નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં સભાને સંબોધી હતી. તેમજ ત્યાની મમતા સરકાર ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ત્યારે તે તમામ પ્રહારોનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વળતો પ્રહાર કર્યો હતો. બેનર્જીએ કહ્યું, ‘તમે તો ભારતને જેલ બનાવી દીધું છે.’
વડા પ્રધાન મોદીએ ગત રવિવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક સભામાં કહ્યું હતું કે, “હું તમને ખાતરી આપું છું કે 4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનશે. આ મોદીની ગેરંટી છે.” જેના જવાબ સ્વરુપે મમતા બેનર્જીએ કહ્યું વડાપ્રધાનના એક ખિસ્સામાં NIA અને બીજા ખિસ્સામાં CBI છે. એક ખિસ્સામાં ED અને બીજા ખિસ્સામાં IT છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વધુમાં કહ્યું, “જ્યારે મોદીજી જલપાઈગુડી આવ્યા હતા, ત્યારે તેમણે ત્યાં શું કહ્યું? મોદીજી અમે તમને પૂરેપૂરું સન્માન આપીયે છીયે. કારણ કે તમે અમારા પીએમ છો. હું ઈચ્છું છું કે તમે સ્વસ્થ રહો. તમે લાંબુ જીવો પણ એક PM માટે આવી ભાષા વાપરવી યોગ્ય છે?”
‘તમે ભારતને જેલમાં ફેરવી દીધું છે’: મમતા
મમતા બેનર્જીએ કહ્યું, “તેઓએ (વડાપ્રધાને) કહ્યું કે 4 જૂને ચૂંટણીના પરિણામો આવ્યા પછી, તેઓ પસંદગીપૂર્વક ધરપકડ કરશે. શું તમે હમણાં ધરપકડ નથી કરી રહ્યા? તમે ભારતને જેલ બનાવી દીધી છે. તમે લોકશાહીને જેલ બનાવી દીધી છે.” તમારા એક ખિસ્સામાં NIA અને બીજા ખિસ્સામાં CBI છે. એક ખિસ્સામાં ED અને બીજા ખિસ્સામાં IT છે. “NIA અને CBI ભાજપના ભાઈઓ છે. તેમજ ED અને IT એ બીજેપીના ટેક્સ કલેક્શન ફંડિંગ બોક્સ છે.”