Comments

ધર્મની રાજનીતિ : ભાજપ વિ. વિપક્ષ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં ઉત્સવ બની ગયો છે કે પછી બનાવાઈ દેવાયો છે. ભાજપ માટે આ અવસર છે. કારણ કે, લોકસભાની ચૂંટણી માથે છે. એમાં રામ મંદિર પ્રતિષ્ઠા ભાજપને ફાયદો કરાવે એ સ્વાભાવિક છે. અલબત 4 શંકરાચાર્યોનો વિરોધ છે. એ શાસ્ત્રોક્ત છે પણ એનાથી આ અવસર ફિક્કો પડી જાય એવું બન્યું નથી અને વિપક્ષે એનો વિરોધ કર્યો એની ય કોઈ અસર થઇ નથી. ઉલટાનું આ પ્રસંગ વધુ સારી રીતે ઉજવાય એવો માહોલ પેદા થયો છે.

કોંગ્રેસ અને વિપક્ષ માટે સમસ્યા એ છે કે, એ આ ઉત્સવમાં હાજર રહે તો એમની મુસ્લિમ વોટ બેન્કને અસર થવાની ભીતિ છે અને ના થાય તો હિન્દી સમાજ નારાજ થાય અને એટલે વિપક્ષ કદાચ આ દિવસે સમાંતરે પોતાના અધાર્મિક કાર્યક્રમો આયોજીત કર્યા છે. કદાચ મજબૂરીમાં કરવા પડ્યાં છે. રાહુલ ગાંધી આ દિવસે આસામમાં હોવાના અને એક મંદિરમાં જવાના છે. સપાના અખિલેશ યાદવ પ્રતિષ્ઠા પછી અયોધ્યા સપરિવાર જવાના છે. શરદ પવાર કહે છે તેઓ મંદિરનું કામ પૂરું થયા બાદ જશે. મમતા બેનર્જીએ તો બંગાળમાં ધાર્મિક રેલીનું આયોજન કર્યું છે. આ રેલીને સદભાવના રેલીનું નામ અપાયું છે અને એ વિવિધ ધર્મસ્થળોએ જવાની છે એમાં બધાં ધર્મસ્થાનોને આવરી લેવાયા છે.

ઉદ્ધવ ઠાકરે નાસિકના મંદિરમાં જવાના છે. ત્યાં મહાઆરતી થવાની છે. આ બધામાં અરવિંદ કેજરીવાલ આગળ નીકળી ગયા છે. એમણે દિલ્હીમાં પત્ની સાથે સુંદરકાંડનાં પાઠ યોજ્યા અને હનુમાન ચાલીસા કર્યા અને એવી જાહેરાત કરી છે કે, દર મહીને દિલ્હીનાં એક એક વોર્ડમાં આવા કાર્યક્રમો થશે અને એ ય સરકારના ખર્ચે. જેમાં ધારાસભ્યો અને કોર્પોરેટરોને હાજર રહેવા કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં આવો જ એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. રાજ્યની દરેક સરકારી શાળામાં તા.22નાં અયોધ્યામાં પ્રતિષ્ઠા થતી હશે ત્યારે આ શાળાઓમાં રામ નામનો નાદ ગુંજશે. આવા કાર્યક્રમો અન્ય ભાજપી રાજ્યોમાં પણ યોજાયા જરૂર હશે.

રાજનીતિમાં ધર્મનું સ્થાન કેવું અને કેટલું હોવું જોઈએ? એ મુદે ચર્ચા થતી આવી છે. એ વાત સાચી છે કે, જવાહરલાલ નહેરુ રાજનીતિમાં ધર્મ અને સરકારી વહીવટમાં ધર્મ ઇચ્છતા નહોતા અને એવા કેટલાંય કિસ્સા છે જેમાં નહેરુએ વિરોધ કર્યો હોય. તેઓ બિનસાંપ્રદાયિકતામાં માનતા હતા પણ આ મુદે નહેરુનો ભાજપ વિરોધ કરતો આવ્યો છે. આજે સમય બદલાઈ ગયો છે. ધર્મની રાજનીતિ ચારેકોર જોવા મળે છે. ભાજપે હિન્દુત્વનાં આધારે ઘણી બધી સફળતા મેળવી છે અને એ કારણે અન્ય પક્ષોએ એ તરફ ઝૂકવું પડ્યું છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરેલું અને એથી હિંદુઓ નારાજ હતા એ ફાયદો ભાજપે ઉઠાવ્યો છે અને એ ફાયદાને જોતા કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ એ બાજુ થોડાં તો થોડાં ઝુક્યા છે.

કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વ અપનાવ્યું છે પણ એનાથી મુસ્લિમો નારાજ થયા અને એનું નુકસાન કોંગ્રેસને થયું છે. આ મુદે અરવિંદ કેજરીવાલ પાક્કા રાજકારણી સાબિત થયા છે. એ પહેલેથી હિંદુઓ નારાજ ના થાય એ રીતે આગળ વધે છે. પોતાને હનુમાન ભક્ત બતાવે છે અને મુસ્લિમો નારાજ ના થાય એનું પણ ધ્યાન રાખે છે. અત્યાર સુધી એ સફળ રહ્યા છે પણ આગળ જતા કેટલા સફળ રહે એ કહેવું મુશ્કેલ છે. કારણ કે, ભાજપ અને હિન્દુત્વ એ જોડકાં નામ બની ગયા છે. વિપક્ષ એમાં ગાબડું પાડવામાં સફળ રહ્યા નથી. આ રાજનીતિ હજુ કેટલી તીવ્ર બનશે કે પછી એના શું પરિણામો આવશે એ નક્કી થતા કેટલાંક વર્ષો વીત્યા પછી જ ખ્યાલ આવશે.

અદાણીનો વિરોધ અને વિપક્ષ
કોંગ્રેસ અને વિપક્ષ અદાણી જુથનો વિરોધ કરતા આવ્યા છે પણ રોકાણની વાત આવે ત્યારે વિપક્ષ અદાણી માટે લાલ જાજમ પાથરે છે. હમણાં આવા જ એક મુદે કોંગ્રેસને જવાબ દેવાનું ભારે પડી ગયું. તેલંગણાનાં ઘોષણા પત્રના અમલ મુદે પી.ચિદમ્બરમની પ્રેસ કોન્ફરન્સ હતી અને એમાં એક પત્રકારે રાજ્યમાં અદાણી સાથે 4 MOU કર્યા એ મુદે પ્રશ્ન પૂછ્યો ત્યારે ચિદમ્બરમ દ્વારા માઈક પ્રવક્તા સુપ્રિયા તરફ ખેસવી દેવાયું હતું અને સુપ્રિયાએ વાત વાળવાનો પ્રયત્ન કરતા કહ્યું હતું કે, આ પ્રેસ ઘોષણા પત્ર મુદ્દે છે તો એ મુદ્દે જ પ્રશ્ન પૂછો.

તેલંગણામાં કોંગ્રેસની સરકાર છે અને મુખ્યમંત્રી રેડ્ડીએ અદાણી સાથે 4 MOU કર્યા જેમાં 12,400 કરોડનું રોકાણ થવાનું છે. અદાણી અને રેડ્ડી બંનેએ એના પર હસ્તાક્ષર કર્યા છે. આવું જ તામિલનાડુમાં બન્યું છે. ત્યાં DMK સરકારે પણ અદાણી અને મોદીનાં સંબંધો વિષે ટીકાઓ કરી હતી પણ ત્યાં અદાણી દ્વારા રૂ. 42,700 કરોડનું રોકાણ થવાનું છે. એટલું જ નહિ, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગેહલોતની હાજરીમાં અદાણી સાથે MOU થયા હતા. આ કારણે ભાજપને કોંગ્રેસ અને વિપક્ષ પર હુમલો કરવાનો મોકો મળી ગયો. વિપક્ષ પાસે કોઈ જવાબ નથી એ પણ સાચું છે.

ગુજરાત ભાજપમાં સૌનું સ્વાગત છે!
ગુજરાતમાં ફરી પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. થોડાં સમય પહેલાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે, બહારના કોઈને પક્ષમાં એન્ટ્રી નહિ મળે પણ આ તો રાજકારણી છે, એનું બોલ્યું કાઈ પથ્થરની લકીર નથી હોતી. લોકસભાની ચૂંટણી નજીક આવી અને ભાજપમાં ભરતી મેળો ફરી શરૂ થયો છે. વિસાવદરનાં આપના ધારા સભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું તો ક્યારનું આપી દીધું અને હવે કમુરતા ઉતરી ગયા એટલે આવતા મહીને એ ભાજપમાં જોડાઈ જવાના છે. એ પહેલાં ભાજપમાં જ હતા અને ટીકીટ ભાજપે ના આપતા આપમાંથી ચૂંટણી લડ્યા હતા.

રાજકોટ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના નેતા અર્જુન ખાટરીયા પણ સાથીઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાતમાં 3 ધારાસભ્ય અપક્ષ છે અને એ 3 પણ રાજીનામાં આપે એવી શક્યતા છે અને એ ત્રણેય ભાજપમાં જોડાઈ જાય એવા અહેવાલો વહેતા થયા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તો રાજીનામું આપી દીધું છે અને એ ભાજપમાં જોડાય એવું નક્કી છે. એ પણ ભાજપના બળવાખોર ઉમેદવાર હતા. એ ઉપરાંત ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ પણ રાજીનામું આપી ભાજપમાં જોડાય તો નવાઈ નહિ. ઉપરાંત કોંગ્રેસ અને આપમાંથી પણ કોઈની વિકેટ ખડી શકે છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top