Comments

સમુદ્રનાં ખારાં પાણીને પીવાલાયક બનાવવું સસ્તું છે

વરસાદનું પાણી નદી બની વહે છે કે તળાવરૂપે સંગ્રહાય છે ત્યારે તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. પરંતુ આ પાણી ઝાડનાં મૂળ કે છિદ્રાળુ જમીનમાં પસાર થઈ જમીનના પેટાળમાં પહોંચે છે ત્યારે પાણી સાથે માટીના બંધારણમાં રહેલ સોડિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ, આયર્ન અને કૅલ્શિયમ જેવા મિનરલ ઓગળી એક ભાગ હાઈડ્રોજન અને બે ભાગ ઑક્સિજનના સમપ્રમાણથી ક્લોરાઈડ, સલ્ફેટ, નાઈટ્રેટ કાર્બોનેટ જેવા ઋણક્ષારો સાથે સ્થિર થાય છે.

ભૂતળના પાણીમાં ઓગળી જતા આ ક્ષારો નરી આંખે દેખાતા નથી પરંતુ ક્ષારયુક્ત પાણી મોંમાં જતા જીભ તેનું ખારાપણું પામી જાય છે અને નછૂટકે શરીરની તરસ છીપાવવા આવું પાણી પેટમાં નાંખવું પડે છે તો કિડની પોતાની પાતળી પડદા દીવાલો વચ્ચેથી પાણી પસાર કરી ક્ષારોને પેશાબ દ્વારા બહાર ધકેલે છે. આમ છતાં મોટા જથ્થામાં ક્ષારના જે કણો પેશાબની નળી દ્વારા બહાર જતા નથી તે કિડનીની કોથળીમાં કાંકરી બની સંગ્રહાય છે.

માનવશરીરની રચના અદ્દભૂત છે. તે શકય તમામ પ્રયત્નોથી પરિસ્થિતિ સાથે તાલમેળ સાધવા પ્રયત્ન કરે છે. આમ છતાં એક હદ વટે છે ત્યારે છેવટે કિડની પાણીના જે ક્ષારોને અલગ નથી કરી શક્તી તે લોહીમાં ભળે છે. લોહીનું ઑક્સિડાઈઝેશન થવા લાગે છે અને હ્રદયના સ્નાયુઓ નબળા પડવા સાથે તેમાંના રક્તકણો ઘટવા લાગે છે. ક્ષારયુક્ત પાણી પીનારનું લોહી ભૂરું થવા લાગે છે.

આમ, ક્ષારયુક્ત પાણી પીતી ગર્ભવતી મહિલાઓનાં બાળકોમાં બ્લૂ બેબીના રોગ જોવા મળે છે તેમ યુવકોમાં કૅલ્શિયમ તૂટ પડતાં મણકાં, કોણી, ઘૂંટણ ને જડબાના સાંધામાં ફલોરોસિસ નામે રોગ કેન્દ્રિત થતાં અકાળે વૃદ્ધત્વની સ્થિતિ સર્જાય છે.
માનવશરીરમાં ૯૪% પાણી હોય છે. આ પ્રમાણ અનિવાર્યપણે ટકાવી રાખવા પુખ્ત વયની એક વ્યક્તિએ દરરોજનું ૪ લિટર પાણી પીવું પડે છે. જ્યારે શરીર સ્વચ્છતા અને પૂરક કાર્યો માટે બીજાં ૧૨ લિટર પાણીની આવશ્યક્તા ગણવામાં આવે છે. ઉપરાંત ખેતી અને ઉદ્યોગના ઉત્પાદન માટે મીઠા પાણીની જરૂરિયાત રહે છે.

વિશ્વના ત્રીજા ભાગમાં વ્યાપ્ત પાણીની અમાપતા જન જનના ખ્યાલોમાં વસેલી હોઈ, પાણીનો વપરાશ મર્યાદિત હોઈ શકે તેવું સ્વીકારવાનું કોઈને પણ પસંદ નથી, પરંતુ ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠાનાં પાણી ૪૦ કિ.મી. સુધી અંદર ધસી આવ્યાં છે અને દર ત્રીજું વર્ષ ઓછા વરસાદ સાથેનું રહેતું હોય. હવે આયાતી પાણી વાપરવાનો સમય પાકી ગયો છે.
એપ્રિલથી જૂન માસના નેવું દિવસ ગુજરાતનાં શહેરો અને ગામડાંઓ માટે કપરા કાળ જેવો પસાર થાય છે. પાણી માટે ખૂનખરાબા, પાણીની ચોરી અને પાણીના કંકાસથી આપઘાતના બનાવોના સમાચાર છાપાની હેડલાઈન બને છે.

