Comments

વિદ્યાર્થીઓની આત્મહત્યા ગંભીર ચિંતાનો પ્રશ્ન છે

પોતાના મૂળભૂત પ્રશ્નો પ્રત્યે સદંતર ઉપેક્ષા રાખતો સમાજ પરિપકવ કેવી રીતે ગણી શકાય? મુંબઇ આઈ. આઈ.ટી.માં ગુજરાતના એક યુવકે આત્મહત્યા કરી લીધી. નબળી આર્થિક -સામાજિક સ્થિતિવાળા પરિવારમાંથી આવતા આ યુવકની આત્મહત્યા જાણે કે જે તે જ્ઞાતિ-સમાજ પ્રશ્ન હતો. દીકરો દલિત પરિવારે ગુમાવ્યો તો રેલી, વિરોધ બધું દલિત સમાજ કરે, ગુજરાતના ઉચ્ચ સંપન્ન વર્ગને આમાંથી ફરી વાર ગુજરાતના ફાઈવસ્ટાર વકતાએ લેખકો આ આત્મહત્યા માટે તદ્દન અસંવેદનશીલ પુરવાર થયા. તેમનાં પ્રવચનો મૌન રહ્યાં. તેમની તેજાબી કલમ મૌન રહી, પણ કુદરતના ક્રમમાં ‘આજ તમારો તો કાલ મારો’ વારો આવવાનો જ છે. વિશ્વની પાંચ મહાસત્તા જેટલી રાષ્ટ્રિય આવકથી દેશ વિકસિત રાષ્ટ્ર નથી બનતો. વિકસિત રાષ્ટ્ર સંવેદનશીલ હોય છે. જાગૃત હોય છે. જો વિદ્યાર્થીઓની આત્મહત્યાના ઉપરીઉપરી બનાવો વિકસિત દેશોમાં બને તો દેશનાં સમાજશાસ્ત્રીઓ,  માનસશાસ્ત્રીઓ, શિક્ષણવિદો તરત તેની સમસ્યાના સંશોધન અને ચર્ચામાં લાગે. આપણે સૌ આ સંદર્ભે સાવ અસંવેદનશીલ પુરવાર થયા છીએ.

દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ આત્મહત્યાનાં કારણો તપાસતાં મુખ્ય બે પ્રકારનાં કારણો સામે આવ્યાં છે! પ્રથમ કારણ તો જાણે ભણવાના બોજાનું અને ખાસ તો ચોક્કસ પ્રકારની સફળતા મેળવવાના દબાણનું છે. ટકા મેળવવા, પાસ થવાનું દબાણ ન જીરવાતા વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. આત્મહત્યાનું બીજું કારણ  ખૂબ ચિંતાજનક અને સ્વતંત્રતાનાં 75 વર્ષ પછી પોતાને વિકસિત કહેવડાવવા માંગતા ભારતની સમાજવ્યવસ્થા અને માનસિકતા સામે પ્રશ્નો ઊભા કરે છે. આ કારણ છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરનાર સામાજિક પછાત વર્ગના વિદ્યાર્થી સાથે થતો ભેદભાવ અને આ ભેદભાવના ત્રાસથી થતી આત્મહત્યા!

આત્મહત્યા મૂળમાં જ ખોટી અને ચિંતાજનક, એમાંય  વિદ્યાર્થીને શિક્ષણ બોજારૂપ લાગે, ખર્ચાળ લાગે અને આત્મહત્યા થાય તે ચિંતાજનક પણ શિક્ષણ સંસ્થામાં થતા સામાજિક-જાતિગત ભેદભાવને કારણે અપમાનવૃતિનો શિકાર બની વિદ્યાર્થી પ્રાણ ગુમાવે તે તો ખૂબ જ ચિંતાજનક. આપણે વહેલી તકે આ ચિંતાઓનો ઉકેલ લાવવો પડશે. અત્યારે રાજ્યમાં અને દેશમાં પરીક્ષાઓનો માહોલ જામશે. દસમા-બારમા બોર્ડની પરીક્ષા આવે એટલે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચનો-મોટીવેશનલ સ્પિકરોનો મારો ચાલશે. પણ ખરું પૂછો તો આવાં પ્રવચનોની વિદ્યાર્થીઓને નહીં, માતા-પિતાને જરૂર હોય છે.

