Comments

ઈનકારથી મળે છે મોત, એકરારનો અંત આવી શકે કેદખાને

You can now take a virtual tour of Assad's notorious torture prison in  Syria | The World from PRX

તાજેતરમાં રજૂઆત પામેલી તમિળ ભાષાની ‘જય ભીમ’ વિશે અનેક ચર્ચા થઈ રહી છે અને ‘કસ્ટોડિયલ ડેથ’નો મુદ્દો ફરી એક વાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગામના એક આગેવાનને ઘેર થયેલી ચોરી માટે ગામને સીમાડે રહેતા એક જનજાતિના માણસની ધરપકડ, ચોરીની કબુલાત કરવા માટે પોલીસ ચોકીમાં તેની પર આચરવામાં આવતો શારીરિક સિતમ અને તેને પગલે થતા આરોપીના મૃત્યુની દુર્ઘટના ફિલ્મમાં મુખ્ય મુદ્દો છે. એવું નથી કે આ મુદ્દો પહેલવહેલી વાર ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યો હોય. ફિલ્મોમાં પોલીસપાત્રોનું ચિત્રણ સામાન્ય રીતે બે અંતિમો પર કરવામાં આવે છે. કાં તેમને એકદમ ભ્રષ્ટ અને ખલનાયક જેવા ચીતરવામાં આવે છે કાં એકદમ વીરરસથી ભરપૂર. ફિલ્મોના આ ચિત્રણનો પ્રભાવ એવો હોય છે કે ફિલ્મોમાં દર્શાવાયેલાં પોલીસપાત્રોનાં ઉપનામ વાસ્તવ જીવનનાં પોલીસોને આપવામાં આવે છે.

‘કસ્ટોડિયલ ડેથ’ જેવો, પૂરેપૂરો અંગ્રેજી શબ્દ પણ હવે જાણે કે આપણી ભાષાનો બની ગયો છે. તેની સામાન્ય વ્યાખ્યા એટલે પોલીસની અટકાયતમાં હોય એવા આરોપીનું એ દરમિયાન થતું મૃત્યુ. આરોપી પાસે ગુનાની કબુલાત કરાવવા માટે પોલીસ દ્વારા ઘણી વાર તેની પર શારીરિક અત્યાચાર ગુજારવામાં આવે છે. તેને પગલે આરોપી મૃત્યુ પામે છે. અટકાયતમાં રહેલી વ્યક્તિ આરોપી છે, ગુનેગાર નહીં અને આપણી ન્યાયપ્રણાલી અનુસાર વ્યક્તિ ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણાય છે. ‘કસ્ટોડિયલ ડેથ’ને બે મુખ્ય શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે. પહેલી શ્રેણીમાં જેમની ધરપકડ કરાયેલી હોય, પણ અદાલત સમક્ષ રજૂ ન કરાયા હોય એવા આરોપીઓનો સમાવેશ કરવામાં આવે છે. બીજી શ્રેણીમાં રિમાન્ડ પર હોય એવા આરોપીઓનો સમાવેશ કરવામાં આવે છે.

આ બાબત ગંભીર અવશ્ય છે, પણ તેને કેટલી ગંભીર ગણવી એ જોનારની દૃષ્ટિ પર આધાર રાખે છે. પોલીસ સ્ટેશનોમાં ચોપડે નોંધાતા અપરાધના આંકડાનો રેકોર્ડ રાખનાર સરકારી એકમ ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો’ (એન.સી.આર.બી.) દર વરસે વિવિધ આંકડા જાહેર કરે છે. એ અનુસાર છેલ્લાં વીસ વરસમાં એટલે કે ૨૦૦૧ થી ૨૦૨૦ દરમિયાન દેશભરમાં કુલ ૧,૮૮૮ લોકોનાં ‘કસ્ટોડિયલ ડેથ’ થયેલાં છે. કુલ ૮૯૩ પોલીસકર્મીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે, ૩૫૮ લોકો સામે આરોપનામું ઘડવામાં આવ્યું છે, પણ કેવળ ૨૬ પોલીસકર્મીઓને જ શિક્ષા કરવામાં આવી છે. ૨૦૨૦ માં ૭૬ આરોપીઓ આ રીતે મૃત્યુ પામ્યા છે, જેમાં સૌથી વધુ આંકડો ગુજરાતમાં, ૧૫ લોકોનો છે. આંકડા અનુસાર કુલ ૧,૮૮૮માંથી ૧,૧૮૫ લોકો એવા હતા જે રિમાન્ડ પર ન હતા, જ્યારે ૭૦૩ લોકો રિમાન્ડ પર હતા ત્યારે મૃત્યુને ભેટ્યા.

