Comments

સ્વૈચ્છિક સંસ્થાઓમાં પ્રાણસિંચન

શ્રી મનુભાઇ પંચોળી કહેતા ‘‘ખાદી સબસીડીના ઓક્સિજન ઉપર જીવી શકે નહીં ગાંધીની વિધવા તરીકે સમાજની દયા માયાથી ટકી શકે નહીં.’’ સ્વૈચ્છિક સંસ્થાઓનું પણ કંઇ આવું જ છે. વેદ અને પુરાણની પૂર્વભૂમિકાના કારણે સ્વતંત્ર ભારતના બંધારણમાં સર્વે ભવન્તુ સુખિન: ની વિભાવના ઉતારવામાં આવી. પ્રજાના પ્રતિનિધિઓ આ માટેની સંરચના (કાયદા) તૈયાર કરશે અને નિયુક્ત થએલ કર્મચારીઓ તેનો અમલ કરશે તેવી ધારણા રાખી એક તટસ્થ મૂલ્યાંકન વ્યવસ્થા ન્યાયના નામે પ્રસ્થાપિત થઇ. પરંતુ સમયાંતરે આ ત્રણ આયામો માનવીય દુર્બળતાના લીધે ત્રણ જાગીરો બની.

આઝાદી સમયની સંઘર્ષની પ્રજા ખુમારી ક્ષીણ થતી ગઇ, પરિણામે પ્રજાની હાડમારીને, સમાજની ઉજળી બાજુને બહાર લાવવા વર્તમાનપત્રોની ભૂમિકા પ્રબળ બની જે ચોથી જાગીર કહેવાઇ. આ બધા વચ્ચે પણ છેવાડાનાં જરૂરિયાતમંદ સમાજના પ્રશ્નો હલ કરનાર કોઇ નહોતું. આથી મહાજન પરંપરાના સાંસ્કૃતિક ગુણે સ્વૈચ્છિક સંગઠનોનું નિર્માણ થયું. હિંદુ, જૈન અને ઇસાઇ ધર્મના પુણ્યના તર્કથી સેવાપરાયણતાને બળ મળ્યું. અ-પરિગ્રહ રહીને જનસેવા કરનાર નાગરિકો પ્રત્યે સમાજે અહોભાવ વ્યક્ત કર્યો. સેવા-સ્વીકાર્ય મૂલ્ય બન્યું.

સરકારી અમલદારોએ પોતાને જે અમલવારી કરવાની હતી તે કામ સ્વૈચ્છિક સંગઠનોને સોંપ્યું. તેઓને નિભાવખર્ચ ફાળવ્યો. જેમની પાસે આર્થિક સુવિધા હતી તેઓ પુણ્યકાર્યના હિસ્સેદાર બનવા મંદિરોમાં, ગરીબોને ઓટલો-રોટલો આપવા, તો આઝાદી પછી શિક્ષણ, આરોગ્ય અને જળસિંચનમાં દાન-ધર્માદા કરતા રહ્યા. રાજય વિકાસની વિભાવના જેમ-જેમ સ્પષ્ટ થતી ગઇ તેમ ઉદ્યોગોએ ક્ષેત્રિયસારપ(ગુડવીલ) મેળવવા સ્વૈચ્છિક સંગઠનોને મદદ કરી પોતાનું કાર્ય કરાવ્યું. આ બધું સમયાંતરે હવે નબળું પડયું છે.

આથી રોગીની માફક સ્વૈચ્છિક સંગઠનને પ્રાણવાયુ આપવાનો સમય દેખાયો છે… જમીન ઉપરની સ્થિતિ એ છે કે (૧) પ્રજાના પ્રતિનિધિઓ જે રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે તે પાર્ટી પોતે જ સમાજજીવનમાં સક્રિય રહેવા માગે છે અને ફરી ચૂંટણી જીતવા માગે છે. આથી સરકારી યોજનાઓ-તેના નાણાં પાર્ટી દ્વારા એક્ઝીક્યુટ થાય છે. (૨) માહિતી અને બજારના વ્યાપક ફેલાવથી નવી પેઢીના માલેતુજારો પાસે ખર્ચ કરવાના વ્યાપક સ્રોતો સામે આવી ગયા છે. પાપ-પુણ્યનું મૂલ્ય-બળ પાંખું થતાં હવે નવી પેઢી મંદિરો, કથાઓ, ગાયો, ગરીબોના નિભાવ પાછળ પૈસા ફાળવે તેવી શક્યતા નહીંવત્ બની છે.

