Comments

સારા અને બહાદુર માણસોને સંભાળવાની જવાબદારી આપણી છે

થોડા દિવસ પહેલાં એક મિત્ર સાથે વાત નીકળી. તેમણે કહ્યું, જયોર્જ  ડાયસ મજૂર માણસ તમે તેને આકાશની નીચે અને ધરતીની ઉપરનો કોઈ પણ પ્રશ્ન બતાડો તે તરત તમારા માટે ઊભો થઈ જાય, બસ તેના સ્કુટરમાં તમારે પેટ્રોલ ભરાવી આપવાનું. તે ભૂખ તરસ ને વિચાર કર્યા વગર તેના સ્કુટર ઉપર બેસાડી આખો દિવસ દોડયા કરે, જયાં સુધી તમારા પ્રશ્નનું નિરાકરણ આવે નહીં. જયોર્જનો આવો ઉલ્લેખ થતાં મને ગૌરવની લાગણી થઈ, જયોર્જ માટે મનમાં માન હતું તેમાં વધારો થયો. મને બરાબર યાદ છે 1985-86 માં હું જયોર્જ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા, અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે, છતાં ત્યારે પણ તેના મનમાં લોકો માટે નિસ્બત હતી. વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે દેશની મોંધવારી સહિતનો કોઈ પણ પ્રશ્ન હોય, જર્યોજ લાલ ઝંડો લઈ મેદાનમાં ઊતરી જાય, જયોર્જનો ઝુકાવ સામ્યવાદ તરફ, કદાચ એટલે તેનું હ્રદય લોકોના પ્રશ્ન જોઈ દાઝતું હશે. ગુજરાતમાં સામ્યવાદીઓની સ્થિતિ ત્યારે પણ સારી ન્હોતી અને આજે પણ સારી નથી છતાં જયોર્જે સ્વેચ્છાએે તે રસ્તો પસંદ કર્યો હતો.

Internal Auditors Should Be Brave

તે સમયગાળામાં અનામત આંદોલનથી લઈ કોમી તોફાનો ચાલતાં રહેતાં, જેના કારણે સ્કુલ કોલેજ લાંબો સમય બંધ  રહેતી હતી. વિદ્યાર્થીઓ માસ પ્રમોશનની વાત કરતા અને હું અને જયોર્જ પરીક્ષા થવી જોઈએ તેવી માગણી કરતા હતા, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એમ. એન. દેસાઈ હતા. અમે પરીક્ષા થવી જોઈએ તેવી માગણી લઈ ગયા હતા. જો કે પરીક્ષા થવી જોઈએ તેવું કહેનારની સંખ્યા ખૂબ નાની હતી. અમારી રજૂઆત સાંભળ્યા પછી દેસાઈ સાહેબે મને હસતાં હસતાં પૂછયું, તું અભ્યાસમાં બ્રીલીયન્ટ લાગે છે, હું હસી પડયો, તેમણે મારી સામે જોયું. મેં કહ્યું, સાહેબ, પરીક્ષામાં પાસ થાઉં તો પણ મને આનંદ થાય, પણ લાગણી અને માગણી એટલી જ છે કે મારી માર્કશીટમાં જે કંઈ માર્ક આવે તે મારા અને મારી લાયકાત પ્રમાણેના હોય. પ્રમોશન લઈ પાસ થવું નથી. જો કે અમારું ખાસ કંઈ ચાલ્યું નહીં અને માસ પ્રમોશન મળ્યું, કોલેજ પૂરી કરી હું જયોર્જ છૂટા પડયા.

હું પત્રકાર થયો અને જર્યોજ રાજકારણમાં ગયો. વ્યકિતગત રીતે ત્યાર બાદ ઓછું મળવાનું થયું, પરંતુ જયોર્જ વિવિધ મુદ્દે પ્રેસનોટ અખબારમાં આપતો ત્યારે તેની મારી મુલાકાત થતી, જર્યોજ કોલેજમાં હતો તેવો જ રહ્યો, તેમાં ખાસ બદલાવ આવ્યો નહીં. એએમટીએસની બસમાં બેસી અખબારોની કચેરીમાં પ્રેસનોટ લઈ જતો અને લાલદરવાજા બસ સ્ટેડન્ડ પાસે તેના પાંચ દસ સાથીઓ સાથે દેખાવ કરી સરકારનું  લોકોના પ્રશ્નો અંગે ધ્યાન દોરવાનો પ્રયાસ કરતો. જો કે તે કોંગ્રેસ અને ભાજપમાં નહીં હોવાને કારણે તેની પ્રેસનોટ અને દેખાવને અખબારો પણ સ્થાન આપતાં નહીં, કયારેક તેનું નામ અને કામ અખબારમાં છપાય તો રાજી થઈ જતો. સમય બદલાયો અને જયોર્જ કોંગ્રેસમાં જોડાયો. રાજયની ટોચની નેતાગીરી તેના કામ અને તેનાથી પરિચિત તેને કોંગ્રેસે કોર્પોરેશને ટીકીટ પણ આપી અને તે કોર્પોરેટર પણ થયો, તેની લાયકાત અને તેની મહેનતના કારણે તેને કોર્પોરેશનની ચેરમેનશીપ પણ મળી, પણ જયોર્જ તેવો રહ્યો.