‘એન.સી.આર.બી.’ દ્વારા છેલ્લાં ચાર વરસથી આ પ્રકારના કેસમાં સંડોવાયેલા પોલીસોની થયેલી ધરપકડના આંકડા પણ જાહેર કરવામાં આવે છે. એ મુજબ આ ગાળામાં કુલ ૯૬ પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવેલી છે.

આ આંકડા નોંધાયેલા હોય એવા કેસના છે. ન નોંધાયા હોય એવા કેસ કેટલા હશે એની અટકળ કરવી રહી. એ પણ હકીકત છે કે આ તમામ કેસનું સામાન્યીકરણ કરીને પોલીસને ખલનાયક ચીતરી દેવાની જરૂર નથી. પોલીસદળે અનેક દબાણ અને તાણ હેઠળ કામ કરવું પડતું હોય છે. આરોપી મરણને શરણ થાય એટલી હદ સુધી તેની પર જુલમ ગુજારવામાં આવે એ કઈ પરિસ્થિતિ હેઠળ બનતું હોય છે એ જાણવાની કોશિશ ભાગ્યે જ કરવામાં આવે છે. આમ છતાં, કોઈ પણ સંજોગોમાં આરોપીના મૃત્યુને ન્યાયી, વાજબી યા ક્ષમ્ય ગણી શકાય નહીં.

દલીલ ખાતર કહી શકાય કે આપણા દેશની વિશાળ વસતિની સરખામણીએ આ આંકડા મામૂલી ગણી શકાય. એટલું યાદ રાખવું ઘટે કે આંકડા એ રોગ નહીં, બલકે રોગનું લક્ષણ છે. મૂળ રોગ પોલીસ દ્વારા અટકાયતમાં લેવાતા લોકો પર આચરવામાં આવતા શારીરિક અત્યાચારનો છે. આરોપી પર શારીરિક બળજબરીને પોલીસ પોતાનો અધિકાર માની લે છે અને ઘણા ખરા કિસ્સામાં એમ જ માને છે કે આ ઉપચાર કારગર છે. પોલીસ ખાતાની કામગીરીમાં સુધારા કરવાની વાત છાશવારે ચર્ચાતી રહે છે, પણ એ દિશામાં પહેલ થઈ હોય તો ય એ અતિશય ધીમી છે. પોલીસ વિભાગ રાજકારણીઓના હાથમાંનું પ્યાદું બની રહ્યું હોય એ બાબત હવે નવાઈ પમાડનારી નથી. રાજકારણીઓ પોતાના સ્વાર્થ અને અંગત હિત માટે પોલીસ વિભાગનો ઉપયોગ કરતા હોય એ ઉઘાડું સત્ય છે.

સમાજનો ભદ્ર ગણાતો વર્ગ અને પ્રભાવશાળી કહેવાતા લોકોને આ સમસ્યા ખાસ સ્પર્શતી નથી. આવા અમુક લોકો તેઓ ‘કસ્ટોડિયલ ડેથ’ને વાજબી ગણાવતા હોય તો નવાઈ નહીં. એવું નથી કે આ સમસ્યા આજકાલની છે. પ્રત્યેક સરકારના કાર્યકાળમાં આવા બનાવો બનતા રહ્યા છે. આવી કોઈ ફિલ્મ રજૂઆત પામે યા કોઈક મામલો હાથથી બહાર જઈને પ્રસાર માધ્યમોમાં ચગે ત્યારે એટલા સમય પૂરતું એ સૌનું ધ્યાન ખેંચે છે. થોડા સમયમાં બધું ઠરી જાય છે અને ફરી વખત આવી દુર્ઘટના ન બને ત્યાં સુધી આ મુદ્દો કોરાણે મૂકાઈ જાય છે.

‘નેશનલ કેમ્પેઈન અગેઈન્સ્ટ  ટોર્ચર’ (એન.સી.એ.ટી.) નામનું સ્વૈચ્છિક સંગઠન આ મુદ્દે અવારનવાર અવાજ ઉઠાવે છે, જરૂર પડે ત્યાં ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવે છે. ભારત ઉપરાંત અન્ય પાડોશી દેશોમાં પણ તે કાર્યરત છે. અલબત્ત, સમસ્યાનો એ ઉકેલ નથી. તેના ઉકેલ માટે અનેક સ્તરે કામ કરવું પડે એમ છે. શરૂઆત માત્ર ઉપરથી નહીં, ઉપરથી અને નીચેથી એમ બન્ને સ્તરે કરવી પડે. એ યાદ રાખવું ઘટે કે પ્રત્યેક ‘કસ્ટોડિયલ ડેથ’ કોઈકના સ્વજનનું અકાળ મૃત્યુ છે. એવું મૃત્યુ જે તેને પોતે ‘ગુનેગાર’ હોવાને કારણે નહીં, પણ ગુનેગાર હોવાની કેવળ આશંકાને કારણે મળેલું છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top