(૩) સ્ત્રી સ્વાતંત્ર્ય અભિમુખતાના કારણે ઉદ્યોગગૃહો અને સેક્રેટરી પરિવારની સ્ત્રી સભ્યો જ પોતાની સ્ટેટસ એક્ટીવીટી તરીકે લાભ વિસ્તારમાં, શોખ વિસ્તારમાં ; કામ કરી રહી છે. (૪) રૂરલ સ્કૂલ, સોશ્યલ સ્કૂલ અને મોડલ લેવલ ટેકનોલોજીના વિવિધ ૮-૧૨ અભ્યાસક્રમોમાંથી અનુસ્નાતકો બજારમાં આવ્યા છે પરિણામે સેવા ક્ષેત્રને પ્રોફેશનલ મેનેજમેન્ટનો પારસમણી અડતાં હવે છેવાડાના સમાજનું કામ કરનાર પણ વિમાનો, મોંઘી ઓફિસો અને એરકંડીશનલ ઇચ્છતા થયા છે. સરવાળે ઘસાઇને ઉજળા થનાર સાધુજન તરીકેની ઓળખ ખોવાઇ છે.બદલાયેલ માહોલમાં આજે આ સ્થિતિ છે તો છે જ.ત્યારે ઉપાય શું કરવો !

(૧) મૂડીવાદની વ્યાપક્તા અને પ્રચલિતતા એ સમાજના એક એકને લાલચુ બનાવી દીધા છે. બધા વધુ ને વધુ નફો લેવા માટે પરિશ્રમ વેઠે છે. આથી દવા, ખોરાક, પાણી, કપડાં, મકાન, સંપર્ક જેવી પ્રાથમિક જરૂરિયાતોની બજાર કિંમત ઘણી ઊંચી જોવામાં આવે છે. આથી સ્વૈચ્છિક સંગઠનોએ વ્યાજબી કિંમતે જીવન જરૂરિયાતોનું ઉત્પાદન અને ગરીબો સુધી ઉપલબ્ધિ માટેનું તંત્ર વિકસાવવું રહ્યું. (દા.ત. લો-કોસ્ટ મેડીસીન, સેવા સંસ્થા)

(૨) બ્યુરોક્રસી, પોલિટીશ્યનો, કોન્ટ્રાક્ટરો અને મિડિયાનાં ચતુષ્કોણ થકી પ્રામાણિક લોકોનાં ટેકસના પૈસા વેડફાય છે. ખેડૂતોની ખેતીલાયક જમીન વહેંચાઈ જાય છે, પ્રજાહિત–વિકાસ કે જન-ભાગીદારી જેવા ભ્રામક પ્રચાર પાછળ હિત-સાધકોનાં ઘર ભરાય છે. આ સ્થિતિ સામે પ્રજાને સંઘર્ષ માટે તત્પર સ્વૈચ્છિક સંસ્થાઓએ કરવું રહ્યું. (દા. ત. મહુવાથી રાજપીપળાથી ડૉ. અનિલ પટેલનું સંસ્થાગત કાર્ય) કરી ન્યાય આપવાનું કાર્ય ડૉ. ક્લુભાઇ કળસરીયા, (૩) ધંધાદારી શિક્ષણ, આરોગ્ય, સંપર્ક સેવાને સ્થાને શહેર અને ગામડામાં ઝૂંપડપટ્ટીમાં વસતાં સ્થળાંતર કરતાં લોકો માટે સ્કૂલ ઓન વ્હીલ, હેલ્થ સેન્ટર, વાયરલેસ સેવાનાં કામો સ્વૈચ્છિક સંગઠનો કરે. (દા. ત. સિસ્ટર નિવેદિતા સંકુલ-શિવાનંદ મિશન)

