National

વનરાજ ભાટિયા: સંગીતની સમૃદ્ધિમાં ગરીબીનું ગીત

વનરાજ ભાટિયાએ અનેક સદાબહાર ગીતો આપ્યાં છે પણ ફિલ્મી દુનિયાની રીત-રસમ કહો કે વનરાજ ભાટિયાની ‘ધંધાદારી’ સૂઝનો અભાવ, તેમના સમકાલીનોની સરખામણીમાં તેમનું જોઈએ તેટલું મૂલ્ય ન થયું. વનરાજ પાસે કોઈએ આ મુદ્દો છેડ્યો, તો તેમણે કહ્યું હતું, “મને આ બધી બાબતોની પડી નથી.”

એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી એક સાથે રહી શકતી નથી. બંને એ સ્થાન માટે ઝઘડતી રહે છે. લક્ષ્મી સુખ-સમૃદ્ધિની દેવી કહેવાય છે. સરસ્વતી બુદ્ધિ અને શિક્ષણની દેવી તરીકે પૂજાય છે. બંને વચ્ચેની કથિત હરીફાઈની વાત પ્રચલિત થવાનું કારણ એ છે કે સમાજમાં એવાં ઉદાહરણ જોવા મળે છે કે પૈસાદાર માણસો અશિક્ષિત અથવા અર્ધશિક્ષિત હોય છે અને અમુક તો અનૈતિક પણ હોય છે, જયારે ભણેલા-ગણેલા, વિદ્વાન, જ્ઞાની માણસો પૈસેટકે ગરીબ હોય છે. દુનિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ કોલેજમાંથી ઊઠી ગયેલા છે. હિન્દી જ નહીં, પૂરા ભારતીય સાહિત્યમાં મુનશી પ્રેમચંદનું નામ સૌથી ટોચ પર લેવાય છે પણ એ દારુણ ગરીબીમાં મૃત્યુ પામ્યા હતા. હોકીમાં ભારતનું નામ રોશન કરનાર ધ્યાન ચંદ પર ક્યારેય લક્ષ્મી મહેરબાન થઇ ન હતી.

૭મીના રોજ અવસાન પામેલા સંગીતકાર વનરાજ ભાટિયા પર મા સરસ્વતીની કૃપા એટલી વરસી કે દેવી લક્ષ્મી નારાજ થઇ ગઈ. ભારતના મહાનતમ સંગીતકારોમાં એક ગણાતાં વનરાજ ભાટિયાનાં અંતિમ વર્ષો એટલાં દારુણ હતાં કે તે બીજાઓની દયા-માયા પર ટકી રહ્યા હતા. ૨૦૧૯માં બોલિવૂડને તેમની સ્થિતિની ખબર પડી તો આમીર ખાન, કબીર બેદી અને દિલીપ તાહિલ જેવા કલાકારો તેમના માટે આર્થિક પ્રયાસો કરતા હતા પણ ટ્રેજેડી એ હતી કે ખુદ ભાટિયા તેનાથી બેખબર હતા. તેમની યાદદાસ્ત ઝાંખી પડી ગઈ હતી અને તે બહારની દુનિયાથી કપાઈ ગયા હતા અલ્લા-રખા રહેમાન ઉર્ફે એ. આર. રહેમાને ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન શાસ્ત્રીય સંગીતનું મિશ્રણ કરીને આગવું ફયુઝન સર્જીને શ્રોતાઓને મોહી લીધા, તે પહેલાં વનરાજ ભાટિયા એવા દુર્લભ સંગીતકારો પૈકીના એક હતા, જેમણે આ બંને સંગીતની પરંપરાઓનો ગહેરો અભ્યાસ કર્યો હતો. એ જ કારણ હતું કે શ્યામ બેનેગલની ‘અંકુર’, ‘નિશાંત’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘જુનૂન’, ‘કલિયુગ’, કુંદન શાહની ‘જાને ભી દો યારો’, અપર્ણા સેનની ‘૩૬ ચૌરંઘી લેન’, પ્રકાશ શાહની ‘હીપ હીપ હુર્રે’, સઈદ મિર્ઝાની ‘મોહન જોશી હાજીર હો’, કુમાર સહાનીની ‘તરંગ’, વિધુ વિનોદ ચોપરાની ‘ખામોશ’, વિજયા મહેતાની ‘પેસ્તનજી’ જેવી ફિલ્મો અને ગોવિંદ નિહલાનીની ‘તમસ’, શ્યામ બેનેગલની ‘ભારત એક ખોજ’ અને કુંદન શાહની ‘વાગલે કી દુનિયા’ જેવી ટેલિવિઝન શ્રેણીઓમાં તેમનું યાદગાર સંગીત હતું, જેને ભારત ‘ન્યૂ વેવ’ સંગીત તરીકે યાદ કરે છે.

