં રાજસ્થાન અને પડોશી રાજ્યને પાવર સપ્લાય કરવા માટે ખાણને કોલસો કાઢવાની પરવાનગી આપવામાં આવી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE) અને વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII) ના અહેવાલોએ આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે તે પર્યાવરણને નુકસાન કરશે. હસદેવ નદીને પણ તેની અસર થશે, તેનાથી મનુષ્ય અને હાથીઓ વચ્ચે સંઘર્ષ વધશે અને જૈવવિવિધતા પર નકારાત્મક અસર પડશે.

મે 2022માં બહાર પાડવામાં આવેલા 2 અભ્યાસો જૈવવિવિધતા પરની અસર તેમજ છત્તીસગઢમાં હાથીઓ અને મનુષ્યો વચ્ચેના સંઘર્ષને કારણે વન્યજીવોના રહેઠાણની ખોટના મુદ્દાની ગંભીરતા તરફ નિર્દેશ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વનનાબૂદીને કારણે ભવિષ્યમાં સમસ્યા વધુ વકરી શકે છે, કારણ કે તેનાથી શહેરી વિસ્તારોમાં હાથીઓની હિલચાલ વધવાની શક્યતા છે. હાથી કોરિડોરમાંથી 27 થી વધુ હાથીઓ પહેલાથી જ વિસ્થાપિત થઈ ગયા છે અને તેઓ નેશનલ હાઈવે 343 પર પહોંચી ગયા છે.

આ કાર્યવાહી ઉત્તર છત્તીસગઢના સુરગુજા જિલ્લાના સાહલી, તારા, જનાર્દનપુર, ઘાટબારા, ફતેહપુર અને હરિહરપુર જેવા પડોશી ગામોના 700 પરિવારોની આજીવિકાને અસર કરશે. ICFRE અભ્યાસ એ પણ જણાવે છે કે જો ખાણકામની મંજૂરી આપવામાં આવશે તો પર્યાવરણીય અધોગતિની સીધી અસર વનવાસી સમુદાયની આજીવિકા, સંસ્કૃતિ અને ઓળખ પર પડશે. PEKB બ્લોક નાબુદીની સંભાવના ધરાવતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું નિવાસસ્થાન છે.

આદિવાસીઓના મતે પંચાયત એક્સ્ટેંશન ઓન શેડ્યુલ્ડ એરિયા (PESA) એક્ટ 1996 હેઠળ તેમની સંમતિ વિના તેમની જમીન પર ખાણકામ કરી શકાતું નથી. PESA કાયદા મુજબ ખાણકામ માટે સ્થાનિક ગ્રામ પંચાયતોની મંજૂરી જરૂરી છે. આદિવાસી લોકોનો આરોપ છે કે આ પ્રોજેક્ટ માટે જે મંજૂરી બતાવવામાં આવી રહી છે તે નકલી છે. આદિવાસી લોકોનું કહેવું છે કે, ઓછામાં ઓછા 700 લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થશે અને 840 હેક્ટર ગાઢ જંગલનો નાશ થશે. સ્થાનિક લોકો, આદિવાસીઓ, પંચાયત સંગઠનો અને પર્યાવરણ કાર્યકર્તાઓ જંગલોને કપાતા બચાવવા માટે સાથે આવી રહ્યા છે. આ પ્રોજેકટને કોઈક રીતે રોકવા અને જંગલોને કપાતા બચાવવા માટે સ્થાનિક સ્તરે વિરોધથી લઈને કાનૂની લડાઈઓ પણ કોર્ટમાં લડાઈ રહી છે.

હિમાલયમાં દાયકાઓ પહેલા ચાલેલા ‘ચિપકો આંદોલન’પરથી પ્રેરણા લઈને છત્તીસગઢની મહિલાઓ પણ હસદેવ જંગલને બચાવવા ‘ચિપકો આંદોલન’કરી રહી છે. જનાર્દનપુર ગામની સ્થાનિક મહિલાઓને સમાચાર મળ્યા કે વન અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ વૃક્ષો કાપવા આવી રહ્યા છે, ત્યારે તેઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિરોધના સંકેત તરીકે ઝાડને વળગી પડી હતી. મહિલાઓના વિરોધથી ડરી જઈને જંગલ ખાતાના સત્તાધીશો પાછા ફર્યા હતા પરંતુ તેઓ બીજા દિવસે વહેલી સવારના 3 વાગે ગાઢ અંધકારમાં પાછા ફર્યા હતા અને તેમણે જનાર્દનપુરમાં લગભગ 300 વૃક્ષો કાપી નાખ્યા હતા.

આ વિસ્તારમાં 300 વૃક્ષો ગુમાવનારા ગ્રામજનો હવે રાત્રે નજર રાખવા અન્ય લોકો સાથે ફોન પર જોડાયેલા રહેવાની યોજના બનાવી રહ્યા છે. ત્રણેય ગામોના લગભગ 80% ગરીબ ગ્રામવાસીઓએ વળતર પણ સ્વીકાર્યું ન હતું, જે તેઓને જંગલની જમીનના ખાણકામમાં ઉપયોગ સામે આપવામાં આવ્યું હતું, કારણ કે તેઓ નાણાંના બદલામાં જંગલ છોડવા માંગતા નથી.
સ્થાનિક ગોંડ આદિવાસી સમુદાયના લોકો કહે છે કે, વર્ષ 2011માં આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી ત્યારથી સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

વર્ષ 2015માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ વિસ્તારમાં આવ્યા હતા અને તેમણે આદિવાસીઓના સંઘર્ષને સમર્થન આપ્યું હતું. ત્યારે રાજ્યમાં ભાજપના રમણ સિંહની સરકાર હતી. જ્યારે કોંગ્રેસે 2018માં વિધાનસભાની ચૂંટણી જીતી હતી, ત્યારે આંદોલનકારી આદિવાસીઓ અને સ્થાનિક લોકોને આશા હતી કે હવે કોંગ્રેસ પાર્ટી તેનું વચન પાળશે અને ખાણકામ બંધ થઈ જશે પરંતુ તે જ વર્ષે રાજ્ય સરકારે બીજા તબક્કાને મંજૂરી આપી હતી. હવે પાછી ભાજપની સરકાર આવી છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની, અદાણી જૂથને કોઈ ફરક પડતો નથી.

Most Popular

To Top