નોકરી-ધંધા છોડી ધક્કા ખાવા છતાં મહિલાઓને રાશન આપવાનો ઇન્કાર; સમગ્ર મામલે લાયસન્સ રદ કરવા સુધીની કાયદેસરની માંગ ઉઠી

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ પર કમલાનગર નજીક સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ચલાવવામાં આવતી રીતસરની મનમાની અને ગંભીર અનિયમિતતાઓનો મામલો સપાટી પર આવતા સમગ્ર પંથકના ગરીબ અને શ્રમિક વર્ગના લાભાર્થીઓમાં ભારે રોષ અને અસંતોષ વ્યાપી ગયો છે. સ્થાનિક કાર્ડધારકો અને ગરીબ પરિવારોએ સંચાલક સામે મોરચો માંડીને આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતા રાશનના વિતરણમાં મોટા પાયે ધાંધિયા કરવામાં આવી રહ્યા છે અને હક્કનું અનાજ મેળવવા માટે ગરીબોને કલાકો સુધી ધક્કા ખાવા મજબૂર કરવામાં આવે છે.
સ્થાનિક મહિલાઓ અને અન્ય શ્રમિક લાભાર્થીઓના જણાવ્યા અનુસાર, કમલાનગર નજીકની આ સસ્તા અનાજની દુકાન નિયમિત સમયે ક્યારેય ખુલતી જ નથી. દુકાન સંચાલક માત્ર પોતાની મરજી મુજબ સવારના સમયે માંડ એકાદ-બે કલાક માટે જ દુકાન ખોલીને તાળા મારી દે છે, જેને કારણે વહેલી સવારથી મજૂરી કે નોકરી પર જતા શ્રમિકોને અનાજ લીધા વિના જ વારંવાર ધક્કા ખાઈને ખાલી હાથે પરત ફરવું પડે છે. એટલું જ નહીં, રાશન લેવા આવતા સામાન્ય નાગરિકો અને વયોવૃદ્ધો સાથે દુકાન સંચાલક દ્વારા અત્યંત અયોગ્ય, ઉદ્ધત અને અપમાનજનક વર્તન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી છે, જેનાથી કાયમી ધોરણે ગ્રાહકોમાં માનસિક સતામણીનો માહોલ સર્જાયો છે.
રાશન મેળવવાથી વંચિત એક પીડિત મહિલા લાભાર્થીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેઓ ગયા મહિને પણ અનાજ લેવા માટે દુકાનના અસંખ્ય ચક્કર કાપી ચૂક્યા છે, છતાં તેમને અનાજ આપવામાં આવ્યું ન હતું. ચાલુ માસે જ્યારે તેઓ ફરીથી પોતાનો હક માંગવા ગયા ત્યારે સંચાલકે સાફ શબ્દોમાં અનાજ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. હદ તો ત્યાં થાય છે કે જ્યારે લાભાર્થીઓ પોતાની રજૂઆત કરે છે ત્યારે તેમની પાસે અગાઉ દુકાન બંધ હતી તેના પુરાવા તરીકે વીડિયો કે ફોટા બતાવવાની વિચિત્ર માંગણી કરવામાં આવે છે, જે સામાન્ય અને નિરક્ષર નાગરિકો માટે કેવી રીતે શક્ય બને? કેટલાય ગ્રાહકોએ તો પાછલા બે થી ત્રણ મહિનાથી અનાજનો એક દાણો પણ ન મળ્યો હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો.
બીજી તરફ, આ સમગ્ર હોબાળા અંગે જ્યારે સ્થળ પર પહોંચીને દુકાનના મહિલા સંચાલક પ્રતિમાબેનનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે સમગ્ર મામલામાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો હતો. સંચાલકે લુલો બચાવ કરતા એવો દાવો કર્યો હતો કે તેમની દુકાન સવારે ૯:૦૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી અને ત્યારબાદ સાંજે ૪:૦૦ વાગ્યા પછી પણ નિયમિત ખુલે છે. જો કે, ત્યાં એકત્રિત થયેલા સ્થાનિક ગ્રાહકો અને મહિલાઓએ સંચાલકના આ દાવાને તાત્કાલિક ફગાવી દીધો હતો અને ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ સંચાલક પાછલા કેટલાય સમયથી સાંજે ક્યારેય દુકાન ખોલતા જ નથી અને ખોટું બોલીને તંત્ર તેમજ મીડિયાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આજવા રોડ કમલાનગર વિસ્તારના કાર્ડધારકોએ રોષપૂર્વક માંગ કરી છે કે ગરીબોના પેટ પર લાત મારતા આવા બેદરકાર દુકાન સંચાલક સામે પુરવઠા વિભાગ અને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરે નિષ્પક્ષ તેમજ કડક તપાસ હાથ ધરવામાં આવે. જો તપાસમાં ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું અથવા વિતરણમાં ગેરરીતિ આચરવાનું સાબિત થાય, તો આ સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ તાત્કાલિક રદ કરીને સંચાલક સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવે તે અનિવાર્ય છે.