આ સ્થિતિમાં સરકારી અને ખાનગી પ્રયત્નોથી નદી, તળાવ તથા બોર કરી પાણી મેળવવાની કસરત સઘન બને છે. પરંતુ યુનિસેફના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરાઈ છે તેમ હવે ભૂતળનાં પાણી વધુ ઊંડાં જતાં અને માનવીય વપરાશ માટેનું પાણી અસલામત સ્થિતિએ ગયું છે. વિશ્વ ઉપરના કુલ પાણીના જથ્થા પૈકી માત્ર ૧.૪ ભાગ પાણી ધરતી ઉપરનું મીઠું પાણી છે અને દોઢ ભાગ પાણીના કુલ હિસ્સામાં ૧.૬ ભાગ પાણી જમીનમાં પડેલું છે ત્યારે પાણી મેળવવાની સમગ્ર કસરત જમીન પાસે અપેક્ષિત રખાય છે. જેમાં આપણી જ્ઞાન તકનિકી મર્યાદા છતી થાય છે.

મીઠું પાણી મેળવવા પૈસાનું પાણી કરવા કરતાં ઈલેક્ટ્રોડાયાલિસિસ મેમેરેઈન તકનિક દ્વારા ડી-સેલિનેશન પદ્ધતિથી ખારું પાણી મૂળથી પકડી ક્ષારને જુદા કરે છે અને ક્ષાર રહિત પાણી પાન, ફૂલ અને ફળને પહોંચાડે છે તે મેમરેઈન પદ્ધતિ અનુસાર સૂક્ષ્મ છિદ્રોવાળા કાપડના ટકા પ્રકારે મેમરેઈન જોડી, ૩૩ હોર્સપાવરની સિંગલ ફેઈસની મોટરથી તેમાં નીચેથી ભાંભળું કે ખારું પાણી દોઢ કિલોના પ્રેશરથી ધકેલવામાં આવે છે.

સાથોસાથ સિલિન્ડર મૂકેલા બે કાર્બનરોડ ઉપર એક સાથે પોઝિટિવ અને નેગેટિવ પ્રકારે વીજળી અપાતાં પાણીમાં રહેલા સોડિયમ, કૅલ્શિયમ પ્રકારે ઘન ક્ષારો અને ક્લોરાઈડ, સલ્ફેટ પ્રકારના ઋણક્ષારો પાણીમાંથી છૂટા પડી જાય છે, જે અલગ પાઈપથી બહાર નીકળી જાય છે અને પાણીમાં રહેતા ક્ષારોનું પ્રમાણ ૪૦૦૦ પી.પી.એમ. હોવા છતાં ચાર પૈસે ૧ લિટરના ભાવે શુદ્ધ પાણી મળે છે. અઢી ચોરસ ફૂટ જગ્યામાં ગોઠવાઈ જતાં ડી-સેલિનેશન પ્લોટની કિંમત પોણો લાખ થાય છે પરંતુ સોસાયટી કે ફલેટમાં રહેતાં શહેરીજનો કે પછી દૂધ-મંડળી, પંચાયતના સભ્યો ભાગે પડતા પૈસા રોકી એક યુનિટ વસાવે તો દરરોજ ૧૬ કલાક ચાલી શકતા યુનિટ દ્વારા રૂ.૨૦૦ ખર્ચમાં ૫૦૦ લિટર મીઠું પાણી મળે છે.

રોજગારીની તલાશમાં રહેલા યુવકો બેંક લોન દ્વારા ડી-સેલિનેશન પ્લાન્ટ નાખી દૂધ માફક પુણ્યની કમાઈ કરી શકે છે. ૧ યુનિટ વીજળીના વપરાશમાં ૨૫૦ લિટર મીઠું પાણી તૈયાર થાય છે. વીજળીના અભાવે ૫ લીટરની ટાંકી ધરાવતા નાના ડીઝલ જનરેટરથી કે સોલાર પૅનલ ઉપર કામ કરતા ૭૫૦ કિલો વજનના ડી-સેલિનેશન પ્લૉટને ખાદી બોર્ડ દ્વારા માન્યતા અને સબસીડી મળે તો ટૅકનોલૉજીનો મર્મ જીવન સાથે જોડી શકાય તેમ મુંબઈ, ક્લકત્તા જેવાં મોટાં શહેરોમાં કે વિદેશોમાં રહેતાં સુખી લોકો પોતાના વતન માટે આવો એક પ્લોટ વસાવી આપે તો પાણીની પરબ બંધાવા જેટલું પુણ્ય મળશે.

