Comments

શાસનની વરવી બાજુ

સ્વૈરવિહારી ડો. સુબ્રમણ્યમ સ્વામી એકલે હાથે રાજકીય લડાઇ લડવામાં માનતા હોવા છતાં અને ‘વન મેન આર્મી’ હોવા છતાં અત્યારે ભારતીય જનતા પક્ષના રાજય સભાના સભ્ય છે. તેમની સભ્યપદની મુદત પૂરી થવામાં હવે માંડ બે વર્ષ રહ્યાં હશે, પણ મોદી સરકારમાં નાણાં પ્રધાન થવાનું તેમનું સ્વપ્ન સાકાર નહીં થવાથી તેમણે સરકાર સામે બખાળા કાઢવા માંડયા છે. તેમની નાણાં પ્રધાન નહીં બની શકવાની આશાનું આ પરિણામ છે કે રાષ્ટ્રને કટોકટીની અવસ્થામાં મોકલી આપનાર ઘણા મોરચાની ચૂક વિશે તેઓ સાચા દિલથી સરકારને ચેતવણી આપી રહ્યા છે? કારણ ગમે તે હોય પણ તેઓ જયારે શાસક પક્ષના સભ્ય હોય ત્યારે તેમની અવગણના નહીં થઇ શકે. તેમણે ટવીટ કર્યું છે: રાષ્ટ્ર ઘણાં પરિણામોમાં અત્યારે કટોકટ હાલતમાં છે, જેમાંનાં ત્રણ તો મેં દર્શાવ્યાં જ છે. કોરોના વાઇરલ, અર્થતંત્ર અને ચીનનું આક્રમણ. હવે ખેડૂતોનું આંદોલન સંઘર્ષમય બનવાની સંભાવના છે. એક જ ઉપાય છે: સુધારા રાજ્ય પ્રમાણે વૈકલ્પિક બનાવો. ભારતીય જનતા પક્ષની સરકારોને પરિણામ બતાવવા દો.

રાજકીય મિત્ર બનાવવામાં અને તેમને કચરા પેટીમાં નાંખી દેવામાં અકળ ડો. સ્વામીનાં નિરીક્ષણો ખાસ કરીને પોતાના પક્ષ અને સરકારના સંદર્ભમાં કરાયાં હોય ત્યારે તેમનું વજન પડે છે. 1977 માં જનતા પક્ષ સરકારમાં પોતે હતા ત્યારે પણ તેમણે આ જ કર્યું હતું અને તે અત્યારે ફરી એ જ કરે છે. રાષ્ટ્ર કટોકટ હાલતમાં હોવાની ડો. સ્વામીની ટવીટ રસપ્રદ છાયાભેદ વ્યકત કરે છે અને તેને વ્યાપક રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં કેન્દ્ર સરકારના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી સમજવી જોઇએ. ડો. સ્વામીએ દર્શાવેલ કોરોના વાઇરસ, અર્થતંત્ર અને ચીનનું આક્રમણ અત્યારે મોદીની કસોટી કરી રહ્યા છે પણ પોતાની શૈલીથી જ કામ કરનાર આ સરકાર પોતાના ટીકાકારોને દાદ નથી દેતી, ભલે પછી તે ડો. સુબ્રમણ્યમ સ્વામી કેમ ન હોય? તે પોતે કંઇ ચૂક કરી છે તે સ્વીકારવા જ તૈયાર નથી. તેથી તેમની વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખવામાં આવે છે.

ભારતીય જનતા પક્ષ સંચાલિત રાજયોની સરકારોને પરિણામ બતાવવા દેવાનું સૂચન કરી તેમણે આડકતરી રીતે કહી દીધું કે આમાંથી મોટા ભાગની સરકારોની કામગીરી સામે પ્રશ્નાર્થ છે. ખેડૂતોના આંદોલનનો નિર્દેશ કરી તેમણે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની માંગણી કરી આંદોલન સંઘર્ષમય બનવાની શકયતા બતાવી અને આ મુદ્દે કેન્દ્ર સરકાર અને શાસક ભારતીય જનતા પક્ષના અભિગમ સામે પ્રશ્ન કર્યો છે. ખેડૂતોએ તા. 26 મી મે ને કાળા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી દેખાવો કર્યા ત્યાં સુધી ડો. સ્વામીની ચેતવણીની સરકાર પર કોઇ તત્કાળ અસર હતી તેવો કોઇ નિર્દેશ નહોતો. તેમણે શાસનના મુદ્દે વાત કરી તેમાં પણ તેમના મંતવ્યમાં રાજકારણ છે.