વનરાજ ભાટિયાનો વેસ્ટર્ન સંગીત સાથે પરિચય અજીબ રીતે થયો હતો. મુંબઈના કચ્છી વેપારી પરિવારમાં જન્મેલા વનરાજ ગ્રાન્ટ રોડની ન્યૂ એરા સ્કૂલમાં ભણેલા. ત્યાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો માહોલ હતો. તે વખતે દ્વિતીય મહાયુદ્ધમાં જાપાને સિંગાપોર પર ચઢાઈ કરી હતી અને એમાં ઘણાં ચાઇનીઝ લોકો ભાગીને મુંબઈ આવી ગયાં હતાં. તેમાં એક મિસ યેઓહ નામની સંગીત શિક્ષક હતી. ભાટિયાની સ્કૂલમાં કુલકર્ણી નામના સંગીત શિક્ષકનું અવસાન થયેલું હતું, તેની ખાલી જગ્યામાં આ મિસ યેઓહ ગોઠવાઈ ગઈ. ભાટિયાને તેની પાસેથી વેસ્ટર્ન સંગીતનો પરિચય થયો હતો. એ સિવાય દેવધર સ્કૂલ ઓફ મ્યુઝિકમાં તેમણે બે વર્ષ ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી.
વનરાજના પિતા કાપડના વેપારી હતા એટલે કોઈને સંગીતમાં રસ નહીં. કચ્છી માણસ ધંધો કરે એવું પારિવારિક જ્ઞાન તેમને પણ મળેલું. વેસ્ટર્ન સંગીતનું ભણવા લંડન જવા માટે તેમણે નક્કી કર્યું ત્યારે આખી ભાટિયા જ્ઞાતિને એમાં બેવકૂફી લાગેલી. પરિવાર તેમના સંગીતના શોખમાં ઘી હોમવાને બદલે તેમનો પિયાનો બાળી નાખવાના પક્ષમાં હતો. પિતા એ બાબતમાં થોડા ઘણા નરમ હતા તો બાકીના પરિવારે પિતાને ય લીધા, ”તમે આને પરદેશ જવા દો છો, પણ એ ચોપાટી પર ચણા વેચવાનો છે.” પિતાએ શરત મૂકી હતી- ”છ મહિના માટે હું ખર્ચો કાઢીશ. એ પછી જો સ્કોલરશીપ ના મળી તો પાછા આવવું પડશે.” વનરાજને ત્રણ મહિનાની સ્કોલરશીપ મળી પણ પછી બીજી અને ત્રીજી અને ચોથી સ્કોલરશીપ મેળવતા ગયા. છેલ્લે એવું થયું કે ૨૦મી સદીની સંગીતની બે મહાન સંસ્થાઓ, લંડનની રોયલ એકેડમી ઓફ મ્યુઝિક અને પેરીસમાં નાદિયા બૌલેન્ગરની પેરીસ કન્ઝર્વેટરીમાં ભણવા માટે તેમને સ્કોલરશીપ મળી. તેમની સંગીતની સૂઝ અને પ્રતિભાની એ કમાલ હતી.