(૪) અતિશય ખર્ચાળ પ્રચારથી નભતા મોટા ઉદ્યોગોનાં સ્થાને મોડલ લેવલ ટેકનોલોજીને પ્રચલિત કરવાનું કાર્ય સ્વૈચ્છિક સંસ્થાનો આધુનિક એજન્ડા બની શકે. ગામે-ગામ, વસાહત-વસાહતમાં નાની ફલોરમીલ, ચીલીંગ પ્લાંટ, તેલઘાણી, ફુડ પ્રોસેસીંગ, હાઇડ્રોપોનિકસ અને કીચન ગાર્ડનથી શાકભાજી ઉત્પાદન, મોલ્ડીંગ મશીનથી ટેબ્લેટ (દવા) નિર્માણ, સીવણકાર્ય. આ અને આવા અનેક કોંપકેટ ઇન્જિનીયરીંગ સાધનો થકી હસ્ત ઉદ્યોગ, ટેનરી, ફોરેસ્ટ પ્રોડક્ટ દ્વારા સ્વૈચ્છિક સંસ્થા અને છેવાડાનો માણસ પગભર બની શકે.

(૫) ઊર્જા વિકાસના નામે પર્યાવરણને થતા નુક્સાનથી પ્રકૃતિનું રક્ષણ કરવા સોલાર પાવર, સ્મોલ ચેકડેમ, ડ્રીપ ઇરિગેશન, વૃક્ષારોપણ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ખેતીનાં વેસ્ટમાંથી ક્રિસ – બ્લોક તૈયાર કરી આવાસ અને ગ્રામ્ય રસ્તા અને છાપરાં, બદામી કોલસા, પશુ આહાર, મધ પ્રકારની અનેક પ્રોડક્ટ પ્રાદેશિક શક્યતાઓ આધારે વિકસાવી શકાય. (૬) દયા-દાન અને ભાષા ઉપર ચાલતી પાંજરાપોળોના સ્થાને ગામે-ગામ વસુકી ગયેલા ઢોરનાં મૂત્ર-ગોબર દ્વારા દવા, ખાતર, ગેસ અને ઊર્જા વિકાસનાં કામો સ્વૈચ્છિક સંસ્થાને સધ્ધરતા આપશે અને અહિંસક વિકાસ માટે સમાજને આશા મળશે.

(૭) સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કેટલાક ક્ષેત્રમાં ખાસ કાર્ય થતું નથી તે (A) સ્કૂલ ડ્રોપાઉટ (B) ખોરાક અને દવાઓમાં મિલાવટ (C) બાળકો અને પોષક આહાર (D) સ્ત્રીઓની જાતીય સ્વચ્છતા (E) માતૃત્વ અને સંભાળ (F) તંબાકુ અને વ્યસનમુક્તિ (G) ધાર્મિક ઝનૂન (H) જાત-પાત અને રવાદ (1) વ્હેમ અને અંધશ્રધ્ધા (J) નિરાધાર બાલ્યાવસ્થા (K) બાળ મજૂરી (L) ખેડૂતોને પોષણક્ષમ ભાવ (M) સરકારી યોજનાથી નાગરિકોને માહિતગારી (N) ભ્રષ્ટાચાર નિર્મૂલન (O) લોકશાહી માળખામાં સામાજિક સમરસતા. ઇત્યાદિ

એક સમયે ડૉક્ટર પ્રજાનો સેવક હતો. માનવશરીરના રક્ષણ માટે પૃથ્વી ઉપર વિચરતો દેવતા હતો, પણ આજે એવું કંઇ રહ્યું નથી. આમ સ્વૈચ્છિક સંસ્થાનો કાર્યકર હવે ઘર બાળીને તીરથ કરે તેમ નથી જ તો સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકોએ પોતાના સેવાક્ષેત્રની દિશા અને તરાહ બદલી નાખવાની જરૂર છે. અને જો આમ સમયસર નહીં થાય તો ભગવા વેશધારીઓએ દેશની અધ્યાત્મ વિરાસતને ધબ્બો લગાવ્યો છે તેમ સ્વૈચ્છિક સંગઠનો પણ રાજકીય પક્ષોની હરોળમાં મુકાતાં વાર નહીં લાગે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top