ડો. સ્વામીનો કેન્દ્રના શિક્ષણ પ્રધાન પ્રત્યે મોહભંગ થયો હોવાનું પ્રતિબિંબ આમાં દેખાય છે? તેમાંથી કેન્દ્રીય પ્રધાન મંડળના વિસ્તરણ/ફેરફારની ગંધ આવે છે? કંઇક ખૂટે છે. પ્રધાન મંડળમાં સૌથી ઉજ્જવળ મોં ધરાવતા ડો. નીતિન ગડકરીએ એક પ્રધાન અને એક રાજકારણી તરીકે એક વ્યાપારી જેવો અભિગમ ધરાવ્યો હતો. દેશને પરેશાન કરી રહેલી કોરોના વાઇરસની રસીની તંગીના સંદર્ભમાં તેમણે રસી અને જીવનરક્ષક દવાઓના ઉત્પાદનના લાયસંસ ઘર આંગણેની વધુ કંપનીઓને આપવાનું કરેલું સૂચન તાર્કિક હતું. આ સૂચન જાહેરમાં કરવામાં તેમણે હિંમત બતાવી હોવા છતાં તેમને ભાગ્યે જ ખબર હતી કે તે પોતાની જાતને લપસણી ભૂમિ પર ધકેલે છે.

તેમણે કહ્યું હતું કે માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય તો સમસ્યા પેદા થાય. ત્યારે એકને બદલે રસીની દસ કંપનીઓને લાયસંસ આપવા જોઇએ. તેમની પાસેથી રોયલ્ટી પણ લઇ શકાય. સખાવતી ધોરણે આ કરવાની જરૂર નથી. રસીનું ઉત્પાદન વધુ દસ સ્થળોએ શરૂ કરવું જોઇએ. દરેક રાજયોમાં આ ક્ષમતા અને માળખું ધરાવતી લેબોરેટરીઓ છે. તેમને ફોર્મ્યુલા આપ્યો હતો. લેબોરેટરી તેમ જ કંપની વચ્ચે સંકલન કરી ઉત્પાદન વધારો. પહેલાં તેમને દેશમાં પુરવઠો આપવા દો અને પછી વધારાનો માલ હોય તો નિકાસ કરો. આ તેમનો મૂળ મંત્ર હતો પણ બીજા જ દિવસે તેમણે ચોખવટ કરી કે સરકારે આ પ્રયાસો શરૂ કર્યા છે અને ગઇ કાલે સ્વદેશી જાગરણ મંચ દ્વારા યોજીત પરિષદમાં રસીનું ઉત્પાદન વધારવાની મેં વાત કરી ત્યારે મને ખબર ન હતી કે રસાયણ અને ખાતરના પ્રધાન મનસુખ માંડવિયાએ રસીનું ઉત્પાદન વધારવાના સરકારના પ્રયાસોની માહિતી આપી હતી. પરિષદ પછી માંડવિયાએ મને સરકારના આયોજનની વિગત આપી હતી અને મેં સૂચન કર્યું તે પહેલાં સરકારે પ્રયાસ ચાલુ કર્યા હતા.

સરકારે એક વરિષ્ઠ અને કામગરા પ્રધાનને આ સંકલનથી અલગ રાખ્યા હશે? આ કક્ષાના પ્રધાનને કોરોના સામેની લડાઇમાં બનતી ઘટનાઓની માહિતી ન હોય તેવું માની ન શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની અગ્રતા છે અને તેઓ હમણાં સંસદભવન, વડા પ્રધાનના અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન તેમ જ સંસદભવન સહિતના સેન્ટ્રલ વિસ્ટાના રૂા. 20000 કરોડના અંદાજીત ખર્ચના પ્રોજેકટને અગ્રતા આપી રહયા છે પણ દેશ જયારે કોરોના સામે જીવસટોસટની લડાઇ લડતો હોય ત્યારે આ પ્રોજેકટની તાકીદ છે? ભારતની આઝાદીના 75 મા વર્ષની ઉપલબ્ધિમાં 2022 સુધીમાં સરકાર આ પ્રોજેકટ પૂરો કરવા માંગે છે. કોરોના ત્રાટકયો ત્યાં સુધી તેમાં કંઇ ખરાબ નહતું. પણ દેશમાં રસી, જીવનરક્ષક દવાઓ અને ઓકિસજનની તંગી હોય ત્યારે? આ તંગી દૂર કરવા માટે ઘણા નિર્ણયો લેવામાં વિલંબ થયો ત્યારે સેન્ટ્રલ વિસ્ટાના નિર્ણયો ઝડપથી લેવાયા. નિર્ણયો લેવામાં અગ્રતા ક્રમ હોઇ શકે કે નહીં? અત્યંત કેન્દ્રવર્તી સરકારના આ પ્રતિબિંબ છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top