પેરીસ મારા માટે બેસ્ટ હતું, એવું તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. નાદિયા બૌલેન્ગર વેસ્ટર્ન સંગીતની સૌથી ઉત્તમ શિક્ષક હતી. તેણે વનરાજ ભાટિયાને અનોખો પાઠ ભણાવ્યો હતો, ”અત્યાર સુધી મેં તારા હાથ-પગ બાંધી રાખ્યા છે, આંખો અને મોઢું બંધ રાખ્યું છે. હવે તું કશુંક બોલે, તો તારો બેડો પાર થયો કહેવાય.” થઇ જ ગયો. વનરાજ ભાટિયા મુંબઈ પાછા આવ્યા અને તેમનું સંગીત તેમના વતી બોલવા લાગ્યું. ચોપાટી પર ચણા વેચવાનો સમય ના આવ્યો. થોડો સમય તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવવાનું કામ કર્યું અને જાહેરખબરો માટે જિંગલ્સ બનાવતા થયા. એ જ અરસામાં નિર્માતા-નિર્દેશક શ્યામ બેનેગલ તેમને ભટકાયા. શ્યામબાબુ કહે છે, ”૧૯૫૯નો એ સમય હતો. હું જાહેરખબરની ફિલ્મો સાથે સંકળાયેલો હતો. વનરાજ યુરોપથી આવ્યા હતા અને કારકિર્દીની તલાશમાં હતા. મેં તેમની પાસે અમારી જાહેરખબરો અને દસ્તાવેજી ફિલ્મો માટે સંગીત કમ્પોઝ કરાવ્યું હતું. તેમણે અમારા માટે સરસ જિંગલ્સ પણ લખ્યાં હતાં.” ભારત આવીને સિલ્ક સાડીની જાહેરખબર માટે તેમણે પહેલી વાર સંગીત કમ્પોઝ કર્યું હતું. લિરિલ સાબુ, ગાર્ડન વરેલી સાડી અને ડુલુક્સ પેઈન્ટ મળીને કુલ ૭,૦૦૦ જિંગલ્સ લખ્યાં હતાં. શ્યામ બેનગલની ‘અંકુર’ ફિલ્મથી તેમણે ફિલ્મી સંગીત ક્ષેત્રે ડેબ્યુ કર્યું.

‘ભૂમિકા’નું સદાબહાર ગીત ‘તુમ્હારે બિન જી ના લગે’ તેમણે કમ્પોઝ કરેલું પહેલું ગીત હતું. તેના રેકોર્ડિંગ વખતે રેકોર્ડીસ્ટે નારાજ થઈને કહેલું કે તમે બહુ પાતળો અવાજ લઇ આવ્યા છો. વનરાજે કહેલું કે મારે આ ગીતમાં એકદમ સ્વચ્છ અવાજ જોઈએ છે. એ અવાજ પ્રીતિ સાગરનો હતો. આ ગીત વખતે તેની ઉંમર ૧૪ વર્ષની હતી. વનરાજ ભાટિયાએ આવાં અનેક સદાબહાર ગીતો આપ્યાં છે, પણ ફિલ્મી દુનિયાની રીત-રસમ કહો કે વનરાજ ભાટિયાની ‘ધંધાદારી’ સૂઝનો અભાવ કહો, તેમના સમકાલીનોની સરખામણીમાં તેમનું જોઈએ તેટલું મૂલ્ય ન થયું. શ્યામ બેનેગલ કહે છે, “એ અત્યંત પ્રતિભાશાળી છે, પંરતુ તેમની સરખી કદર થઇ નથી.” વનરાજ પાસે કોઈએ આ મુદ્દો છેડ્યો, તો તેમણે કહ્યું હતું, “મને આ બધી બાબતોની પડી નથી.”

કદાચ એટલે જ વૃદ્ધાવસ્થા માટે તેમની પાસે કોઈ બચત ન હતી. ૨૦૧૯માં સમાચાર આવ્યા હતા કે વનરાજ ભાટિયા ગરીબી અને શારીરિક મુશ્કેલીઓ વચ્ચે જીવી રહ્યા છે. એક્ટર કબીર બેદીએ તેમની મુલાકાત લીધી હતી ત્યારે વનરાજ ભાટિયાએ તેમને કહ્યું હતું કે તેમની પાસે પૈસા નથી, ઘરની ચીજો વેચીને ગુજરાન ચલાવે છે. વનરાજ ભાટિયાએ સંગીતની સાથે-સાથે કચ્છીઓની પૈસા કમાવાની કુનેહ પણ શીખી હોત તો તેમની પાછલી જિંદગી આટલી દયનીય ન હોત.

Most Popular

To Top