Gujarat

દેશમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં ગુજરાત છઠ્ઠા ક્રમે, અસમાનતા-રોજગારની ઘટતી તકો જવાબદાર: ડૉ. મનીષ દોશી

અમદાવાદ: દેશની ખ્યાતિપ્રાપ્ત ઇન્સિટ્યુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની (Student) આત્મહત્યાના (Suicide) કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે. પ્રિમિયર ઇન્સ્ટિટ્યુટ IIT / IIM / NITs / AIIMS સેન્ટ્રલ યુનિવસિટીમાં વર્ષ ૨૦૧૮થી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૧૦૩ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ગુમાવ્યું છે. IITમાં ૩૫, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ૨૯, NITsમાં ૨૪, એઈમ્સમાં ૧૧ અને IIMમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૬,૦૧૩ જેટલાં વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. જેમાં ૩૦,૪૮૮ કુમાર અને ૨૫,૫૨૫ દિકરીઓએ આત્મહત્યા કરી છે જે અતિ ચિંતાજનક છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩,૦૦૨ જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં જ ૭ જેટલા મેડિકલ વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું જે ખુબ જ ગંભીર બાબત છે. દેશભરની શૈક્ષણિક સંસ્થામાં આપઘાતના દરમાં ૩૨ ટકાનો વધારો થયો છે. આપઘાત માટે અસમાનતા-રોજગારની ઘટતી તકો જવાબદાર છે. તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.

દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યામાં પાંચ વર્ષમાં ૩૨ ટકાનો વધારો અતિ ચિંતાજનક અને ગંભીર છે ત્યારે વિદ્યાર્થીઓની સતત વધતી જતી આત્મહત્યાની ઘટના અટકાવવા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર શૈક્ષણિક સંસ્થાઓ માટે સમયસુચક પગલાં ભરે તેવી માંગ કરતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૩માં પ્રિમિયમ ઈન્સિટ્યુટના ત્રણ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. તાજેતરમાં ગુજરાતના દર્શન સોલંકીએ આઈ.આઈ.ટી. મુંબઈમાં આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું.

દેશની શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં પાંચ વર્ષમાં ૩૨ ટકાનો વધારો થયો છે. દેશમાં થતી કુલ આત્મહત્યામાંથી ૩૦ ટકાથી વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ છે. વર્ષ ૨૦૨૧માં દેશમાં રોજ ૩૫ વિદ્યાર્થીઓ એટલે કે દર કલાકે ૧થી ૨ વિદ્યાર્થીઓ આપઘાત કરીને જીવન ટુંકાવે છે. દેશમાં આપઘાત કરીને જીવન ટુંકાવનારની સંખ્યામાં પાંચ વર્ષમાં ૨૬ ટકાનો વધારો થયો છે. વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ જાતિ ભેદભાવ, પ્રાંતિય ભેદભાવ, અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, બિમારી, એકલતા, પ્રેમ, સંસ્થાનું વાતાવરણ, ગરીબી, આર્થિક પરેશાની, અસમાનતા, રોજગારની ઘટતી તકો જવાબદાર છે. દેશમાં ૨૦૧૭માં ૯૯૦૫ જ્યારે ૨૦૨૧માં ૧૩,૦૦૦ વિદ્યાર્થીઓએ જીવન ટુંકાવ્યુ છે. ૧૮ થી ૩૦ વર્ષના વય ધરાવતા, આપઘાત કરનાર ૩૩ ટકા OBC અને ૨૦ ટકા SCના વિદ્યાર્થીઓ છે.

Accidental Deaths and Suicides in India (ADSI) અને NCRBના રિપોર્ટમાં અનુસાર વર્ષ ૨૦૧૭માં ૪૫,૨૧૭ લોકોએ, વર્ષ ૨૦૨૧માં ૫૬,૫૪૩ લોકોએ આપઘાત કર્યા છે જે ઘણી ચોંકાવનારી અને ચિંતાજનક બાબત છે. વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે જ્યારે ગુજરાત છઠ્ઠા ક્રમાંકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સહિત સંવાદ, કાઉન્સિલીંગ, કન્સલટેશન અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારે તાત્કાલિક સમય સૂચક પગલાં ભરવા જોઈએ. જેથી કરીને ગુજરાત અને દેશમાં થઇ રહેલા વિધાર્થીઓના આપઘાત અટકે અને યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત થાય.

Most Popular

To Top