પ્લેટફોર્મ નં.1 પર પ્રવેશતી વખતે બન્યો બનાવ, ART/ARMEની મદથી રિરેલમેન્ટ શરૂ, અનેક ટ્રેનો મોડી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.28
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ રેલવે સ્ટેશન પર આજે (28મી જુલાઈ) વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. વિરારથી ભરૂચ તરફ જતી મેમુ ટ્રેન ભિલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ઊભી રહે તે પહેલાં જ તેનું એન્જિન પાટા પરથી નીચે ઊતરી ગયું હતું. તેના કારણે અનેક ટ્રેન લેટ થતા વડોદરામાં પણ મુસાફરો અટવાયા હતા.
આ ઘટનાને પગલે સ્ટેશન પર અને ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, વહેલી સવારે 06:27 કલાકે વિરાર-ભરૂચ MEMU ટ્રેન નં. 19101 ભિલાડ રેલવે સ્ટેશને પહોંચી રહી હતી ત્યારે પ્લેટફોર્મ પર ઊભી રહે તે પહેલાં જ ટ્રેનનું DMC એટલે કે એન્જિન પાટા પરથી ખડી પડ્યું હતું. ઘટના બનતાં જ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બનાવની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ART/ARMEની ટેકનિકલ ટીમ વલસાડથી ઘટનાસ્થળે દોડી આવી હતી અને એન્જિનને ફરી પાટા પર લાવવાની કવાયત હાથ ધરી હતી. આ ઘટના કયા કારણોસર બની તે અંગે રેલવે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફથી આવતો અને જતો રેલ વ્યવહાર ખોરવાયો હતો. જેને પગલે વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો મોડી પડી હતી. જેના કારણે દૈનિક નોકરીયાતો, વેપારીઓ અને અન્ય મુસાફરો સ્ટેશનો પર અટવાઈ પડ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ વલસાડના પારડી અને ઉદવાડા વચ્ચે ખડકી નજીક ભારે વરસાદને કારણે ટ્રેક નજીક માટી ધસી પડી હતી, જેના કારણે પણ વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ત્યાં જ આજે ફરી ભિલાડ પાસે આ ઘટના બનતાં રેલવે મુસાફરોની ચિંતામાં વધારો થયો છે.