સત્તા મળ્યા પછી સત્તાને પોતાને મન ઉપર હાવી થવા દીધી નહીં. અત્યંત ગરીબીમાં જન્મ અને ઉછેર થયો છતાં હવે સત્તા મળી છે તો થોડું ઘણું કમાઈ લઈએ લેવો વિચાર પણ આવ્યો નહીં, ત્યારે તે સરકારી ગાડીમાં ફરતો હતો, આજે તે કોર્પોરેટર પણ નથી, પણ તેણે લોકોનાં કામ કરવા માટે સત્તાને માધ્યમ બનાવ્યું નહીં. તેના કારણે તે આજે પણ સત્તામાં નહીં હોવા છતાં રોજ સવારે દસ વાગે પ્રશ્નો લઈ આવનારની કતાર હોય છે, નેતાગીરી કરતો હોવા છતાં તેની ભાષા અને વ્યવહારમાં તોછડાપણું નથી. તે પ્રજાનું કામ થાય નહીં ત્યારે ગુસ્સો જરૂર થાય છે પણ તેના મનમાં કડવાશને ઉછેરતો નથી. તે પાર્ટી પોલીટીકસથી ઉપર વિચારે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મણિનગર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડયા ત્યારે તેમણે પોતાના કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું, જયોર્જ ડાયસ જેવા કાર્યકર થવું પડે. આમ વિરોધી રાજકીય વિચાર હોવા છતાં ખુદ નરેન્દ્ર મોદીને પણ જયોર્જ જેવા માણસો ગમે છે.

આજે જયોર્જ ખૂબ સામાન્ય સ્થિતિમાં જીવે છે, તેની તેને ફરિયાદ પણ નથી અને રંજ પણ નથી. આવા અનેક જયોર્જ આપણી આસપાસ જીવે છે, પણ તમે ખૂબ સારા અને બહાદુર છો એટલી પ્રશંસા કરી આપણે આપણી જવાબદારી પૂરી કરીએ છીએ, પણ એટલું પૂરતું નથી.  જયોર્જે જે રસ્તો પસંદ કર્યો છે તે પોતાનો છે, આ રસ્તે દરિદ્રતા સિવાય કંઈ મળવાનું નથી તેની તેને ખબર છે, પણ આવા માણસો સ્વમાની હોય છે, લોકો તેમની પાસે પોતાના  પ્રશ્નો લઈ જાય છે, પણ તેઓ પોતાના પ્રશ્નો કોઈને કહેતા નથી.

આપણે તેમની ચિંતા કરવી પડશે. તમે સારા અને બહાદુર છો તેવું કહેવાથી તેની મુશ્કેલી ઓછી થતી નથી, કોઈ માણસ સારો અને બહાદુર રહે તે માટે આપણે પણ આપણા ખિસ્સામાં હાથ નાખવો પડશે, જયોર્જના સ્કુટરમાં પેટ્રોલ ભરાવી દો એટલે તે આપણા માટે દોડશે તે નિશ્ચિત છે, પરંતુ જયોર્જ જયારે ઘરે પહોંચે છે ત્યારે તેના ઘરે તેની પત્ની અને બાળકો છે તેના ઘરે પણ રસોડામાં એક ચૂલો છે. આપણા રસોડામાં જેમ અનાજ ભરેલું હોય છે તેમ તેને પણ અનાજ ભરવું પડે છે. અહિંયા એક જયોર્જની વાત નથી. જયોર્જોની સંખ્યા આપણી આસપાસ છે, જે સંખ્યા વધે તેની જવાબદારી આપણી છે. પણ આપણે તેમની ચિંતા કરવી પડશે.
       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top