વિદ્યાર્થી તો પરિણામની સફળતા – નિષ્ફળતા સ્વીકારી જ લેતા હોય છે. વિદ્યાર્થીને ટેન્શનમાં તો પરિવારના વડીલો આપતા હોય છે. બાળકોને ડોકટર કે એન્જિનિયર બનાવવાનું સપનું કે  મહત્ત્વાકાંક્ષા માતા પિતા નક્કી કરતા હોય છે. એટલે સફળતાના દબાણ માટે બાળકોને સલાહ આપવાની જરૂર નથી. માતા-પિતાને સમજાવવાની જરૂર છે. જો કે રોજગારીના પ્રશ્નો વિકરાળ બનતાં જાય છે. નોકરી મેળવવી સ્પર્ધાત્મક બનતી જાય છે એટલે માતાપિતા કોઇ સલાહ માનવા તૈયાર નથી.

મૂળ પ્રશ્ન તો બીજા કારણ  અને બંધારણીય ભાલમણોને કારણે હવે નીચલી સામાજિક-આર્થિક સ્થિતિવાળાં પરિવારવાળાં બાળકો પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે. સ્વતંત્રતા પહેલાં માત્ર થોડાક જ જ્ઞાતિ સમૂહોનો જે વ્યવસાયો પર ઇજારો હતો તેમ હવે સૌ યોગ્યતાના આધારે પ્રવેશ મેળવે છે. અનામત માટેના કવોટામાં પણ હવે સંપૂર્ણ મેરીટ સાથે નવી પેઢીનાં યુવક-યુવતીઓ આ સંસ્થાઓમાં પ્રવેશે પણ સ્થાપિતહિત બની ગયેલી માનસિકતાઓ આ સહન નથી કરી શકતી. સુપ્રિમ કોર્ટે આમ તો તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગીંગને સજાપાત્ર ગુનો ગણ્યું છે. પણ આસામાજિક નફરતના રેગીંગને નાથી શકાતું નથી.

સરકારે, સમાજના આગેવાનોએ અને ખાસ તો એસ. ટી., એસ.સી. વર્ગના વિધાનસભા કે લોકસભાના પ્રતિનિધિઓએ આ શિક્ષણ સંસ્થામાં વારંવાર મુલાકાત લેવાની જરૂર છે. ત્યાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સધિયારો આપવાની જરૂર છે. નફરત અને ઉપેક્ષા ભૌતિક નથી હોતી. તેના દેખિતા પુરાવા નથી હોતા. સૂક્ષ્મ  હિંસાને પાસે બેસીને સમજવી પડે! ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં આવેલી અનામત વ્યવસ્થાનો લાભ જેને થયો છે તે સંસદસભ્ય, ધારાસભ્ય દુર્ભાગ્યે જે તે રાજકીય પાર્ટીના પ્રતિનિધિ છે. આપણાં વડાપ્રધાને તો સતત એમ કહ્યું છે કે ‘હું નબળા આર્થિક – સામાજિક પરિવારમાંથી આવ્યો છું. હું આ દુ:ખ, પીડા સમજું છું.’

જો તેઓ ખરેખર સંવેદનશીલ હોય અને સમાજના નબળા વર્ગની પીડા સમજતા હોય તો તેમણે આ સામાજિક આભડછેટ ઉપેક્ષાને કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓ માટે સખત પગલાં લેવાં ઘટે… અને આપણે એક સંવેદનશીલ વિચારશીલ સમાજ તરીકે આપણું દાયિત્વ નિભાવવા માંગતા હોઇએ તો આ યુવાનોનાં મૃત્યુ માટે જવાબદારો પાસે જવાબ માંગવા જોઈએ. આ કોઇ એક પરિવાર કે જ્ઞાતિનો પ્રશ્ન નથી! આ આપણો પ્રશ્ન છે. આપણાં વિદ્યાર્થીઓ આપણાં બાળકો છે એવું ખરેખર માનો તો અપમૃત્યુનો શોક આપણી આંખના ખૂણા ભીના કરવા જોઇએ!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top