મોટી સંખ્યામાં પરિજનો ઘર બહાર હાજર,સ્વજનોએ અશ્રુભીની આંખે પુષ્પાંજલિ આપી


અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા મહિલા કલ્પનાબેન પ્રજાપતિ તેમના પુત્રને મળવા માટે લંડન જવા નીકળ્યા હતા. અમદાવાદથી લંડન જતી એરઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ હતી. જેમાં અનેક મુસાફરોના મોત થયા છે. આ ઘટનાના ત્રીજા દિવસે વહેલી સવારે કલ્પનાબેનના મૃતદેહને કોફિનમાં ઘરે લાવવામાં આવ્યો છે. કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તે માટે ઘર પાસે પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો. મૃતકના પરિજનો અને મિત્રો મોટી સંખ્યામાં ઘર બહાર આવી પહોંચ્યા હતા.


અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરા શહેર-જિલ્લાના 32 જેટલા મુસાફરોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટના બાદ મૃતકોના જે તે સ્થિતીમાં મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઝવામાં આવ્યા હતા. ત્યાર બાદ મૃતક અને તેમના પરિજનોના ડીએનએ મેળવીને મૃતદેહની ઓળખ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ક્રેશમાં મૃતક મહિલા કલ્પનાબેન પ્રજાપતિની ઓળખ થતા આજે સવારે એમ્બ્યુલન્સ મારફતે તેમના મૃતદેહને તેમના નિવાસ સ્થાને કોફિનમાં લાવવામાં આવ્યો છે. કલ્પનાબેન પોતાના લંડનમાં રહેતા પુત્રને મળવા અમદાવાદથી ફ્લાઇટમાં બેઠા હતા. તેઓ લંડન જવા માટે ખુબ ખુશ જણાતા હતા. અને તે ખુશી તેમણે નજીકના લોકોને જણાવી હતી. પરંતુ વિધિએ કંઇ બીજુ જ લેખમાં લખ્યું હતું. અને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે ઉડાન ભરતાની સાથે જ તેમનું મૃત્યું થઇ ગયું હતું. સુત્રોએ ઉમેર્યું કે, કોફિન પર તેમનો ફોટો મુકીને તેમની અંતિમ વિધિ હાથ ધરવામાં આવી છે. તે બાદ તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