હૈદ્રાબાદને સાયબરાબાદ નામ આપવામાં આવ્યું હોવા છતાં, એ જ લેપટોપ સીટીમાં ૩ર% માણસો કૉલેરા, કમળો, ટાઈફૉઈડ જેવા પાણીજન્ય રોગોથી પીડિત છે. એટલું જ નહિ, પણ ખેડાથી લઈ પંજાબ સુધીનાં નહેરનાં પાણીથી ખેતી કરતા અને યુરિયા પ્રકારના ખાતરનો અતિરેક કરતાં ખેડૂતો પણ ક્ષારયુક્ત પાણીના રોગોથી પીડાય છે. તેથી યોજના આયોગે દેશવાસીઓને ઘર-ઘર સુધી શુદ્ધ પાણી અને પ્રદૂષણવિહીન વીજળી મળે તેવા પ્રયત્નમાં પડયા છે.

ઈઝરાયલ, નેધરલૅન્ડ, મધ્યપૂર્વનાં આરબ રાષ્ટ્રો અને જામનગરમાં રિલાયન્સ ઉદ્યોગે દરિયાનાં પાણીને મીઠું કરી વ્યવહારુ ઉપાય આપ્યો છે. તે હવે વિકેન્દ્રિત ધોરણે રાજ્યના દરિયાકાંઠાનાં ૭૪૬૬ ગામડાંઓમાં વિસ્તારીએ. તાજેતરમાં રાજ્ય સરકારે વિશેષ ફાળવણીથી ૧૦૦ કરોડના રોકાણથી પાણી કંપની કરી ૬૦૦ ટૅન્કરો અને ૧૭૦૦ પી.વી.સી. ટાંકી ખરીદવા ૩૦૦ કરોડ ફાળવ્યા છે પણ આવા કામચલાઉ ઉપાયો કરતાં ગામ શહેરનાં ખારાં પાણીના કૂવા-બોર ઉપર ડી-સેલિનેશન પ્લોટ નાખવાનું વધુ વ્યવહારુ અને કાયમી ઉપાય બનશે.

વિશ્વના બદલાતા પ્રવાહો ઉપર કામ કરતી અમેરિકી સંસ્થાના અહેવાલને ટાંકતા વિશ્વબેંકને જણાવ્યું છે કે દુનિયાની ૭૫ ટકા વસ્તી આવતાં ૨૦ વર્ષમાં દરિયાકાંઠાના ઉપરવાસના ૬૦ કિ.મી.માં સ્થાયી થશે અને વિકાસનો આધાર દરિયાકિનારો બનશે. જ્યારે બીજી તરફ ગુજરાત સરકારના અહેવાલ મુજબ રાજ્યમાં ૨૫,૦૪૨ કૂવા-હૅન્ડપંપ પાણી વિનાના નિષ્ક્રિય પડી રહ્યા છે, જે સ્થિતિથી સ્પષ્ટ થાય છે કે હવે પાતાળનાં પાણી ઉલેચવા કરતાં ખારાં પાણીને વધુ ને વધુ સસ્તા દરે મીઠું કરવા સેન્ટ્રલ સૉલ્ટ રિસર્ચ અને ભાભા એટમિક સેન્ટરના વિજ્ઞાનીઓએ કમર કસવી પડશે.

૧૯૬૦ના દાયકામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્હોન કૅનેડીએ પોતાના હોદ્દાના શપથ લીધા ત્યારે અમેરિકારની જનતાને સંબોધન કરતાં કહ્યું કે, ‘મારી સરકાર અમેરિકાનો ધ્વજ ચંદ્ર ઉપર લહેરાવશે, પરંતુ તે પહેલાં અમેરિકી ખાણાના ટેબલ ઉપર શુદ્ધ પાણીના ગ્લાસ મૂકાશે.’ આ વાત મૂકતાં ભારતરત્ન અબ્દુલ ક્લામે અમદાવાદમાં કહ્યું કે, અવકાશમાં સેટેલાઈટ તરતો મૂકવાનું સહેલું છે. પણ ઘરે-ઘરે શુદ્ધ પાણી પહોંચાડવાનું કપરું છે.’’ પાણી એ સહુથી વધુ આવશ્યક અને તેના ખારાપણા સાથે સહુથી વધુ જથ્થામાં ઉપલબ્ધ છે ત્યારે હવે મીઠા પાણીની શોધમાં યોજનાઓ મૂક્યા કરવા કરતાં ખારાં પાણીને પીવા અને વાપરવાયોગ્ય મીઠું કરી લેવામાં અને છેવટે ખારાં પાણીથી ઊગતી વનસ્પતિ અને તેની આડ પેદાશોના ઉદ્યોગો તરફ ગંભીરતાથી વિચારણા કરતાં થઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top